ભારત - ચીન સરહદે પ્રવર્તમાન તણાવમાં હળવાશ આવે તેવા એંધાણ છે. કોરોના મધ્યે પૂર્વ લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલતા વિવાદ સંદર્ભે બંને દેશોના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ વચ્ચે સકારાત્મક કહી શકાય તેવી બેઠક યોજાઇ હતી, જેમાં બંને દેશ પૂર્વ લડાખમાં સરહદ સાથે જોડાયેલા બંને તરફના વિસ્તારોમાં પૂર્વવત સ્થિતિ ાયમ કરવા તેમજ બંને દેશો વચ્ચેના કરાર અને દ્વિપક્ષીય સમજૂતીઓ અંતર્ગત સરહદી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા તૈયાર થયા છે. જોકે, ચીનની મથરાવટી પહેલેથી જ મેલી રહી છે કારણ કે તેનું વલણ હંમેશાંથી મુખ મેં રામ, બગલ મેં છૂરીનું રહ્યું છે. કોરોના મહામારી અને હોંગ કોંગમાં દમનના પગલે ચીનની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થયા છે તેમજ તેનો રાજકીય અને આર્થિક બહિષ્કાર થાય તેવાં સમીકરણો રચાયાં છે.
ભારત-ચીન સરહદે અવારનવાર વિવાદ સર્જાતા રહેવાનું મુખ્ય કારણ બંને દેશો સરહદ અંગે ચોક્કસ સમજૂતી ધરાવતા નથી. ભારત-ચીન વચ્ચે ૩,૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે. જોકે, ચીન માત્ર ૨,૦૦૦ કિલોમીટરની સરહદ હોવાનો જ દાવો કરે છે. આ સાથે જ બ્રિટિશ રાજ દરમિયાન ૧૯૧૪માં તિબેટ સાથે કરાયેલી મેકમોહન લાઇન સમજૂતી ચીન માન્ય રાખતું નથી. વિસ્તારવાદી ચીનની દલીલ છે કે તિબેટ અને અરુણાચલ પ્રદેશ તેના વિસ્તારો હોવાથી તે મુદ્દે સમજૂતી કરવાનો બ્રિટિશ શાસનને અધિકાર ન હતો.
વિવાદનું બીજું મૂળ ચીને ૧૯૬૨માં કબજે કરેલા ભારતના અક્સાઇ ચીન વિસ્તાર સંબંધે છે. ભારત પોતાના વિસ્તાર પરનો દાવો છોડી શકે નહિ. આ ઉપરાંત, ગ્લેશિયર્સ, બરફાચ્છાદિત પ્રદેશો, પહાડો અને નદીઓ ધરાવતાં હિમાલયન ક્ષેત્રમાં એલએસી સંદર્ભે પણ અસ્પષ્ટતા હોવાથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થતું રહે છે. પાકી સડકોના નિર્માણ, ટેન્ટ બનાવવા કે પછી અન્ય સૈન્ય ગતિવિધિના કારણે આશંકાઓમાં વધારો થતો રહે છે. આમાં સૌથી મોટી તકલીફ એ છે કે ચીન મનફાવે તે રીતે સડકો - બંકર્સનાં નિર્માણ કરતું રહે છે પરંતુ, ભારત આ બધું પોતાની સરહદમાં કરે તો પણ તેના પેટમાં ચૂંક ઉપડે છે. હકીકતમાં ચીન વર્ષોથી સરહદ પર માળખાકીય વિકાસ કરતું રહ્યું છે અને ભારત પણ હવે એ માર્ગે છે. ગત વર્ષોમાં ભારતે એલએસી પર સડકો અને લેન્ડિંગ સ્ટ્રીપનું નિર્માણ કર્યું છે જેથી, સૈનિકોને શસ્ત્ર-સરંજામ પહોંચાડવામાં આસાની થઈ છે. ચીનના સૈન્યની ઘૂસણખોરી સહિત કોઇ પણ અણછાજતી હરકતનો ભારત તત્કાળ જવાબ વાળે છે. ચીન પેટ્રોલિંગ વધારે તો ભારત પણ પેટ્રોલિંગ વધારીને ચીનને તેની જ ભાષામાં આપી રહ્યું છે.
