વડીલો સહિત સર્વે વાચકમિત્રો,
આ સપ્તાહે મારી કોલમનું મથાળું કદાચ તમને અટપટું લાગશે. ધીરજ રાખજો, આ લેખને ગણિતશાસ્ત્ર સાથે કોઈ જ સંબંધ નથી. આપ સહુ જાણો છો તેમ મારા મોટા ભાગના લેખ મારા દૈનિક વિચારવિમર્શ અને ચિંતન-મનનની નીપજ હોય છે. આ લેખ પણ તેના જ પરિણામરુપ છે. મારા ભારતના તાજેતરના પ્રવાસ દરમિયાન કેટલાક પ્રતિષ્ઠિત નેતાઓ અને બિઝનેસમેનને મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. ગુજરાતના વલ્લભ વિદ્યાનગર ખાતે મારા ટુંકા રોકાણ દરમિયાન મારી એક નહિ, સાત અગ્રણી વકીલો સાથે મુલાકાત થઈ. સામાન્ય વાતચીત થઈ અને તેમાંના બે વકીલોએ મને સરળતાથી કહી દીધું કે તેઓ અને તેમના પરિવારો વિદેશ વસવા જવાનું વિચારી રહ્યા છે.
દેખીતી રીતે જ મને આશ્ચર્ય થયું અને મેં તેમને પ્રશ્ન કર્યો કે પોતાની સારી વર્તમાન જીંદગીને મૂળ સહિત ઉખેડવાનું શા માટે વિચારી રહ્યા છો? તેમનો ઉત્તર ખરેખર આઘાતજનક હતો. બંનેએ કહ્યું કે તેમના માનવા મુજબ તેમના સંતાનો અને તેમના પણ બાળકોએ મુસ્લિમ કોમ્યુનિટીના પ્રભુત્વ હેઠળના ભારતમાં જીવવું પડશે એમ જણાય છે.
આ કથન વાહિયાત હોવાનું હું બરાબર જાણું-સમજું છું. હવે તમે કદાચ વિચારતા હશો કે આમાં આંકડા કે સંખ્યાની વાત ક્યાં આવી? હું એ વાત પર આવું. સતત વાંચનની મારી આદતના કારણે ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખ મારા વાંચવામાં આવ્યો. તેમાં જણાવાયું હતું કે દરેક મહિને મોટી સંખ્યામાં સુખીસંપન્ન ભારતીય પરિવારો વિદેશ સ્થળાંતર કરી જાય છે. તેમાં પણ એમ પણ જણાવાયું હતું કે આ લોકો પોતાની સાથે સરેરાશ પાંચ મિલિયન પાઉન્ડથી વધુ લેતા આવે છે. તેઓ યુકેમાં બિઝનેસ સ્થાપવા માટે ચોક્કસ નાણાકીય વ્યવસ્થા ધરાવતા માઈગ્રન્ટ્સને વસવાટની પરવાનગી આપતી કાનૂની જોગવાઈનો પણ વિચાર કરે છે. એમ કહેવાય છે ને ‘પૈસો પૈસાને ખેંચે’ આમ, ધનવાન લોકો અહીં મોટા પ્રમાણમાં બિઝનેસ સ્થાપવા આવે છે.
હવે જરા ધારીએ કે ભારતમાં વધી રહેલા મુસ્લિમ સમુદાયના પ્રમાણના લીધે વધુ અને વધુ લોકો ભારત છોડી જવાનું વિચારતા હોય છે. આ સંદર્ભે મેં થોડીક કાલ્પનિક વાતોમાંથી સત્ય તારવવાનો નિર્ણય કર્યો છે. વિશ્વની વર્તમાન વસ્તી ૭.૭ બિલિયન હોવાનું કહેવાય છે. આમાંથી, આશરે ૨.૨ બિલિયન વસ્તી ક્રિશ્ચિયન છે તેઓ બે ફાંટામાં વિભાજિત છે. પ્રથમ વિશ્વના દેશોમાં વસતા ક્રિશ્ચિયનો સમૃદ્ધ અને બધે જાણીતા જાણીતા છે. જોકે, આફ્રિકા, લેટિન અમેરિકા તેમજ ફિલિપાઈન્સ, વિયેતનામ અને અન્ય એશિયન દેશોમાં તેમની હાલત સારી કહી શકાય નહિ.
