સોશિયલ મીડિયામાં કટાક્ષ ફરી રહ્યો છે કે ‘ઘરમાં પૈસા રાખો તો નોટ બંધ અને બેન્કમાં રાખો તો બેન્ક બંધ!’ આવી રમૂજો અને વ્યંગો તાજેતરમાં કાચી પડેલી યસ બેન્કના સંદર્ભમાં ફરતી થઈ છે. કોઈ પણ બેન્ક બંધ થાય તેનાથી ઘણા પ્રશ્નો સર્જાય છે. બેન્કના ખાતેદારોને તો રોવાનું જ આવે છે કારણ કે તેના નાણાં પરત મળશે કે કેમ તેની ચિંતા રહે છે. આર્થિક વ્યવહારોને અસર થાય છે અને સૌથી વધુ તો દેશની બેકિંગ સિસ્ટમની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઉભો થાય છે. બેન્કિંગ સેક્ટરના ગોટાળા દેશની અર્થવ્યવસ્થા સાથે થતી છેતરપિંડી જ છે. આવા ગોટાળાના કારણે જ અર્થતંત્રની તંદુરસ્તીની પારાશીશી ગણાતાં શેરબજારોનું ધોવાણ થતું રહે છે.
થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રની સહકારી ક્ષેત્રની પીએમસી બેંકના ગોટાળા પછી હવે યસ બેન્કનું ભોપાળું બહાર આવ્યું છે. દેશની મોટા ભાગની બેન્કોમાં નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)નો મુદ્દો મોટી સમસ્યા સર્જી રહ્યો છે. બેન્કોની એનપીએની સમસ્યા વર્ષો જૂની છે પરંતુ, હવે એ એટલી વિકરાળ બની ગઇ છે કે બેન્કિંગ સિસ્ટમ જ નિષ્ફળ જવાની શક્યતા છે. બેન્કો સાથે છેતરપીંડીઓ થતી રહે છે. વિજય માલ્યા કે નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા લોકો જંગી ધીરાણો મેળવી હાથ ઊંચા કરી દે છે અથવા વિદેશ ભાગી જાય છે. આ પછી તો તપાસોના નાટક થતાં રહે છે, જે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવા જેવું જ છે. બેન્કો દ્વારા અપાયેલી ધીરાણ-લોનની રકમો પાછી ન આવે ત્યારે જીવનભર પેટે પાટા બાંધી, થોડું થોડું બચાવી નાની-મોટી પૂંજી જમા કરનારા ખાતેદારોને વધુ શોષાવાનું આવે છે. નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક ભલે ધરપત આપી રહ્યાં હોય કે યસ બેંકના ગ્રાહકોના નાણાં સલામત છે પરંતુ, પોતાની બચતના નાણાં મેળવવા કતાર લગાવવી પડે તે અને નાણાં, જરૂરી સમયે, મળતાં પણ નથી.
સામાન્ય જરૂરિયાતમંદ ગ્રાહકને નાની લોન આપવાની હોય ત્યારે સંખ્યાબંધ દસ્તાવેજો, ચોકસાઈ કરાય છે અને કરોડો-અબજોની લોન ઘડી વારમાં અપાઈ જાય છે. ખાનગી, સહકારી હોય કે સરકારી બેન્કો જવાબદારીના મોરચે જરા પણ ભરોસાપાત્ર રહી નથી. યસ બેન્કની શરૂઆત ૧૫ વર્ષ પહેલા થઇ અને આક્રમક બેન્કિંગના કારણે જોતજાતામાં તે રોકાણકારોની પહેલી પસંદ બની હતી. જોકે, રિઝર્વ બેન્ક દ્વારા એનપીએના ખુલાસાના પગલે મુશ્કેલીઓ વધવા લાગી અને મેનેજમેન્ટમાં ચાલતી ગરબડે કોફિનમાં છેલ્લો ખીલો માર્યો હોય તેવી પરિસ્થિતિ સર્જી હતી.
યસ બેન્કની લોન બૂક છેલ્લા પાંચ વર્ષમાં અભૂતપૂર્વ રીતે વધી છે. બેન્કે ૨૦૧૪માં ૫૫,૬૩૩ કરોડ રૂપિયાનું ધીરાણ કર્યું હતું જે વર્ષ ૨૦૧૯માં ૨૪૧,૪૯૯ કરોડ રૂપિયાનું થયું હતું. આનો અર્થ એ જ કરી શકાય કે બેન્કે ‘યસ’ કહીને લોન્સ આપવામાં પાછું વળીને જોયું ન હતું. આવી લોન લેનારામાં દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને નાદારીની કગારે પહોંચેલા અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન સહિતની કોર્પોરેટ્સ મુખ્ય છે, જેઓ લોન પરત કરવાની હાલતમાં નથી. આ લોકોને પર્સનલ ગેરંટી પર લોન અપાઈ હતી, જે સારી બેન્કિંગ નીતિ ગણી શકાય નહિ. આટલી ઝડપે લોન્સનું પ્રમાણ વધ્યું અને રિઝર્વ બેન્કે તાત્કાલિક પગલાં લીધાં નહિ તે પણ મોટી નિષ્ફળતા જ છે.
આવી ડૂબેલી યસ બેન્કને જીવાડવાના પ્રયાસ થઈ રહ્યા છે તેના પ્રશ્નો પણ અવશ્ય સર્જાશે. ભારતીય રિઝર્વ બેન્કે યસ બેન્કને ઉગારવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના માથે જવાબદારી થોપી દીધી છે. સ્ટેટ બેન્ક ગ્રૂપ બેન્કોની એનપીએ સામે ઝઝૂમી રહી છે ત્યારે યસ બેન્કમાં તેણે ૪૯ ટકાનો હિસ્સો લેવાનો થશે. દેશની જનતાના પૈસા દ્વારા કોઇ ખાનગી ક્ષેત્રની બેંકને ઉગારવાના પ્રયાસની પ્રથમ ઘટના છે. ભારતીય બેન્કિંગ સિસ્ટમ બચત આધારિત જ રહી છે પરંતુ, સસ્તા દરે લોન આપવાની હોડની સામે બચતો પરના વ્યાજ દરો ઘટાડવાથી બચતોનો સ્રોત ઘટી ગયો છે. રિઝર્વ બેન્ક ચેતવણીઓ આપે કે યસ બેન્કના રિવાઈવલ પ્લાન્સ જાહેર કરે તેનાથી થયેલું નુકસાન તો ભરપાઈ થવાનું નથી.