ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાકાળની બીજી મુદત લોકપ્રિયતાની દૃષ્ટિએ મુશ્કેલ બની રહી હોવાનું જણાય છે. ભાજપ સરકાર ભલે કેન્દ્રમાં મજબૂત હોય પરંતુ, રાજ્યોમાંથી શાસનદોર હાથમાંથી સરી રહ્યો હોય તેવું લાગે છે. ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવ્યા છતાં સત્તા ગુમાવી અને હવે ઝારખંડમાં પરાજય ખમવો પડ્યો છે. ભાજપને મહારાષ્ટ્રમાં શિવસેના અને ઝારખંડમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ) જેવાં સહયોગી પક્ષોને અવગણવાની નીતિ ભારે પડી છે. નોંધપાત્ર બાબત એ છે કે ભાજપવિરોધી રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ગઠબંધન સાધીને સત્તા પર આવી રહ્યા છે. તાજેતરમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ગઠબંધને ઝારખંડમાં તો અગાઉ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના જોડાણે સત્તા હાંસલ કરી છે.
ભાજપને વડા પ્રધાન મોદીનો ચહેરો આગળ કરીને સફળતા મેળવવાની મોટી અપેક્ષા હતી. ભાજપે ઝારખંડમાં વડા પ્રધાન મોદી અને અધ્યક્ષ અમિત શાહ તેમજ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યાં છતાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો. આનો અર્થ એ નથી કે મોદી અને શાહની લોકપ્રિયતા ઘટી રહી છે. વાસ્તવિકતા એ છે કે મોદી-શાહની જોડી પર મુસ્તાક રહીને પક્ષના અસંતુષ્ટો તેમજ આદિવાસી ચહેરાઓને અવગણવાની રણનીતિ ભારે પડી છે.
ભાજપ દ્વારા રામમંદિરનો નિર્ણય, ત્રણ તલાક, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની નાબૂદી, નાગરિકતા સંશોધન બિલ સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓનો ભારે પ્રચાર કરાયો તેનાથી વિપરીત, કોંગ્રેસ-જેએમએમ-આરજેડીના વિપક્ષી ગઠબંધને બેરોજગારી, પાણીની અછત, ‘જળ, જંગલ અને જમીન’નું રક્ષણ અને આદિવાસીઓની સમસ્યા સહિત સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપ્યું જે જનતાને સ્પર્શી ગયું હતું.
ભાજપે ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તાસ્થાન સંભાળ્યું ત્યારથી જ સહયોગી પાર્ટીઓને અવગણવાના આરોપ તેના પર લાગતા રહ્યાં છે. ઝારખંડમાં તો ૨૦૦૦માં રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ એજેએસયુ તેનો સહયોગી પક્ષ રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં સફળતા છતાં વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની ફાળવણી મુદ્દે ગજગ્રાહ પછી ભાજપે ‘એકલો જાને રે...’ની નીતિ અપનાવી અને પરાજ્યનો સામનો કરવો પડ્યો છે. સાથીપક્ષોના અલગ લડવાથી એનડીએના મત વહેંચાઈ જતાં સીધો ફાયદો વિપક્ષી જોડાણને થયો છે.
૨૦૧૪માં કેન્દ્રમાં સત્તાસ્થાન સંભાળ્યું ત્યારે સાત રાજ્યોમાં ભાજપ કે સમર્થિત પક્ષોની અને ૧૩ રાજ્યોમાં કોંગ્રેસની સરકારો હતી. ભાજપ અને સહયોગીઓએ ૨૦૧૮ સુધીમાં વધુ ૨૧ રાજ્યોમાં સત્તા હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. હવે પાસા પલટાયા છે. લોકસભા ચૂંટણી પછી મોદીના કરિશ્માના સહારે હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર (યુતિ)માં સરકાર બનાવી. વર્ષ ૨૦૧૬-૧૭માં ભાજપે આસામ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં સફળતા મેળવી પરંતુ, પંજાબમાં સત્તા ગુમાવી હતી. પૂર્વોત્તરના રાજ્યોમાં પણ સહયોગીઓની મદદ વડે સરકાર રચી હતી. ભાજપે ૨૦૧૮ના આરંભે ત્રિપુરામાં સરકાર બનાવ્યા પછી તેના વળતા પાણી શરૂ થયાં છે. કર્ણાટકમાં વિપક્ષી યુતિ સરકાર અને હિન્દી બેલ્ટના મહત્ત્વના રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસ હસ્તક જતા રહ્યા. ૨૦૧૯માં સાત રાજ્યોની ચૂંટણીમાં ભાજપ કે સાથી પક્ષોના ફાળે ત્રણ જ્યારે બાકીના ચાર રાજ્ય વિપક્ષના હાથમાં જતાં રહ્યાં છે. દેશવાસીઓને ‘સબ કા સાથ સબ કા વિકાસ’નો મંત્ર આપનાર ભાજપે જ તેનો અમલ કર્યો હોય તેમ જણાતું નથી. ભાજપને મમતા બેનરજીએ વિરોધ પક્ષોને ‘મહાગઠબંધન’ નહિ તો મહારાષ્ટ્ર અને ઝારખંડના સ્થાનીય ગઠબંધનના માર્ગે આગળ વધવાની હાકલ કરી છે તે ભારે પડી જાય તેવું છે.