વધતું કોરોના સંક્રમણ ભારત માટે ચિંતાજનક

Tuesday 09th June 2020 13:59 EDT
 

ભારતમાં કોરોના સંક્રમિતોન સંખ્યા સતત વધી રહી છે. વિશ્વસ્તરે સંક્રમણમાં ભારત ૨,૫૮,૦૦૦થી વધુ કેસ સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે. સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે પાંચમા ક્રમના યુકે અને ભારત વચ્ચે હવે ખાસ અંતર નથી. ચિંતાજનક એ છે કે દેશમાં સૌથી વધારે ૮૬,૦૦૦ સંક્રમિત લોકો માત્ર મહારાષ્ટ્રમાં છે જે, કોરોનાના ઉદ્ભવસ્થાન ચીનમાં ૮૩,૦૦૦ સંક્રમિતથી પણ વધુ છે. આ સાથે ગુજરાત, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કેસ સતત વધી રહ્યા છે. જોકે, ઠાલું આશ્વાસન એટલું જ લઈ શકાય કે યુકેના ૪૦,૫૦૦ મૃત્યુઆંકની સામે ભારતમાં ૭,૨૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.
બીજી તરફ, ભારતમાં લોકડાઉન હટાવવાથી કોરોનાનો વિસ્ફોટ થશે તેવી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ની આગાહી સાચી પડતી જણાય છે. લોકડાઉનથી કોરોનાનો પ્રસાર ધીમો પડ્યો હતો તે સાચું પરંતુ, લોકડાઉન લાદવાની જેમ જ તેને હળવું કરવું પણ અનિવાર્ય છે. દેશમાં આઠ જૂનથી કડક શરતો સાથે ધર્મસ્થાનો, મોલ્સ, રેસ્ટોરાં – હોટેલ્સ પણ ખુલી ગયાં છે ત્યારે મોટી સંખ્યામાં કેસ વધી શકે છે. શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ગીચ વસતીએ ગુજરાન ચલાવવા દરરોજ કામ કરવું પડે તેવી સમસ્યા પણ કારણભૂત બની શકે છે. નિષ્ણાતો કહે છે કે ભારતમાં કોરોના પ્રસારના ત્રીજા સ્ટેજ કમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઇ ગઇ છે. હવે ગ્રામ્ય ક્ષેત્રોમાં પણ કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. બિહાર, ઓરિસા અને ઉત્તર પ્રદેશમાં શ્રમિક ટ્રેનમાં બેસીને વતન પાછા ફરેલા શ્રમિકોની સાથે રોગચાળાનો વ્યાપ ગ્રામવિસ્તારો સુધી પહોંચ્યો છે.
‘હૂ’ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન્ કહે છે કે ૧૩૦ કરોડથી વધુ વસતી ધરાવતા ભારતમાં વધેલા કેસની સંખ્યા મધ્યમ ગણાવી શકાય પરંતુ, કેસ બમણા થવાનો દર વધે નહિ તેના પર ચાંપતી નજર રાખી મહામારી વકરે નહિ તેની કાળજી જરૂરી છે. અત્યારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનો દર ત્રણ સપ્તાહ છે. દેશમાં સાજા થવાનો દર પણ વધ્યો છે પરંતુ, ગત સપ્તાહે ૨૪ કલાકમાં એક સાથે ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા તે સારી નિશાની નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાચું જ કહ્યું છે કે ભારતમાં કોરોના ટેસ્ટિંગ વધારાય તો ત્યાં પણ સંક્રમિત લોકોની સંખ્યા ઘણી ઊંચે જઈ શકે છે.
સરકાર આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા લોકડાઉન નિયંત્રણો હળવાં કરી રહી છે ત્યારે જનતાએ જ સાવચેતી રાખવી પડશે. ગીચ શહેરી વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય ન હોવાથી લોકોએ જ કોરોનાને પ્રસરતો અટકાવવો પડશે. જે સ્થળોએ ફિઝિકલ ડિસ્ટન્સિંગ શક્ય ન હોય ત્યાં માસ્ક પહેરીને જવાની સાવચેતી રાખવી આવશ્યક છે. હકીકત એ છે કે માનવીએ હવે કોરોના રોગચાળાની સાથે જ જીવવાનું રહેશે. કોરોના વાઇરસ સામે લડવા હજુ કોઈ વેક્સિન કે દવા શોધાયાં નથી ત્યારે કોરોનાનો ખતરો ટળે નહિ ત્યાં સુધી તેની સામે જંગ ખેલવાનો છે. કાળા માથાના માનવીએ અસંખ્ય આફતો સામે ઝીંક ઝીલી છે ત્યારે જીવનશૈલીમાં પરિવર્તન સાથે કોરોનાનો સામનો પણ અવશ્ય કરી શકાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સવાલ માત્ર સમયનો રહે છે.


comments powered by Disqus