સાવચેતી રાખો, સ્વાસ્થ્ય સાચવો ને કોરોના ટાળો

સી. બી. પટેલ Tuesday 12th May 2020 13:55 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચારેબાજુ કોરોના વાઇરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે આ જ બહુચર્ચિત મુદ્દા પર કેટલીક રજૂઆત કરવી જરૂરી લાગે છે. હા, એટલી સ્પષ્ટતા કરી દઉં કે આ રજૂઆતનો દષ્ટિકોણ અને હેતુ અલગ છે. કદાચ આપને એવું પણ લાગશે કે ‘અરે સી.બી., આ તો તમે આપવીતી જણાવી રહ્યા છો’ તો કહી દઉં કે તમારી આ ધારણા સાચી છે. આમ પણ આ ‘જીવંત પંથ’નો પ્રારંભ મારી સાથે બનેલી એક ઘટનાના ગાથા-ગાન સાથે જ થયો હતોને?!
હું બાથરૂમમાં પડી ગયો. મને લાગ્યું કે આવું તો ઘણાના જીવનમાં બનતું હશે, પણ હું આ ઘટનાને વાચા આપીને બીજા લોકોને મારા જેવી ભૂલ કરતાં અટકાવી શકું એમ છું. મારા આ અનુભવ અને તેમાંથી લેવા જેવા બોધપાઠ વિશે લખ્યા બાદ કેટલાય વાચક મિત્રોએ તેને પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો હતો. આ જ રીતે આ કોલમમાં હું મારા ‘કાયમી મિત્ર’ ડાયાબિટીસની વાત અવારનવાર છેડતો રહ્યો છું. આપના તરફથી અનેક વખત એવા પ્રતિભાવ સાંપડ્યા છે કે ડાયાબિટીસ થયો હોય ત્યારે તનની અને મનની કાળજી કેવી રીતે રાખી શકાય તે અંગે ખૂબ ઉપયોગી માહિતી સાંપડી છે.
જોકે વાચક મિત્રો, આજે જે રજૂઆત કરી રહ્યો છું તેમાં નથી આપવડાઇ કે નથી હમદર્દીની આશા. એક જ ઉદ્દેશ છે - ચેતતા નર કે નારી સદા સુખી.
આ દેશના ૬૫ વર્ષથી મોટી વયના લાખો નર-નારીઓને એપ્રિલના અંત ભાગમાં આરોગ્ય સંબંધિત એક પરિપત્ર પાઠવાયો છે. સંબંધિત જીપીની સર્જરીમાંથી આવેલા આ પરિપત્રમાં દર્દીનું નામ, નિવાસસ્થાનની વિગત સાથે NHS નંબર વગેરે સહિતની માહિતી છે. આમ તો NHS તરફથી અગાઉ પણ આવા પરિપત્રો આવતા રહ્યા છે, પરંતુ આ પરિપત્ર અલગ છે.
આ પત્રમાં કોરોના વાઇરસથી કેમ બચવું તેની સાદી અને સરળ સમજૂતી આપવામાં આવી છે. (આ અંગે આવશ્યક માહિતી પ્રકાશિત કરવા ગુજરાત સમાચાર અને Asian Voice શક્ય તમામ પ્રયાસો કરતા રહ્યા છે.) આ ઉપરાંત ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, કિડનીની બીમારી કે પ્રોસ્ટેટ, હૃદયવ્યાધિ કે તેના જેવી કોઇ ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાઇરસ વળગી પડ્યો તો સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
વાચક મિત્રો, આમાં કંઇ ધાકધમકી નથી, પણ કઇ રીતે ખાણીપીણી, શારીરિક-માનસિક સક્રિયતા, ઘરની અંદરનું ટેમ્પરેચર, તમારું બોડી ટેમ્પરેચર વગેરે અંગે આવશ્યક સમજ આપવામાં આવી છે. પરિપત્રમાં દરેકને એવી સલાહ પણ આપવામાં આવી છે કે જો તમને કોરોના વળગી પડવાનો ભય હોય તો તમારી બેગ તૈયાર રાખજો. આ બેગમાં તમારે શું શું મૂકવાનું છે?
અતિ નિકટના સ્વજનનો કોન્ટેક્ટ નંબર, જો તમે કોઇ દવા લેતા હો તો તે દવા અને તેની માહિતી, જો તમે કોઇ ચોક્કસ પ્રકારનું ડાયેટ લેતા હો તો તેની વિગત, જીપીમાં કોઇ એપોઇન્ટમેન્ટ બુક કરાવી હોય તો તેની જાણકારી અને જો હોસ્પિટલમાં ચેક-અપ દરમિયાન તમારે રાત્રે ત્યાં જ રોકાવું પડે તો નાઇટ ડ્રેસ, થોડોક નાસ્તો અને પાણીની બોટલ.
