સુરતમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ સત્સંગનો મહિમા સમજાય તો કામ થઈ જાય’

Wednesday 08th January 2020 05:11 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. દરરોજ સંતો અને હરિભક્તો તેમના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. અગાઉ તેમણે મુંબઈમાં વિચરણ કર્યું હતું. ૨૩ ડિસેમ્બરે મુંબઈમાં તેમની વિદાય સભા તેમજ મુંબઈમાં નેરુલ ખાતે ડી. વાય પાટીલ સ્ટેડિયમમાં યોજાયેલા પૂ. પ્રમુખ સ્વામી જન્મ મહોત્સવમાં યોગદાન આપનારા શ્રી પાટીલ તથા અગ્રણી સહયોગીઓની સન્માન સભા યોજાઈ હતી. ૨૪મીએ પૂ. મહંત સ્વામી મુંબઈથી સુરત પધાર્યા હતા. ૨૬મીએ સૂર્યગ્રહણ હોવાથી પૂ. મહંત સ્વામીએ શાસ્ત્રોક્ત આજ્ઞા તેમજ શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કરીને ભજન-ભક્તિ કર્યા હતા. ૨૯મીએ સુરતમાં જે સ્થળે નવું શિખરબદ્ધ મંદિર બનવાનું છે ત્યાં સ્વાગત સભા યોજાઈ હતી. આ સભામાં સંતો - હરિભક્તો મળીને કુલ ૨૮,૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૩૧મીને મંગળવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ સત્સંગનો મહિમા સમજાય તો કામ થઈ જાય.’ ૧લી જાન્યુઆરીએ પૂ. મહંત સ્વામીએ ભવિષ્યમાં બેંગકોકમાં જે મંદિર બનવાનું છે તેની શિલાનું પૂજન કર્યું હતું. આશીર્વાદમાં તેમણે કહ્યું,‘ આપણને પ્રાપ્તિ થઈ છે તે વીસરી ના જવી, પકડી રાખવી.’ ૨જીએ પૂજા દર્શન બાદ આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ નિયમ, નિશ્ચય અને પક્ષ આ ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. ૪થીએ આશીર્વાદ પાઠવતા તેમણે કહ્યું,‘ મહારાજે આપણને જે સ્થિતિમાં રાખ્યા છે તે સ્થિતિમાં રહેવું. સત્સંગ મૂકવો નહીં અને ભજનભક્તિનો દ્રઢ આગ્રહ રાખવો.’ પૂ. મહંત સ્વામીએ બિસ્કિટમાંથી તૈયાર કરાયેલા નવા મંદિરના મોડેલનું ઝીણવટભર્યું નિરિક્ષણ પણ કર્યું હતું. ૫મીને રવિવારે સુરતમાં જ્યાં નવું શિખરબદ્ધ મંદિર બનવાનું છે ત્યાં રવિ સભાનું આયોજન કરાયું હતું. તેમાં ‘કરીશ્યે વચનં તવ’ વિષયવસ્તુ પર સંવાદ ભજવાયો હતો. રવિ સભામાં આ મંદિર બનવાનું છે તેમાં હરિભક્તો તને, મને ધને જોડાય તેવી પ્રેરણા પૂરી પાડતો સંવાદ ભજવાયો હતો.


comments powered by Disqus