ભારતનો સિંહનાદ અને ચીનની પીછેહઠ

Tuesday 07th July 2020 09:02 EDT
 

ભારત અને ચીન વચ્ચે લડાખ સરહદે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તેવા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની સાથે લેહની અણધારી મુલાકાત લઈને દુનિયાને ચોંકાવી છે. યુદ્ધના રણશિંગા ફૂંકાતા હોય તેવા માહોલમાં રાષ્ટ્રના વડા ખુદ જાત નીરિક્ષણ કરવા મોરચા પર પહોંચે ત્યારે જવાનોનું નૈતિક બળ આસમાને પહોંચે તે સ્વાભાવિક છે. તેમણે ૧૧,૦૦૦ ફૂટની ઊંચાઈએ નીમુની ફોરવર્ડ પોસ્ટ પર જવાનોને સંબોધન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો છે.
તેમણે લડાખને ભારતના માન-સન્માનનું પ્રતિક ગણાવતા કહ્યું હતું કે આ રાષ્ટ્રભક્તોની ભૂમિ છે. તેમણે માતા ભારતીની ઢાલ બનીને રક્ષા અને સેવા કરનારા ભારતીય જવાનોને બિરદાવવા સાથે સંકેત આપી દીધો કે ભારતીયો બાંસુરીવાદક કૃષ્ણની પૂજા કરે છે તે સત્ય છે પરંતુ, કૃષ્ણ સમય આવે સુદર્શન ચક્ર પણ ચલાવે છે. ભારત શાંતિ-મિત્રતા માટે કટિબદ્ધ છે પરંતુ, શાંતિના સમર્થનને નબળાઈ ન સમજવી જોઈએ. ભારત માયકાંગલું નથી. ભારતે શાંતિ-વિકાસનો માર્ગ ખોરવનારાને હંમેશા જડબાતોડ જવાબ આપ્યો છે. વડા પ્રધાને જવાનોના અટલ નિશ્ચય, મજબૂત ઈચ્છાશક્તિ અને ઈરાદામાં દેશનો અતૂટ વિશ્વાસ હોવાનું જણાવી તેમની વીરતાથી સમગ્ર વિશ્વમાં ભારતની શક્તિનો સંદેશ ગયાનું જણાવ્યું હતું. વડા પ્રધાને ગલવાન ઘાટીમાં શહીદ ૨૦ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે તેમના પરાક્રમ, તેમના સિંહનાદથી સમગ્ર દેશ તેમનો જયજયકાર કરી રહ્યાનું પણ જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ સંબોધનમાં ચીનનો સીધો ઉલ્લેખ ન કર્યો છતાં, તેમનું નિશાન ચોક્કસ અને સ્પષ્ટ હતું. તેમણે કહ્યું કે વિશ્વમાં વિસ્તારવાદી સત્તાઓનો યુગ આથમી ગયો છે. હવેનો યુગ ભવિષ્યના આધાર સમાન વિકાસવાદનો છે. ભૂતકાળમાં વિસ્તારવાદે જ માનવતાનો વિનાશ કર્યો છે. વિસ્તારવાદી શાસકોએ વિશ્વની શાંતિ જોખમમાં મૂકી દીધી છે. એક જાણીતી કહેવત છે કે ‘ચોર કી દાઢી મેં તિનકા’ના હિસાબે ચીન સમજી ગયું કે આ તો આપણા પર સીધો પ્રહાર છે. તેના નવી દિલ્હીસ્થિત ચીનના રાજદૂત જી રોન્ગે નિવેદન ફટકારી દીધું છે કે ચીનને વિસ્તારવાદી કહેવું યોગ્ય નથી. ચીનને વિસ્તારવાદી તરીકે નિહાળવાનો કોઈ આધાર નથી. જોકે આપણે જ નહીં, આખી દુનિયા જાણે છે કે હાથીની માફક ચીનના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે. ચીન વિશ્વના અનેક વિસ્તારો પર પોતાના દાવા કર્યે રાખે છે. ભારતના લડાખ, અરુણાચલ પ્રદેશ, સાઉથ ચાઈના સી, બ્રુનેઈ-ઈન્ડોનેશિયા સહિતના નાના દેશોના અસંખ્ય દ્વિપ પર, હોંગ કોંગ, મોંગોલિયા સહિતના અનેક દેશોના વિસ્તારો પર તે હકદાવો કરતું રહ્યું છે.
વિધિની વક્રતા જોઈએ તો વડા પ્રધાન મોદીએ ચીનને જવાબ આપ્યાના ગણતરીના સમયમાં જ તેણે રશિયાના વ્લાડીવોસ્ટોક શહેર પર પોતાનો હક હોવાનું જોરશોરથી જાહેર કરી દીધું છે. ચીન કહે છે કે, વ્લાડીવોસ્ટોક તો ૧૮૬૦ પહેલા ચીનનો જ હિસ્સો હતું પરંતુ, રશિયાએ આ શહેર આંચકી લીધું હતું. આના પરિણામે, રશિયા સાથે પણ ચીનનો નવો વિવાદ ઉભો થવાની શક્યતા વધી છે.
જોકે, આ તણાવ વચ્ચે સારા સમાચાર એ છે કે ચીનના આક્રમક વલણમાં નરમાશ આવી છે. લડાખના ગલવાન ઘાટી ક્ષેત્રના મામલે ભારતની જડબાતોડ યુદ્ધતૈયારી અને ભારતના સુરક્ષા સલાહકાર અજિત દોવલ તથા ચીનના વિદેશ પ્રધાન વચ્ચે ચર્ચા થયા બાદ ચીને સંઘર્ષ સ્થળેથી પીછેહઠ માટે સંમતિ દર્શાવી છે. ગલવાન, ગોગરા અને હોટ સ્પ્રિંગ એરિયામાં ચીની સૈનિકોએ પોતાના તંબુઓ, કેમ્પ્સ અને કામચલાઉ માળખા હટાવવાની શરૂઆત કરી છે. જોકે, પીછેહઠ કરવાના ચીનના નવાં વલણ પાછળ ભારત જરૂર પડે મેદાને-જંગમાં ઝંપલાવવા સજ્જ હોવાના વડા પ્રધાન મોદીના સ્પષ્ટ સંદેશ ઉપરાંત, અમેરિકા, જાપાન સહિતના દેશો દ્વારા ઘેરાબંધીની સાથે ગલવાન ક્ષેત્રમાં વિષમ હવામાન પણ જવાબદાર છે.
વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી પીછેહઠ માટે બંને દેશની સેનાએ સહમતિ સાધી છે ત્યારે ગલવાન ઘાટી બફર ઝોનનું સ્વરૂપ ધારણ કરશે. જેથી ભવિષ્યમાં આ ક્ષેત્રમાં કોઈ હિંસા કે હુમલાની ઘટના બને નહિ. જોકે ચીન કે તેના સૈનિકોના શબ્દો પર ભરોસો મૂકી શકાય નહીં. આથી ભારત દ્વારા ડ્રોન વડે મોનિટરીંગ સાથે ફિઝિકલ વેરિફિકેશન પણ કરી લેવાયું છે. વડા પ્રધાને સાચું કહ્યું છે કે વીર ભોગ્યા વસુંધરા. નિર્બળ લોકો શાંતિ લાવી શકતા નથી, તાકાત જ શાંતિ માટેની પ્રથમ શરત છે, જે હવે ભારત જળ, સ્થળ અને આકાશમાં ધરાવે છે.


comments powered by Disqus