સુજ્ઞ વાચક મિત્રો, આ બધું વાંચીને હવે તમે મને એ નહીં પૂછતાં કે સી.બી., અમને તો આ બધું લખી જણાવો છો, પરંતુ તમે ખુદ બેગ તૈયાર કરી છે ખરી? સાચું કહું તો, આ પરિપત્ર હવે આવ્યો, બાકી મારી આવી બેગ લગભગ - કાયમી ધોરણે - તૈયાર જ હોય છે. આમ તો પરિવારજનો સાથે રહેતી વ્યક્તિ માટે આવી તૈયારીની ખાસ જરૂર નથી, પણ એકલા હોય તેમણે તો આવી ઇમરજન્સી બેગ તૈયાર રાખવી જ જોઇએ.
આ પરિપત્ર પાઠવ્યા પછી જુદી જુદી સર્જરીના ડોક્ટર્સે કેટલાક પસંદગીના પેશન્ટ્સને ફોન પણ કર્યા હતા. આમાં મારો પણ નંબર લાગ્યો. સમસ્ત બ્રિટનના આરોગ્યની સંભાળ લેતી NHSની વાત હોય કે તેના ડોક્ટર્સની વાત હોય કે પછી કર્મચારીની - સહુ કોઇ ભારે ફરજપરસ્ત. મારો અને જીપીનો નાતો બે દસકા જૂનો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. તેઓ મારા આરોગ્યની કાળજી લે છે અને હું તેમની સુચનાઓના પાલનની. ૨૦ વર્ષથી એક જ જીપી હોવાના કારણે તેઓ મારા શરીરની એક-એક રગથી વાકેફ છે એમ કહું તો પણ ખોટું નથી. તેઓ મારા શરીરની તમામ ખૂબી-ખામી જાણે છે એટલું જ નહીં, મારા પરિવારજનોથી પણ વાકેફ છે. અમારી ભોજનશૈલીથી માંડીને લાઇફસ્ટાઇલથી પણ માહિતગાર છે ત્યારે સ્વાભાવિક છે કે વ્યવસાયથી તો માહિતગાર હોવાના જ. જીપીએ ફોન પર ઔપચારિક હાય-હેલ્લોથી શરૂ કર્યા પછી સિફતપૂર્વક વાત આગળ વધારી.
સી.બી. કેમ છે? ઓલરાઇટ છે? કંઇ તકલીફ ખરી? આજકાલ બ્લડ સુગર કેવું છે? તને લેટર તો મળી જ ગયો હશે. ૮૪મું વર્ષ ચાલે છે અને વર્ષોથી ડાયાબિટીસ પણ છે એટલે વધુ કાળજી રાખવી જરૂરી છે... પછી હળવેકથી કહે કે આમ તો તારી હેલ્થ ફાઇન જ છે, ખાસ કંઇ ચિંતા કરવા જેવું નથી, પરંતુ જો તને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે, હાલત ગંભીર થઇ જાય કે પછી હૃદય ધબકતું બંધ થઇ જાય અથવા તો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર કે વેન્ટીલેટર પર રાખવાની જરૂર પડે કે પછી તું કોમામાં સરી પડે તો આવા મેડિકલ ઇમરજન્સીના સમયે જરૂરી નિર્ણય લેવા તેં કોઇને ઓથોરિટી તો આપી રાખી છેને...?
આ જો અને તો... બહુ લાંબુ ચાલ્યું. તેમનો કહેવાનો મતલબ એ હતો કે જો તમે કોઇ નિકટના સ્વજનને આ પ્રકારનો નિર્ણય કરવાની ઓથોરિટી આપી રાખી હોય તો સારવારના સમયે ઘણી મુશ્કેલી નિવારી શકાય છે. મેં જણાવ્યું કે આવા કટોકટીના સમયે નિર્ણય લેવા માટે દીકરાને પરવાનગી આપી રાખી છે. આવા સમયે તે જ નક્કી કરશે કે ક્યા સંજોગોમાં શું કરવું? લાઇફસપોર્ટ સિસ્ટમ રાખવી કે વેન્ટીલેટર ક્યારે હટાવી લેવું તેનો નિર્ણય એ કરશે. વાચક મિત્રો, આપણી વયને ધ્યાનમાં લઇને હંમેશા કોઇ નિકટના સ્વજનને આવા નિર્ણયો લેવાની જવાબદારી આગોતરી સોંપી દેવામાં જ ડહાપણ છે. આપણે હોસ્પિટલમાં ક્યા સમયે કઇ સ્થિતિમાં પડ્યા હોઇએ તે કોણ જાણે? આપણા રિવાઇવલની શક્યતા હોય, પરંતુ જો ફરી તંદુરસ્ત જીવન ન જ મળવાનું હોય તો કેવી હાલત થાય? આ બધું લખીને હું વડીલ ભાઇઓ - બહેનોને ડરાવી નથી રહ્યો, પરંતુ એક શક્યતા રજૂ કરી રહ્યો છું કે આવું કંઇ પણ બની શકે છે. વળી, આપણને આરોગ્ય સેવા પૂરી પાડતા તંત્રની આ જ વ્યવસ્થા છે.
