હાથ નથી છતાં કલાકૃતિને કેન્વાસ પર ઉતારે છે ધવલ ખત્રી

Wednesday 09th December 2020 08:44 EST
 
 

અમદાવાદઃ નબળાં મનના માનવીને રસ્તો પણ મળતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી... આ કહેવતને સાર્થક કરી છે અમદાવાદના યુવા કલાકાર ધવલ ખત્રીએ. મન મોહી લે તેવા પેઇન્ટીંગ તો ઘણા કલાકાર મિત્રો દોરતા હોય છે, પરંતુ ધવલે તો એક અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દીધા છે અને છતાં એવા આકર્ષક પેઇન્ટીંગ કરે છે કે તેના પરથી નજર હટે નહીં. શારીરિક અક્ષમતા છતાં ધવલે હાંસલ કરેલી સિદ્ધિ હામ હારી ચૂકેલા લોકો માટે ઉત્તમ ઉદાહરણ છે.
ધવલ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા બાદ પણ ફરીથી જોમ અને જુસ્સા સાથે કોઈનો સહારો લીધા વિના ઊભા થઈને સામાન્ય આર્ટિસ્ટ્સની જેમ જ પોતાનામાં રહેલી કળાને બહાર લાવ્યા છે. બંને હાથ ન હોવા છતાં ધવલે ક્યારેય એવો અહેસાસ થયો જ નથી કે તેણે પોતાના બે હાથ ગુમાવ્યા છે. આજે તે પોતાનું દરેક કામ જાતે જ કરે છે. અકસ્માત બાદ ધવલના માતાપિતા અને તેની બહેને ઘણો સપોર્ટ કર્યો અને પોતે પણ ક્યારેય હિંમત ના હારીને તેમણે લોકોમાં આગવી ઓળખ ઊભી કરી છે. ધવલે અત્યાર સુધીમાં ૧,૦૦૦થી પણ વધારે પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. જેમાં સેલિબ્રિટીથી માંડીને પોટ્રેટ, નેચરલી વિલેજ, લેન્ડસ્કેપ, કપલ ફોટોઝની આબેહૂબ કલાકૃતિ જોવા મળે છે.
ચિત્રકાર તરીકે નવો જન્મ
વર્ષ ૨૦૦૩માં ઉતરાયણના સમયે ધવલનો હાથ ભૂલથી હાઈ વોલ્ટેજવાળા તારને અડકી જતાં કરન્ટ લાગવાથી તે ધાબા પરથી નીચે પટકાયો. એક સમયે તો ધવલનું હૃદય પણ ધબકતું બંધ થઈ ગયું હતું. આ સારવાર બાદ ધવલે હાથ વગર પણ પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું અને પેઇન્ટિંગના ટેલેન્ટ સાથે ભગવાને જાણે તેને બીજો જન્મ આપ્યો.
પેઇન્ટિંગ શરૂ કર્યા પછી ધવલે ઘણા પોટ્રેટ બનાવ્યા છે. આ સવાય તે સ્પીડ પેઇન્ટીંગ પણ કરી શકે છે. એ.પી.જે. અબ્દુલ કલામ, સોનાલી બેન્દ્રે, કપિલ શર્મા, અક્ષયકુમાર, શિલ્પા શેટ્ટી સહિત ઘણા કલાકારોના પોટ્રેટ તૈયાર કરીને તેમને રૂબરમાં પેઇન્ટીંગ્સ ગિફ્ટ કર્યા છે.
કોઈ પણ પેઇન્ટીંગ તૈયાર કરતાં ધવલને આશરે ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે અને અત્યાર સુધી તે ઘણા ટીવી રિયાલિટી શોમાં પોતાની કળા રજૂ કરી ચૂક્યો છે.
નિર્ધારિત મંજિલે પહોંચવું જ જોઈએ
પેઇન્ટીંગના કારણે ધવલને સ્પેશિયલ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, પોઝિટિવ હેલ્થ હીરોઝ એવોર્ડ, એપીક એવોર્ડ, ગ્લોરિયસ ગુજરાત એવોર્ડ, ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ, દિવ્યાંગ રત્ન એવોર્ડ સહિત ઘણાં માન-સન્માન મળી ચૂક્યા છે.
ધવલ માત્ર પેઇન્ટીંગ જ કરે છે એવું નથી, તે એક મોટિવેશનલ સ્પીકર પણ છે. ધવલનું માનવું છે કે જિંદગીના માર્ગમાં ઘણા બમ્પ આવતા હોય છે, પણ તેને જોઇને યુ ટર્ન લઇ લેવાના બદલે તેને ઓળંગી જઇને પોતાની મંજિલ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવું જોઇએ. જે માણસ ઝઝૂમે છે તે ક્યારેય પાછો નહીં પડે. મારાં જેવાં ઘણાં લોકો આ દુનિયામાં હશે, પરંતુ એક વાત તો હકીકત છે કે ભગવાન ક્યારેક કોઈ વસ્તુ છીનવી લે છે તો તેના કરતાં પણ બે ગણું વધારે આપે પણ છે.


comments powered by Disqus