મે મહિનામાં જ બંને દેશો વચ્ચે પૂર્વ લડાખ અને સિક્કિમના નાથુલા સેક્ટરમાં સ્થળે સશસ્ત્ર સંઘર્ષ થયા હતા પરંતુ, પ્રોટોકોલ અને વાતચીત મારફતે વિવાદ ઉકેલાયો હતો. વર્તમાન વિવાદ પૂર્વ લડાખના ગલવાન નાળા અને પેન્ગોંગ સરોવર ખાતે સર્જાયો છે. ગલવાન ઘાટીમાં ભારતે પોતાની સરહદમાં જ વ્યૂહાત્મક સડકનિર્માણ હાથ ધરતા જ ચીને અવરોધ સર્જી સૈનિકો તહેનાત કરીને તંબુઓ બનાવી દીધા અને સામા પક્ષે ભારતે પણ મક્કમતા દર્શાવી સૈન્યબળ વધાર્યું અને તંબુઓ બનાવ્યા હતા.
અગાઉ, ૨૦૧૭માં દોકલામ વિવાદમાં પણ ચીને આક્રમકતા દર્શાવી હતી. જોકે ભારતે નમતું ન જોખતા તે નરમ પડ્યું હતું. દોકલામ વિવાદ ઉકેલાયા બાદ બંને દેશો વચ્ચે ગંભીર અથડામણ ન થાય તેવું સમાધાન થયું હતું પરંતુ, ચીને ફરી આક્રમક તેવર દર્શાવ્યા છે. આમ, ચીને ફરી એક વખત કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી કહેવતને સાચી કરી છે. ભારત સાથે લડાખ સરહદે તણાવને દૂર કરવા શાંતિપૂર્ણ સમાધાન માટે સહમતિ દર્શાવ્યાના બીજા જ દિવસે યુદ્ધાભ્યાસ કર્યો હતો. ખુદ ચીનના સરકારી મીડિયા દ્વારા સૈન્ય યુદ્ધાભ્યાસની તસવીર અને વીડિયો જારી કરાયા હોવાથી તેના વિશે શંકાને કોઈ સ્થાન નથી. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ હુબેઇ પ્રાંતથી ઉત્તર પશ્ચિમે ઊંચાઇએ આવેલા વિસ્તારમાં હજારો પેરાટ્રુપર્સ, બખ્તરિયા વાહનો, ટેન્ક્સ, તોપ અને મિસાઇલ બ્રિગેડ સાથે મોટા પાયે યુદ્ધાભ્યાસ કરી ઝડપથી ભારે શસ્ત્રો અને સૈન્ય સરંજામ પહોંચાડવાની તૈયારીની પણ ચકાસણી કરી હતી.
લડાખ-ગલવાન ઘાટી વિવાદમાં યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ પછી સમાધાન ભલે થયું પરંતુ, તે કેટલું લાંબુ ટકશે તે યક્ષપ્રશ્ન છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ચીનની ઘૂસપેઠિયા નીતિ ચલાવી લેવાશે નહિ અને તેણે સરહદેથી સૈન્ય અને સરંજામ ખસેડી લઈ એપ્રિલ ૨૦૨૦ની સ્થિતિએ પાછાં ફરવું જ રહ્યું. ચીને તો ભૂલવું જ રહ્યું કે ભારત હવે ૧૯૬૨ના કાળનું ભારત રહ્યું નથી જ્યારે, ‘હિન્દી - ચીની ભાઈ ભાઈ’ના નારા ગજાવી રાજનેતાઓને ભોળવી લેવાયા હતા. ભારત આજે પણ શાંતિપ્રિય રાષ્ટ્ર છે પરંતુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ‘શઠં પ્રતિ શાઠ્યમ્’ની કૂટનીતિ અપનાવવામાં પાછું પડે તેમ નથી.