વિશ્વભરમાં કોરોના સંક્રમણ ધીમું પડ્યાના અહેવાલો વચ્ચે પણ ભારતમાં કોરોના વાઇરસની મહામારી દિવસોદિવસ વધુ ફેલાઈ રહી છે. રવિવારે એક જ દિવસમાં ૨૩,૯૦૦થી વધુ સંક્રમિતો સાથે કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા ૬.૯૭ લાખને પાર થઈ જતાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે. સમગ્ર વિશ્વમાં હવે ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. વિશ્વમાં કોરોના વાઇરસ સંક્રમણના કુલ ૧.૧૫ કરોડ કેસ નોંધાયેલા છે જેમાંથી, ૨૯.૮૨ લાખ કેસ સાથે અમેરિકા પ્રથમ, ૧૬.૦૪ લાખ કેસ સાથે બ્રાઝિલ દ્વિતીય અને ૬.૮૧ લાખ કેસ સાથે રશિયા ચોથા ક્રમે છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર જણાવા છતાં, સ્વાસ્થ્ય મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે, પ્રતિ દસ લાખની વસતીએ ભારતમાં કોરોનાના પ્રસારનો દર ઘણો નીચો છે. પ્રતિ ૧૦ લાખ લોકોએ ૫૦૬ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે. આ સંખ્યા અમેરિકા (૯૦૧૧), બ્રાઝિલ (૭૫૪૮) અને રશિયામાં ૪૬૬૮ની છે. કોરોનામાંથી સાજા થવાનો દર પણ ભારતમાં ૬૧.૨૧ ટકા જેટલો રહ્યો છે તે સારી બાબત છે પરંતુ, આ આંકડાથી આપણે હરખાઈ જવા જેવું તો નથી જ કારણ કે રશિયામાં ૧૦ દિવસમાં કોરોનાના ૬૭,૬૩૪ કેસ વધ્યા તેની સરખામણીએ ભારતમાં આ સમયગાળામાં ૨ લાખથી વધુ કેસ વધ્યા છે. ભારતમાં હવે દરરોજ સરેરાશ ૨૨,૦૦૦થી વધારે નવા કેસ આવી રહ્યા છે અને આ આંકડો સ્વાભાવિક ચિંતા ઉપજાવે તેવો છે. દેશમાં કોરોનાના દર્દીઓ વધવા લાગ્યા તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. હાલ મૃત્યુઆંક ૧૯,૭૦૦ છે જે ટુંક સમયમાં ૨૦,૦૦૦ને પાર થઈ શકે છે. ચિંતાની વાત એ છે પ્રથમ ૧૦,૦૦૦ મોત થવામાં ૮૦ દિવસ લાગ્યા હતા પરંતુ, બીજા ૧૦,૦૦૦ મોત થવામાં માત્ર ૨૧ દિવસ લાગ્યા છે.
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ઘણું ઓછું (૧૦ લાખની વસ્તીએ માત્ર ૭૨૨૪) છે. અમેરિકા (૧૧૩,૫૮૮), રશિયા (૧૪૪,૩૭૫), યુકે (૧૫૪,૭૪૫), યુએઈ (૩૫૩,૮૩૪), ચીન (૬૨,૮૧૪) સહિતના દેશોમાં ટેસ્ટિંગ વધુ થવાથી સંક્રમણનું સાચું ચિત્ર જોવાં મળી શકે છે. પરીક્ષણો વધુ કરાશે તો ભારતમાં કેસ વધુ જણાશે પરંતુ, ઈલાજ પણ ઝડપી થઈ શકશે. પરીક્ષણો વિના તો આંધળાના ગોળીબાર જેવી સ્થિતિ સર્જાય તેમાં કોઈ શંકા નથી.
ભારત વિશાળ વસ્તી ધરાવતો દેશ છે ત્યારે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે તેવું નવું સંશોધન ચોંકાવનારું બની રહેશે. ૩૨ દેશના ૨૩૯ વિજ્ઞાનીઓનો આ દાવો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. થોડા મહિનાઓથી ઠપ રહેલી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા લોકડાઉનના નિયંત્રણો હળવા થઈ રહ્યા છે ત્યારે હવાઉજાસ ન હોય, ભારે ભીડ હોય અને બંધિયાર જગ્યામાં હવામાં તરતા વાઇરસનો ચેપ બધાને લાગે તે મુદ્દો સંક્રમણ વધારવામાં મહત્ત્વનું પરિબળ બની રહે છે. દો ગજ કી દૂરી જેટલું સામાજિક અંતર જાળવવું આવશ્યક હોવાં છતાં બધાં સ્થળોએ તેનું પાલન શક્ય રહેતું નથી તે પણ હકીકત છે. આ સંજોગોમાં લોકોએ ફરજિયાતપણે ઘરમાં તેમજ બહાર માસ્ક પહેરવા પડશે અને અનાવશ્યક અવરજવર ઘટાડીને ટોળાંબંધીથી દૂર રહેવાનું શીખી લેવું પડશે.