WHO ફાઉન્ડેશનના સીઈઓ પદે અનિલ સોનીની નિમણૂક

Wednesday 09th December 2020 08:29 EST
 
 

પેરિસઃ પોતાનું ભંડોળ વધારવાની આશાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશને એવા સીઇઓની નિમણૂક કરી છે જે વધારે પ્રમાણમાં પ્રાઇવેટ ડોનેશન લાવી શકે જેથી કરીને કોઇ દેશ ભંડોળ ન આપે તો તેને પોતાની પ્રવૃત્તિઓ ચલાવવામાં તકલીફ ન પડે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાએ ડબ્લ્યુએચઓના ભંડોળમાં કાપ મૂક્યો હતો.
મલ્ટીનેશનલ ફાર્મા કંપની સાથે આઠ વર્ષ કાર્ય કર્યા પછી અનિલ સોની જાન્યુઆરી ૨૦૨૧માં ડબ્લ્યુએચઓ ફાઉન્ડેશન સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે મે ૨૦૨૦માં ડબ્લ્યુએચઓ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓને વધુ શક્તિશાળી બનાવવા અને તેના માટે ભંડોળ એકત્ર કરવા માટે આ સંગઠન રચાયું છે.
સોનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર વિશ્વ આરોગ્યની દૃષ્ટિએ એક કટોકટીભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. કોરોના મહામારી સામે લડવા માટે મોટા પ્રમાણમાં ભંડોળની જરૂર છે. ડબ્લ્યુએચઓ ફાઉન્ડેશનનું મુખ્યાલય જીનિવામાં રાખવામાં આવ્યું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડેને જણાવ્યું છે કે અમેરિકા જાન્યુઆરીમાં ફરીથી ડબ્લ્યુએચઓમાં સામેલ થશે.
ચાલુ વર્ષે જર્મનીએ ડબ્લ્યુએચઓને સૌથી વધુ ભંડોળ આપ્યું છે. ત્યારબાદ બિલ અન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને સૌથી વધુ ભંડોળ આપ્યું છે. અનિલ સોની બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સલાહકાર પણ રહી ચૂક્યા છે.


comments powered by Disqus