મેઘાણીની નવલકથા ‘વેવિશાળ’નો રશિયન અને ચીની ભાષામાં અનુવાદ

Tuesday 08th December 2020 07:06 EST
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત લોકપ્રિય નવલકથા ‘વેવિશાળ’ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. ભારત સરકારની સાહિત્ય અકાદમીએ અર્વાચીન ભારતીય સાહિત્યન ૧૦ મહાન કૃતિઓમાં ‘વેવિશાળ’નો સમાવેશ કરીને તેની રશિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદિત આવૃત્તિ પ્રગટ કરી છે. 

જૂન ૨૦૧૯માં કઝાકિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટને સંબોધતા ભારતના સાહિત્ય-સંસ્કૃતિ પ્રેમી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારતીય સાહિત્યની ૧૦ મહાન અદ્વિતીય કૃતિઓનો રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કરાશે. તાજેતરમાં યોજાયેલી એસસીઓની વર્ચ્યુઅલ બેઠકમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આ કાર્ય ૧૦ ભારતીય કૃતિના અનુવાદનું કાર્ય પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી.
અર્વાચીન ભારતીય સાહિત્યની ૧૦ ઉત્તમ કૃતિઓમાં ઝવેરચંદ મેઘાણી લિખિત લોકપ્રિય નવલકથા ‘વેવિશાળ’ પસંદગી પામી હોવાની બાબત વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ માટે સવિશેષ ગૌરવની વાત છે. ઝવેરચંદ મેઘાણીના અમેરિકામાં વસતા પુત્ર અશોક મેઘાણી દ્વારા ૨૦૦૨માં અનુવાદિત અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અંગ્રેજી આવૃત્તિ ‘The Promised Hand’ પરથી રશિયન અને ચાઇનીઝ ભાષામાં અનુવાદ કરાયો છે. પુસ્તકનો રશિયન અનુવાદ કુલદીપ ધીંગરાએ કર્યો છે, જ્યારે ચાઈનીઝ અનુવાદ લીઉ જિનાઉએ કર્યો છે. નોંધનીય છે કે ફ્રાન્સમાં વસતાં ગુજરાતી મોઈઝ રસીવાલાએ ૨૦૦૪માં ‘વેવિશાળ’નો ગુજરાતીમાંથી સીધો ફ્રેંચ ભાષામાં અનુવાદ કરીને ત્યાં પ્રકાશિત કર્યો છે.
રાણપુરથી પ્રસિદ્ધ થતાં ‘ફુલછાબ’ સાપ્તાહિકના તંત્રી તરીકે કાર્યરત ઝવેરચંદ મેઘાણી લિખિત આ પથદર્શક નવલકથા ‘વેવિશાળ’ ૧૯૩૮માં ‘ફુલછાબ’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. સામાન્ય વાચકો અને વિવેચકો બંનેએ આ વાર્તાને પ્રેમથી વધાવી લીધી હતી. નવલકથામાં કાઠિયાવાડના સમાજજીવનનું ચિત્ર રજૂ થયું હોવા છતાં અને એના પાત્રોનાં મુખમાં મુકાયેલી ભાષા વગેરેની કેટલીક ખાસિયતો તળપદી કાઠિયાવાડી હોવા છતાં - ગુજરાતી સમસ્તને આમાં વિશેષ રસ પડ્યો હતો.
આ વાર્તાના ઘડતરમાં વાચકોના ‘ઝાઝા ને રળિયામણા હાથ’ પણ કામે લાગ્યા હતા. પહેલા હપ્તાથી જ ગામડાં-શહેરોમાંથી, સામાન્ય-સુશિક્ષિતો, સ્ત્રીઓ-પુરુષોનાં પત્રો આવવાનાં શરૂ થયા હતાં - જેમાં વાર્તાને કઈ-કઈ દિશામાં લઈ જવી તેનાં નિખાલસ સૂચનો હતા. ભાભું અને સુશીલાનાં પાત્રો, આઠ દાયકાઓ પછી આજે પણ, વાચકોનાં હૃદયમાં અંકિત છે.
ઝવેરચંદ મેઘાણીએ લાગણીભેર નોંધ્યું છેઃ ‘વાર્તાકારની પહેલી ફરજ - અને છેલ્લી પણ - એક જ છેઃ વાર્તા કહેવી, વાર્તા સારી કહેવી, ને વાર્તા જ કહેવી. મેં પણ અહીં વાર્તા- બસ, વાર્તા જ – કહેવાનો દાવો રાખેલ છે.’ દિગ્ગજ સાહિત્યકાર-કવિ સ્વ. ઉમાશંકર જોશીએ પણ લખ્યું છેઃ ‘વેવિશાળ મેઘાણીની મૌલિક સર્જક્તાનો જ્વલંત પુરાવો છે.’


    comments powered by Disqus