વિશ્વના ગરીબ અને વિકાસશીલ દેશો કોરોના મહામારીની ભારે ભીંસ અનુભવી રહ્યા છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ તેની અસર વર્તાઈ રહી છે અને ગરીબો વધુ ગરીબ બનવા તરફ ધકેલાઈ રહ્યા છે. કોરોના મહામારીના કારણે લાંબાગાળાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. યુનાઈટેડ નેશન્સના અભ્યાસપૂર્ણ અનુમાન અનુસાર કોરોના મહામારીને કારણે ૨૦૩૦ સુધીમાં વિશ્વભરમાં ગરીબોની સંખ્યા ૨૦૭ મિલિયન જેટલી વધીને એક બિલિયન સુધી પહોંચી જશે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) દ્વારા જારી નવા સંશોધનમાં કોરોના મહામારી અને તેની ગરીબો પર થનારી અસર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું જેના તારણોમાં આ આંકડા સામે આવ્યા છે.
આ તારણો જણાવે છે કે કોરોના મહામારીને કારણે લોકડાઉન્સ જાહેર કરાયા તેમજ આ વાઇરસના કારણે સંખ્યાબંધ લોકો તેના સંક્રમણનો શિકાર બન્યા હતા. આના પરિણામસ્વરુપ, આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ છે અને વિકાસના લક્ષ્યાંકો ખોરવાઈ જવા સાથે અનેક દેશોની જીડીપી પણ ઘટી ગઇ છે. આ સંજોગોમાં એક બિલિયનથી વધુ લોકો ૨૦૩૦ સુધીમાં ઘોર ગરીબીમાં સપડાઇ જશે તેમજ હાલમાં જે ગરીબો છે તેમાં ૨૦૭ મિલિયન ગરીબોનો ઉમેરો થશે. યુએનડીપી અને ડેનવેર યુનિવર્સિટીના પેર્ડી સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ફ્યૂચર્સની પાર્ટનરશિપના ભાગરૂપે વર્તમાન મૃત્યુદર અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના વૃદ્ધિદર, બન્નેને ધ્યાનમાં રાખીને આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ લોકો આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે તેની અસર માત્ર થોડા સમય પુરતી જ રહેવાની નથી પરંતુ, આગામી ૧૦ વર્ષ સુધી અસરો જોવા મળી શકે છે. જોકે, એક બાબતે આશ્વાસન અવશ્ય લઈ શકાય તેમ છે કે વૈશ્વિક સ્તરે કોરોના મહામારી પછી સામાજિક સુરક્ષા, લોકકલ્યાણના પ્રોગ્રામ્સ, ગવર્નન્સ, ડિજિટલાઇઝેશન, ગ્રીન ઇકોનોમી વગેરે પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આના પરિણામે, ગરીબીનું પ્રમાણ એક સ્તર સુધી અટકાવવામાં પણ સફળતા મળી શકે તેવો દાવો પણ યુએન દ્વારા કરવામાં આવ્યો છે. આમ છતાં, ગરીબો પર કોરોના મહામારીની ભયાનક અસર થશે તે નિશ્ચિત છે. મહામારી પહેલા જે દુનિયા વિકાસના માર્ગે હતી તેમાં હવે ભારે પીછેહઠ જોવા મળી છે. વિશ્વ બેન્કના રિપોર્ટમાં પણ કોરોના મહામારીના કારણે એશિયામાં લગભગ ૩૮ મિલિયન લોકો ગરીબીની ચુંગાલમાં આવી જવાની આશંકા વ્યક્ત કરાઈ છે. યુએનડીપી અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ (OPHI)ના ડેટા અનુસાર ૨૦૦૦ -૨૦૧૯ના ગાળામાં અભ્યાસ હેઠળના ૭૫માંથી ૬૫ દેશ તેમની બહુપરિમાણીય ગરીબીના પ્રમાણને નોંધપાત્રપણે ઘટાડવામાં સફળ નીવડ્યા હતા. ભારતની વાત કરીએ તો ૧૦ વર્ષ અથવા તો ૨૦૦૫-૦૬થી ૨૦૧૫-૧૬ના ગાળામાં ૨૭૩ મિલિયન ભારતીયો ગરીબીમાંથી બહાર આવી ગયા હતા પરંતુ, હવે સંજોગો બદલાઈ જતા ગરીબ અને અતિ ગરીબ લોકોની સંખ્યામાં વધારો થશે.
વિશ્વના દેશોએ આ પરિસ્થિતિમાંથી બહાર આવવા નક્કર પગલાં લેવા પડશે તે નિશ્ચિત છે. મહામારીના વર્તમાન આર્થિક અને નાણાકીય પ્રભાવને પહોંચી વળવા આવક વધારવા સહિત વિવિધ સુધારા હાથ ધરવાની જરુરિયાત જણાશે ત્યારે વિશ્વના નેતાઓ જે વિકલ્પો પસંદ કરશે તેનાથી તેમના દેશ અને નાગરિકોનું ભવિષ્ય નક્કી થશે.