આ પછી, વિશ્વમાં મુસ્લિમ સમુદાયનો ક્રમ આવે છે જેમની વસ્તી અંદાજે ૧.૮ બિલિયન લોકોની છે. મુસ્લિમ વર્ચસ્વ સાથેના દેશોનો ગ્રેટર મિડલ ઈસ્ટ વિસ્તાર ઓઈલ અને મિનરલ્સથી સમૃદ્ધ છે. આ દેશોની કુલ ઘરેલુ પેદાશ (GDP)નું પ્રમાણ ઊંચુ છે પરંતુ, તેમની માથાદીઠ આવક આશ્ચર્યજનક રીતે નીચી છે. સાઉદી અરેબિયા, અમિરાત, કુવૈત અને ઈરાકમાં નાણા ભરપૂર છે પરંતુ, અમીર અને ગરીબ વચ્ચે અસમાનતાની ખાઈ ઘણી મોટી છે.
મારે કહેવાનો મુદ્દો એ છે કે સંખ્યા-આંકડા અને સંપત્તિથી સત્તા, વગ કે જીવનની ગુણવત્તા પ્રાપ્ત થતી નથી તે સત્ય સ્વીકારી લેવું જોઈએ. મિડલ ઈસ્ટના તાકાતવર-સંપત્તિવાન શેખ અને અમીરો વિશે શું કહીશું? તેઓ ભલે સ્વીકારવા તૈયાર ન થાય પરંતુ, તેઓ પોતાની સુરક્ષા માટે પશ્ચિમ અને ખાસ કરીને યુએસ પર જ નિર્ભર રહે છે.
પોતાની જ કોમ્યુનિટીના સભ્યો દ્વારા મુસ્લિમો પરના અત્યાચાર કે જુલ્મને કેવી રીતે આપણે ભૂલી શકીએ? આ વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં ત્રાસવાદ, હિંસા અને પોતાના જ નાગરિકોની હત્યા જેવી બાબતો રોજિંદી બનતી રહે છે. અન્ય કોઈ વિસ્તાર કરતાં અહીં જ વધુ અને વધુ મુસ્લિમોની દરરોજ કત્લેઆમ જાતભાઈઓના હાથે જ થતી રહે છે.
સાઉદી અરેબિયાની વાત કરીએ તો ૧૯૭૩ના યુદ્ધ પછી, ઓઈલની કિંમતો ચાર ગણી વધી જવા સાથે દેશ સમૃદ્ધિથી છલકાઈ ગયો હતો. જોકે, તેણે મોટા ભાગના નાણાનો ઉપયોગ વહાબી ઈસ્લામના પ્રસાર પાછળ કર્યો છે. કેટલાક માને છે કે વહાબી ઈસ્લામના સિદ્ધાંતોના ઉપદેશકો ઈસ્લામનું ખોટું અર્થઘટન કરે છે અથવા ઈરાદાપૂર્વક જંગલિયાત-નિર્દયતાને ફેલાવવા તેનો દુરૂપયોગ કરે છે. વધુ અને વધુ મુસ્લિમો આ સત્ય જાણે છે પરંતુ, ચોક્કસપણે ધાકધમકી અથવા ભયના કારણે જાહેરમાં તેના વિરુદ્ધ બોલતા ખચકાય છે, એમ બહાર આવ્યું છે.