જીપી સાથેની વાતચીત બાદ મારા જ મનમાં વિચાર ઝબકી ગયો કે આ બંદાને તો બહુ જીવવું છે... સમાજ માટે ઘણા ઉપયોગી કામો કરવા છે... અખબારી માધ્યમથી સમુદાયની સેવા કરવી છે... પણ ન કરે નારાયણ ને કંઇ થઇ ગયું તો?! બે ઘડી તો ધબકારા વધી ગયા. તે સમયે તો માથું હલાવીને નકારાત્મક વિચારો ખંખેરી નાંખ્યા, પણ...
...કાગનું બેસવું ને ડાળનું પડવું. ઉક્તિ તો આપ સહુ જાણતા જ હશો. એવું જ બન્યું. પણ પહેલા એક આડ વાત.
ડોક્ટરની સુચના અનુસાર, દરરોજ બે વખત નિયમિત બ્લડ સુગર ચેક કરતો રહું છું. સામાન્ય સુચના એવી છે કે યુકેમાં રહેનાર વ્યક્તિને ભોજન પહેલાં ૪થી ૭ વચ્ચે અને ભોજનના બે કલાક બાદ ૭થી ૧૧ બ્લડ સુગર રહે તો તે આદર્શ ગણાય. આ જનરલ ગાઇડલાઇન છે. આમાં વય, બીજા રોગો, કેટલા સમયથી ઇન્સ્યુલિન લો છો, લાઇફસ્ટાઇલ કેવી છે વગેરે જેવા પરિબળો પણ બ્લડ સુગરના આંકડાને અસર કરતા હોય છે. જીપીએ આપણી તાસીર જોઇને આપેલી સુચના અનુસાર આંકડાને અનુસરવાનું હોય છે.
મારી જ વાત કરું તો, છેલ્લા ૪૨ વર્ષથી ડાયાબિટીસ મારો કાયમી મિત્ર છે. તે સખણો રહે છે કે કૂદાકૂદ કરતો રહે છે તેનો અંદાજ મને તો આવી જ જાય ને? અશક્તિ આવી જાય, બેચેની વર્તાય, પરસેવો વળે એ બ્લડ સુગરમાં વધઘટનો પહેલો અને પાયાનો સંકેત. અગાઉ કહ્યું તેમ જીપી સાથે મારો સારો નાતો છે અને તેઓ મને જવાબદાર પેશન્ટ માને છે. કારણ કે તેમની સુચનાને બ્રહ્મવાક્યની જેમ અનુસરવા પ્રયાસ કરું છું. ખાણીપીણીથી માંડીને લાઇફસ્ટાઇલમાં તેમની સલાહનું શિસ્તબદ્ધ પાલન કરું છું. આખા વર્ષમાં બે - ત્રણ વખત તેઓ બ્લડ ટેસ્ટ કે એવા કામ માટે મને બોલાવે છે તે સિવાય ક્યારેય જવું પડ્યું નથી. જો દર્દી પોતાના તન-મનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી ન દાખવે કે બેજવાબદાર વર્તન દાખવે તો ગમેતેવા નિષ્ણાત ડોક્ટર કે NHS શું કરી શકે?
ખેર, પાછો મૂળ વાતનો તંતુ સાધીએ તો... ગયા સપ્તાહે લંચ બાદ નિત્ય ક્રમ અનુસાર આરામ કરીને નમતી બપોરે પથારીમાંથી બેઠો થયો હતો. ઘરમાં જ (અત્યારે આમેય બહાર ક્યાં નીકળવા જેવું છે?) ડગલું માંડ્યું કે તરત જ ચક્કર આવતા હોય તેવું લાગ્યું. ચાલવામાં પણ બેલેન્સ જતું રહેતું હોય તેવું અનુભવ્યું. મેં સાંભળ્યું હતું કે બ્લડ પ્રેશર હાઇ થઇ જાય ત્યારે આવું થાય. બીપી માપ્યું તો આંકડો ૨૦૦થી ઉપર કૂદકા મારતો હતો. પલ્સ પણ ૩૩-૩૪ જેટલા નીચે પહોંચ્યા હતા. સામાન્યતઃ આવું બને ત્યારે તરત જ જીપીને ફોન કરવો જોઇએ.
