વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઈરસ મહામારી સામેના જંગમાં પહેલું મંગળ યુકેમાં મંગળવારે જ વર્તાયું છે અને જીવનઆશાનું નવું કિરણ દેખાયું છે. યુકે વિશ્વમાં વેક્સિનને મંજૂરી આપી રસીકરણની ઝડપી શરુઆત કરનારો સર્વપ્રથમ દેશ બનવા સાથે ૯૦ વર્ષના દાદીમા માર્ગારેટ કીનન ફાઈઝર-બાયોએનટેકની વેક્સિન લેનારાં વિશ્વમાં પ્રથમ વ્યક્તિ બન્યાં છે.
કોરોના વેક્સિનની બાબત અલગ છે. સૌથી પહેલી બાબત એ છે કે વિક્રમી સમયગાળામાં વેક્સિન બહાર આવી છે. ચીનના વુહાનમાં જાન્યુઆરીમાં દેખાયેલા પ્રથમ કેસ પછી કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાવવામાં જરા પણ પાછીપાની કરી નથી. કોરોના મહામારીમાં ૬૮ મિલિયન લોકોને સંક્રમણ થયું છે અને ૧.૫૫ મિલિયન લોકોએ જાન ગુમાવ્યા છે. યુકેમાં ૧.૭૩ મિલિયન લોકો સંક્રમિત થવા ઉપરાંત, ૬૧,૪૦૦ લોકોએ જ્ન ગુમાવ્યા છે. આ આંકડા જરા પણ ઓછાં નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો આગામી એક વરસમાં આ સંખ્યા બેવડી થઈ જવાની દહેશત દર્શાવી છે.
મોટા ભાગના દેશોના અર્થતંત્રો ખોરવાઈ જવા સાથે સરકારોના શિરે જંગી દેવાંનો પણ ફટકો પડી રહ્યો છે. આ બધા કારણોસર વેક્સિન ઝડપથી શોધવાના પ્રયાસો આદરી દેવાયા હતા. કોમ્પ્યુટર ગણતરીઓ, ડેટા પ્રોસેસિંગ અને વેક્સિન પરીક્ષણો માટે વોલન્ટીઅર્સ ઉપરાંત, આધુનિક વિજ્ઞાને આ પ્રયાસોમાં ગણનાપાત્ર ભૂમિકા ભજવી છે.
યુકેમાં વેક્સિનેસનના આરંભ સાથે ભારત સહિતના દેશોમાં પણ આશાનો સંચાર થાય તે સ્વાભાવિક છે. ફાઈઝર તેમજ ઓક્સફર્ડ સાથે વેક્સિન સંશોધન અને ઉત્પાદનમાં સંકળાયેલી ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેકિસનના ઉપયોગ માટે તાકીદની મંજૂરી પણ માગી છે. જોકે, માઈનસ ૭૦ ડીગ્રીના તાપમાને સાચવણી કરવી પડે તેવી ફાઈઝરની રસી ભારતમાં ઉપયોગી બની શકે તેવી કોઈ શક્યતા જણાતી નથી કારણકે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઊંચા ઉષ્ણતામાનના પરિણામે ફાઈઝર વેક્સિનનો સંગ્રહ અને વિતરણ અસંભવ છે.
એક વર્ગ એમ પણ માને છે કે યુકેએ વેક્સિનેશનમાં ઉતાવળ કરી છે કારણકે ફાઈઝરનું વેક્સિન ૧૦૦ ટકા સફળતાદર ધરાવતું નથી. તેનો દર માત્ર ૯૪-૯૫ ટકાનો જ છે. અગાઉ પણ અન્ય અનેક વેક્સિન પરીક્ષણોમાં ખતરનાક પરિણામો જોવાં મળેલાં છે. બ્રિટિશ બૌદ્ધિકોમાં ફાઈઝરની વેક્સિન અંગે હજુ પણ મતમતાંતર હોવાથી ‘તેલ જુઓ તેલની ધાર જુઓ’નો અભિગમ જોવાં મળે તે પણ સ્વાભાવિક છે. વાત સાચી છે પરંતુ, ૧૦૦ ટકા સફળ વેક્સિન અત્યારે મળી શકે તેમ નથી તે પણ હકીકત છે. કોરોના વાઈરસ વિરુદ્ધના યુદ્ધમાં યુકેએ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી તે અગાઉ, ચીને ચાર અને રશિયાએ ૨ વેક્સિન માટે મંજૂરી આપી છે. લોખંડી પડદા હેઠળ રહેતા ચીન અને રશિયા બાબતે તો એટલું જ કહેવાય કે તેમની વેક્સિન્સના કોઈ ડેટા જાહેર કરાયા નથી અને તેમના નાગરિકોને વેક્સિન આપી દેવાઈ છે.
વૈજ્ઞાનિક તથ્યોને ધ્યાનમાં લેવાં આવશ્યક છે કારણકે ‘બકરી કાઢતાં ઊંટ પેસી ન જાય’ તેની સાવચેતી પણ રાખવી જરુરી છે. એક વાર વેક્સિન લેવાથી આખી જંદગી કોરોના વાઈરસના સંક્રમણથી મુક્ત રહેવાશે તેની પણ કોઈ ખાતરી નથી કારણકે વર્તમાન વેક્સિન શોધવામાં સમયબાધ હોવાથી આ બધી બાબતો પર વિશેષ સંશોધનો કરવાનું શક્ય બન્યું નથી. આમ છતાં, વેક્સિન મૂકાયાં પછી તેની અસર ક્યાં સુધી રહેશે, માસ્ક પહેરવા અને હાથ ધોવા સહિતની સાવચેતીઓ રાખવી પડશે કે કેમ તેના વિશે કોઈ ખોંખારીને કહી શકતું નથી. જોકે, ‘જી હૈ તો જહાન હૈ’ના સૂત્રને અનુસરી તમામ કાળજીઓ રાખીશું તો જ કોરોના વાઈરસ સામેના જંગમાં સંપૂર્ણ વિજય હાંસલ કરી શકીશું.