હવે ભારતીય ઉપખંડમાં વસતા મુસ્લિમોની વાત કરીએ. વ્હોરા, ઈસ્માઈલીઓ, ઈશ્નાશરીસ, મેમણ, અહમદિયા, આ બધી કોમ સુશિક્ષિત અને ઉચ્ચ આદરને પાત્ર છે. તેઓ સહિષ્ણુતા, શિક્ષણ, પ્રોફેશનાલિઝમ, એન્ટ્રેપ્રીન્યોરશિપના મૂલ્યો જાણે છે જેના પરિણામે, તેઓની સંખ્યા હિન્દુઓના સ્તર પર છે એટલું જ નહિ, તેઓ જે ઈસ્લામનું પાલન કરે છે તેમાં ચોક્કસ પ્રકારની સ્થિરતા છે.
વિશ્વમાં ૧.૧ બીલીયન હિન્દુ વસે છે. મારે એ પણ કહેવું છે કે ભારતીય કોમ્યુનિટીમાં જ લોહાણા, અનાવિલ બ્રાહ્મણ જેવી અન્ય લઘુમતીઓ પણ છે જેમની સંખ્યા દસેક લાખની આસપાસ હશે. માત્ર ૧૦.૩ મિલિયનની વસ્તી ધરાવતા જૈનો પણ ઉચ્ચ સુશિક્ષિત અને ઉદ્યોગસાહસિક છે. ભારતીય રાજદ્વારી સેવા, સિવિલ સર્વિસીસ અને પરોપકારિતા જેવા ક્ષેત્રોમાં તેમનું નોંધપાત્ર પ્રતિનિધિત્વ છે. તેઓ માત્ર ભારતમાં જ નહિ, ઈસ્ટ આફ્રિકા, કેનેડા, યુકે, યુએસએ તેમજ અન્ય દેશોમાં પણ સફળતાને વર્યા છે.
પટેલ કોમ્યુનિટી મુખ્યત્વે કડવા પાટીદાર અને લેઉઆ પાટીદારમાં વહોંચાયેલી છે અને તેમની સફળતા વિશે સાહિત્યો લખાયા છે. તેઓ લાખો પાઉન્ડના ખર્ચે ગુજરાતમાં વિશાળ મંદિરો અને સ્મારકોનું નિર્માણ કરે છે. ગુજરાતની વસ્તીમાં પાટીદાર કોમ્યુનિટી લગભગ ૨૦ ટકાનો હિસ્સો (અંદાજે ૧૩ મિલિયન) ધરાવે છે. તેમણે મોટી સંખ્યામાં નોર્થ અમેરિકા, યુકે, ઈસ્ટ આફ્રિકા તેમજ અન્ય દેશોમાં સ્થળાંતર કર્યું છે અને અન્ય માઈગ્રન્ટ્સ કરતાં વધુ નહિ તો તેમના જેટલો જ વિકાસ સાધ્યો છે.
હવે એક નજર જ્યુઈશ-યહુદી સમુદાય તરફ પણ કરી લઈએ. સમગ્ર વિશ્વમાં યહુદીઓની સંખ્યા લગભગ ૧૬ મિલિયન જેટલી જ છે. યહુદી રાષ્ટ્ર ઈઝરાયેલમાં છે તેટલી સંખ્યામાં કે વધુ યહુદીઓ નોર્થ અમેરિકામાં પણ છે. જોકે, પોતાની વસ્તીના મક્કમ નિર્ધાર અને સિદ્ધિ, સમર્પણ તેમજ વિશ્વભરની યહુદી પ્રજાની મદદ સાથે ઈઝરાયેલની માથાદીઠ આવક સાઉદી અને અમિરાત દેશો કરતાં ઘણી ઊંચી છે. આ નાનકડો દેશ રાજકીય દૃષ્ટિએ એટલો શક્તિશાળી છે કે તેમની આસપાસ પથરાયેલા ૨૦૦ મિલિયનથી વધુ મુસ્લિમોની સામે ઝીંક ઝીલી શકે છે. માત્ર સંખ્યા પ્રભાવ માટે જ પૂરતી ન હોવાનો આ બોલતો પુરાવો છે.