જીપીની સર્જરીમાં ફોન કર્યો. રિસેપ્શનિસ્ટે મારી તકલીફ જાણીને કહ્યું કે જીપી અત્યારે તો બિઝી છે, પરંતુ વહેલી તકે તમને ફોન કરશે. થોડી જ વારમાં ફોન આવ્યો. શું ખાધું? બ્લડ સુગર શું હતી? અત્યારે ફરી ચેક કરીને કહે... ૪.૫ હોવાનું જણાવ્યું તો કહે કે તારી ઉંમરની અસર વર્તાઇ રહી હોય તેવું લાગે છે. વળી વર્ષોથી ડાયાબિટીસ છે. કંઇક ગળ્યું ખાઇ લે કે હળવો નાસ્તો કરી લે. મેં ચોકલેટનો ટુકડો ખાધો. જીપીએ મને સમજાવ્યું હતું કે શરીરમાં સુગર લેવલ ઘટે તો પણ આવું રિએક્શન આવી શકે છે.
સામાન્ય રીતે ટનાટન રહેતા શરીરમાં આવી ઉથલપાથલ જોવા મળ્યા બાદ હવે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગ્રત બન્યો છું. દિવસમાં બે વખતના બદલે ત્રણ - ચાર વખત બ્લડ સુગર ચેક કરું છું. ડોક્ટરે બીજી પણ એક સરસ વાત કહીઃ ‘અમે ભલે તમને - ડાયાબિટિક પેશન્ટને - કહીએ કે બ્લડ સુગરનું પ્રમાણ ૪થી ૭ અને ૭થી ૧૧ રહેવું જોઇએ, પણ આ જનરલ ગાઇડલાઇન છે એ ન ભૂલો. માનો કે તારી આ ઉંમરે ૪થી ૭ની ટકાવારીમાં આંકડો થોડોક ઉપર-નીચે જોવા મળે તો પેનિક નહીં કરવાનું.’
વાચક મિત્રો, મારી જ વાત કરું તો હું દિવસમાં ૪ વખત ઇન્સ્યુલિન લઉં છું અને છ જાતની ટેબ્લેટ. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર પહેલાં રેપિડ ઇન્સ્યુલિન ૯થી ૧૦ યુનિટ - જરૂરત પ્રમાણે. રાત્રે સૂતા પહેલાં લેન્ટુસ ૧૬ યુનિટ લઉં છું. જે મને બધી રીતે માફક આવે છે. જે ૬ જાતની ટેબ્લેટ લઉં છું તેમાં પાણીમાં ઓગળી જાય તેવી એસ્પિરીન, હાર્ટ માટે, કિડની માટે અને પ્રોસ્ટેટ માટે એક-એક ગોળી અને એક ગોળી બ્લડ પ્રેશર માટે. છેલ્લા થોડાક વર્ષોથી ડોક્ટરે મને ખૂબ નાની માત્રામાં સ્ટેટિન લેવાનું પણ કહ્યું છે. આ બધું ઉંમરના ઉપલક્ષમાં સાવચેતી માટે જ છે.
જીપીએ વાતવાતમાં જ મારું ધ્યાન દોરતાં કહ્યું કે ઘણા લોકો જાતે જ ડોક્ટર બની બેસે છે. આ બાબત બહુ ખતરનાક છે. તેમણે મને ખાસ સલાહ આપી કે બ્લડ પ્રેશર હાઇ થઇ જાય કે પલ્સ લો થઇ જાય તો તું જાતે ડોક્ટર નહીં બની જતો. આમ તો તું આવું કરતો નથી છતાં કહી દેવું સારું. જરૂર પડે ત્યારે અમને પૂછી લેવાનું.
સુજ્ઞ મિત્રો, આદરણીય વડીલજનો, આ આરોગ્યકથા થકી એટલું જ કહેવું છે કે આપણું આરોગ્ય આપણા હાથમાં. મારે તો સદાબહાર સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુ માણવું છે. હું આ વાતને ધ્યાનમાં રાખીને જ મારા આરોગ્યનું જતન-સંવર્ધન પણ કરું છું. મોજશોખ માટે લાંબા આયુષ્યની કામના નથી, પણ આપની સેવાના અભરખા છે. ઇરાદો નેક છે તો આશીર્વાદ આપજો. આપ સહુ પણ નિરામય દીર્ઘાયુ પામો તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના... (ક્રમશઃ)


comments powered by Disqus