બીજી મુદતના શાસનકાળ દરમિયાન એક પછી એક મહત્ત્વના નિર્ણયો લઇ રહેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હવે રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિ મહત્ત્વનું પગલું ભરતાં ભારતમાં સૌપ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ના પદ પર પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બિપિન રાવતની નિમણૂક કરી છે. સીડીએસ પદ મહત્ત્વનું બની રહેશે કારણ કે સૈન્યની ત્રણેય પાંખના વડા સીડીએસની મંજૂરી વિના સંરક્ષણ સંબંધી નિર્ણય ભાગ્યે જ લેવાશે. સીડીએસની લાંબા સમયથી પ્રતીક્ષા હતી. વર્ષ ૧૯૯૯ના કારગિલ યુદ્ધ બાદ દેશની સુરક્ષા વ્યવસ્થામાં બહાર આવેલી ખામીઓ અંગે જાણકારી મેળવવા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની ભલામણ કરી હતી.
વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ, કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિપેર ફેસિલિટીઝનો સારી રીતે ઉપયોગ કરી મર્યાદિત સંસાધનો છતાં મહત્તમ પરિણામો મેળવી શકાય તે માટે પણ આવું સંયોજક પદ આવશ્યક હતું. ચીફ ઓફ ડિફેન્સની મદદથી સૈન્યના સંદર્ભમાં વધારે અસરકારક અને સર્વગ્રાહી પોલીસી બનાવી શકાશે. સાદા શબ્દોમાં કહીએ તો લશ્કરનું આધુનિકીકરણ, સંરક્ષણ બજેટ હોય કે તેમને આવશ્યક સંસાધનો, શસ્ત્રસરંજામની ખરીદી હોય કે પછી સૈન્યના સંયુક્ત આયોજનો હોય, તેઓ સરકારને સલાહસૂચન આપશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ માત્ર લશ્કરની ત્રણે પાંખના વડા નથી. તેમનું કાર્ય ત્રણે સેનાપાંખ અને તેમને મળતાં સંસાધનોનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવામાં તાલમેલ - સમન્વય સાધવાનું રહે છે. જનરલ રાવતની જવાબદારી દેશની સુરક્ષા મુદ્દે મુખ્ય સલાહકાર તરીકે વડા પ્રધાનને ન્યૂક્લિયર કમાન્ડ ઓથોરિટી બાબતે અને સંરક્ષણ પ્રધાનને સતત સલાહ આપવાની રહેશે.
ભારતીય સૈન્યે સરહદોની સુરક્ષા માટે પ્રાણોની આહુતિ આપતાં કદી પીછેહઠ કરી નથી. વિવિધ યુદ્ધો સમયે સમગ્ર વિશ્વે ભારતીયોનું શૌર્ય જોયું છે. આ વીરતા વેડફાય નહિ તે માટે પણ આ પ્રકારનું સંયોજન આવશ્યક ગણાય. ભવિષ્યના યુદ્ધો પરંપરાગત નહિ બની રહે પરંતુ, તેમાં ટેકનોલોજીનો ઉપયોગ વધુ રહેશે ત્યારે ક્વોન્ટમ ટેક્નિક, સાયબર સ્પેસ અને તેથી
પણ વિશેષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના સમન્વય સાથેની સલાહ મળે તે રાષ્ટ્રની સુરક્ષા માટે વધુ મહત્ત્વ ધરાવે છે.
થોડા દિવસ અગાઉ જનરલ રાવતે વિદ્યાર્થીઓ સમક્ષ નેતૃત્વના ગુણો અંગે પ્રવચન કર્યું તે મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. નેતાગીરી મુદ્દે તેમણે કરેલી ટિપ્પણી સંદર્ભે કોંગ્રેસ સહિતના વિપક્ષે એવી સલાહ પણ આપી હતી કે લશ્કરે રાજકારણથી અળગાં રહેવું જોઈએ. કોંગ્રેસે તો એવો આક્ષેપ પણ કર્યો હતો કે સરકારે સીડીએસનો નિર્ણય ખોટા સમયે અને ખોટા ઈરાદાઓ સાથે લીધો છે. જોકે, કોંગ્રેસ પાર્ટીને પાછળથી સાન અને ભાન આવ્યું હોય તેમ રાષ્ટ્રની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવાતાં પગલાંમાં કોંગ્રેસ સરકારની સાથે જ હોવાની જાહેરાત કરીને પોતાની લશ્કરવિરોધી હોવાની છાપને સુધારી લીધી છે. તો બીજી તરફ, સીડીએસ જનરલ બિપિન રાવતે પણ સ્પષ્ટતા કરી છે કે લશ્કરની ત્રણેય પાંખ હંમેશા રાજકારણથી દૂર રહીને જ કામ કરતી આવી છે અને આ પરંપરા ભવિષ્યમાં પણ જળવાશે. આ બાબતે ભારતીય સૈન્યનો ઈતિહાસ અને અનુશાસન પ્રશંસાને પાત્ર છે. આપણે પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનની કંગાળ અને કફોડી હાલત જોવી જોઈએ જ્યાં સૈન્ય હસ્તક્ષેપ અને સરમુખ્યારશાહી સામાન્ય બની ગઈ છે.
સીડીએસની નિયુક્તિ પછી હવે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં કોઈ લશ્કરી કાર્યવાહી થશે કે કેમ? તે મુદ્દો બહુચર્ચિત બન્યો છે. આ મુદ્દે આતંકવાદવિરોધી લશ્કરી કાર્યવાહીના નિષ્ણાત જનરલ રાવતે સાચી રીતે જ કહ્યું છે કે, ‘પીઓકે માટે જે કરવાનું હશે એ થશે, તે જાહેર ચર્ચાનો મુદ્દો નથી!’ આ હકીકત છે, લશ્કરી આયોજનો તો સતત થતા જ રહે છે. પરંતુ, જે કામગીરી કરવાની હોય તેનું આયોજન જાહેર કરી દેવાય નહિ. આ જોશની નહિ, હોશની વાત છે.