પ્રખ્યાત શાયર અલામા મુહમ્મદ ઈકબાલની પ્રસિદ્ધ કવિતા ‘સારે જહાં સે અચ્છા’ માં જણાવે છેઃ
‘યુનાન-ઓ-મિસ્ર- ઓ રોમા સબ મિટ ગયેં જહાં સે
અબ તક મગર હૈ બાકી નામ-ઓ-નિશાં હમારા
કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહિ હમારી’
અર્થાત, રોમન, ગ્રીક, પર્શિયન, ઈજિપ્શિયન સહિતની ઘણી સભ્યતાઓ હિંસક મુસ્લિમ આક્રમણોના વેગીલા પ્રવાહમાં નષ્ટ થઈ પરંતુ, એક માત્ર હિન્દુસ્તાન અડીખમ ઉભું રહ્યું છે. આનું કારણ શું હોઈ શકે? સનાતન ધર્મનો આદર્શ માત્ર મૂર્તિપૂજાથી પણ વિશેષ છે. અસંખ્ય દેવી-દેવતા છે અને તમામની પૂજા થાય છે પરંતુ વાસ્તવમાં આ દેવો મૂલ્યો અને સદ્ગુણોના પ્રતીક છે. જેવી રીતે ગણેશ ડહાપણ અને બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે તેમ લક્ષ્મી અને સરસ્વતી અનુક્રમે ઐશ્વર્ય અને જ્ઞાનનાં પ્રતિનિધિ છે. સનાતન ધર્મે અસ્તિત્વ જાળવ્યું છે અને હજુ પણ અસ્તિત્વ જાળવશે કારણ કે આપણો ધર્મ માત્ર રીતરિવાજ, કર્મકાંડ, દેવી-દેવતાઓ કે મૂર્તિઓમાં સમાયો નથી. તેના હાર્દમાં તો મૂલ્યો અને સદ્ગુણો જ રહેલાં છે.
હિન્દુઈઝમમાં સંપ્રદાયોનું વિકેન્દ્રીકરણ લોકોને ગુરુઓના માધ્યમથી આસ્થા કે ધર્મ સાથે સાંકળવામાં વધુ મદદરુપ બને છે. સ્વામીનારાયણ ધર્મનું જ ઉદાહરણ લઈએ. આ આસ્થામાં જ ૨૨ અલગ સંપ્રદાયો છે અને દરેક સંપ્રદાય પોતાના અનુયાયીઓને આગવી રીતે ધર્મમાં આસ્થા રાખવાનું શીખવે છે.
મારે એ કહેવાનું છે કે ગરીબી, અજ્ઞાન અને સાથી મુસ્લિમો સાથે અનંત યુદ્ધની પરિસ્થિતિએ આધુનિક વિશ્વમાં રક્તપાતની સૌથી મોટી સમસ્યાઓમાંની એકનું સર્જન કર્યું છે. દરરોજ નિર્વાસિતોની કતાર યુરોપ અને અન્ય દેશોમાં વધતી જાય છે. મારું કહેવાનું હાર્દ એ જ છે કે માત્ર સંખ્યા એ જ સર્વોપરિ નથી.
લોકો મને સતત એક પ્રશ્ન કરે છે કે ભારતમાં આર્થિક સમસ્યાઓ તેમજ અન્ય મુદ્દાઓ છતાં લોકો શા માટે નરેન્દ્ર મોદીને સત્તામાં લાવતા રહે છે? સત્ય એ છે કે સદીઓથી ભારતમાં હિન્દુઓ ભેદભાવ, ધમકી અને દમન હેઠળ જીવતા રહ્યા છે. તાજેતરના વર્ષોમાં પહેલી જ વખત એવો શાસક-નેતા મળ્યો છે જે સ્વધર્મને સમર્પિત છે. મોદી મુસ્લિમવિરોધી નથી કે હિન્દુતરફી નથી. આ તફાવત લોકો સમજે તે આવશ્યક છે. (એશિયન વોઈસમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ)