ઇસ્લામાબાદ: ભારતના પાડોશી દેશોમાં કોરોના મહામારી હજુ પણ બેકાબુ જણાઈ રહી છે. નેપાળ અને બાંગ્લાદેશમાં પહેલેથી કોરોના સંક્રમણનો દર ૧૦ ટકા ઉપર છે. હવે પાકિસ્તાન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનમાં સોમવારે કોરોના વાઈરસ સંક્રમણના ૩,૭૯૫ નવા દર્દી નોંધાયા અને કુલ સંક્રમિતો ૪,૨૦,૨૯૪ સુધી પહોંચી ગઈ. સંક્રમણ દર પણ વધીને ૯.૭૧ ટકા થઈ ગયો હતો.
પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના ૩,૫૬,૫૪૪૨ દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે અને હાલ ૫૫,૩૫૪ લોકોની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ જણાવ્યું કે, રશિયાએ પાકિસ્તાનને કોરોનાની રસી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ ૩.૩ ટકા સંક્રમણ ભારતમાં છે. પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, સોમવારે કોવિડ-૧૯ ના કારણે દેશમાં ૩૭ દર્દીઓના મોત થયા. ત્યાર પછી પાકિસ્તાનમાં આ બીમારીથી અત્યાર સુધી ૮,૩૯૮ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે કુલ ૨,૫૩૯ દર્દી ગંભીર સ્થિતિમાં છે. પાકિસ્તાન સરકારના મતે, હજારો ટેસ્ટ પછી સંક્રમિતોની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે.
બહેરીનની પણ ફાઇઝર વેક્સિનને મંજૂરી
બ્રિટને ફાઇઝરની રસીને ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપી દીધા બાદ દેશો વચ્ચે પોતાના નાગરિકોને રસી આપવા માટેની હરીફાઈ વધારે તીવ્ર બની છે. બ્રિટન બાદ બહેરીન વિશ્વનો બીજો દેશ બન્યો છે જેણે ફાઇઝર-BioNTechની કોવિડ-૧૯ રસીને ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપી છે. બહેરીને સત્તાવાર જાહેરાત કરી હતી કે તેમણે ફાઇઝર-BioNTechની કોવિડ-૧૯ રસીને ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપી દીધી છે.બહેરીનની નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીના સીઈઓ મારિયમ અલ-જાલામાએ જણાવ્યું હતું કે ફાઇઝર-BioNTech રસીને મંજૂરી દેશના કોવિડ-૧૯ સામેના પ્રતિકારમાં વધુ એક મહત્ત્વના આવરણનો ઉમેરો કરશે.
જોકે યુનાઇટેડ સ્ટેટની મહાકાય ફાર્માસ્યૂટિકલ કંપની ફાઇઝર અને તેની જર્મન ભાગીદાર BioNTech દ્વારા ક્યારથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી નથી.