યુકે અને યુરોપના દેશોમાં કોરોના વાઈરસ મહામારીનું નવેસરથી આક્રમણ જોવાં મળ્યું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને યુકેમાં ટ્રાફિક લાઈટની માફક ત્રિસ્તરીય લોકડાઉન નિયંત્રણો લાદવાની ફરજ પડી છે કારણકે સંક્રમણનું જોર ફરી વધતું જાય છે. લંડનમાં અથવા તો ઈનરસિટીમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ, નોર્થના વિસ્તારોમાં સંક્રમણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. આ સમયે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું માત્ર કોરોના મહામારીના કારણે જ આ બધું થાય છે? મહામારીના સમયમાં શું કરવું અને શું ના કરવું તેની ગાઈડલાઈન્સ જાહેર કરાતી હોય છે પરંતુ, આપણે તે ગાઈડલાઈન્સનું પાલન કરીએ છીએ ખરાં? આપણે સમાજમાં રહીએ છીએ ત્યારે માત્ર આપણા નહિ, સમાજના ભલા માટે પણ સરકારી ગાઈડલાઈન્સને અનુસરીએ તે આવશ્યક છે. જોવાં મળ્યું છે કે લોકડાઉન નિયંત્રણોમાં થોડી છૂટછાટો મળી તેનો ભારે દુરુપયોગ કરાયાના કારણે જ કોરોના વાઈરસનું બીજું સંક્રમણ આપણા પર હાવી થઈ રહ્યું છે.
કોરોના મહામારીના મૃતકો સંદર્ભે ઘણા અભ્યાસો થયા છે. એક અભ્યાસ સ્પષ્ટ કરે છે કે શારીરિક નિષ્ક્રિયતા કોરોનાથી મોત તરફ ધકેલી શકે છે અને બ્રિટિશ એશિયનો તેમજ અશ્વેત અને વંશીય લઘુમતી સમૂહોમાં શારીરિક નિષ્ક્રિયતા અથવા તો બેઠાડુંપણાનું પ્રમાણ વધુ જણાયું છે. બીજી તરફ, ભારત, બાંગલાદેશી અને પાકિસ્તાની લોકોમાં ગીચ ઘરોમાં રહેવાસ જેવા ગરીબી અને સામાજિક-આર્થિક પરિબળો પણ કોરોનાનો ચેપ લાગવામાં ભાગ ભજવે છે. કોરોનાકાળમાં સાવચેતી ખાતર ઘરમાં રહેવું પડે અથવા વર્ક ફ્રોમ હોમની નોબત આવે તે સમજી શકાય છે પરંતુ, આ રીતે મળેલા સમયનો રચનાત્મક ઉપયોગ કરવો આપણા હાથમાં છે. આ લોકડાઉન સમયમાં જોવાં મળ્યું છે કે બ્રિટિશ ભારતીયોનો ઓછામાં ઓછો ૪-૫ કલાકનો સમય બિનઉત્પાદક અને ‘રોનાધોના’ ભારતીય ટેલિવિઝન ચેનલો નિહાળવામાં જ વ્યતીત થતો હતો. ચેનલોમાં સમાચારો કે સીરિયલો નિહાળતા હોઈએ તો સાથે નાસ્તાપાણીની જયાફત પણ ચાલતી જ હોય. આના પરિણામે શરીરનું વજન પણ વધતું જાય. આપણે લોકો સમજતા નથી કે આ એક વિષચક્ર છે. ટેલિવિઝન જોવામાં કોઈ વાંધો નથી પરંતુ, પ્રોગ્રામ્સ જ્ઞાનવર્ધક અથવા જાતે કશું કરી શકાય (Do It Yourself) તેવાં માહિતીપ્રદ હોય તો લેખે લાગે અને નાસ્તાપાણી તો ઘટાડી દેવા પડે.
વધુપડતા વજન અથવા સ્થૂળતાનો મુદ્દો પણ અતિ મહત્ત્વનો છે. આ બાબત પણ શારીરિક નિષ્ક્રિયતા સાથે સંકળાયેલી છે. યુકેમાં સ્થૂળતા કે મેદસ્વીતાની સમસ્યા સામાન્ય છે અને દર ચાર વયસ્કમાંથી એક વ્યક્તિ તેમજ ૧૦-૧૧ વયજૂથના પાંચમાંથી એક બાળક તેનાથી પીડાય છે.
વધુપડતાં વજન કે સ્થૂળતાથી શરીરની રોગપ્રતિકાર શક્તિને નબળી પડવાના કારણે કોરોના વાઈરસનો ચેપ લાગવાની શક્યતા વધે છે તેમજ ચેપ સામે લડવાનું શરીર માટે મુશ્કેલ બનવા સાથે કોમ્પ્લિકેશન્સ વધવાનું જોખમ વધુ રહે છે. અગાઉ પણ, વધુપડતા વજન ધરાવતા અને મેદસ્વી લોકોને ફ્લુ જેવા ચેપથી ગંભીર સમસ્યાઓ અથવા મોતનું જોખમ હોવાનું અનેક અભ્યાસોએ સ્પષ્ટ કર્યું છે. આંકડા દર્શાવે છે કે ઈંગ્લેન્ડની હોસ્પિટલોમાં કોરોનાથી થયેલા મોતમાં ૨૫ ટકા પેશન્ટ્સને ડાયાબિટીસ હતો, જે મોટા ભાગે સ્થૂળતાના કારણે થાય છે. NHSના સર્વે મુજબ વાઈરસના લીધે ICUમાં પહોંચેલા ૬૦ ટકાથી વધુ પેશન્ટ્સ જોખમીપણે સ્થૂળ હોવાનું જણાયું હતું. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન અનુસાર વધુ વજનના કારણે શ્વાસ લેવાની તેમજ ધમનીઓને રુંધાવાની, બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય છે. ડાયાબિટીસ, સ્ટ્રેસ કે હૃદયરોગનું કારણ પણ સ્થૂળતા છે.
મોટા ભાગના લોકો ૬૦ વર્ષના થાય એટલે નિવૃત્તિ-આરામનો સમય આવી ગયો તેમ સ્વીકારી લે છે. જેટલો આરામ વધે તેટલું રોગનું આક્રમણ વધે. શારીરિક સક્રિયતાના અભાવથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. કોરોના વાઈરસથી ફેફસાં પર અસર થતી હોવાનું તો જગજાહેર છે પરંતુ, સંક્રમણથી સાજા થયા બાદ હૃદય, મગજ અને અન્ય બીમારીઓ વધી રહી છે. જ્યાં સુધી કોરોના વાઈરસ વિરુદ્ધ વેક્સિન નહિ આવે ત્યાં સુધી તો ખાસ અને તેના પછી પણ આપણે વિશેષ કાળજી રાખવી પડશે. વેક્સિનની શોધમાં ઘણી સંસ્થાઓ, દેશો અને વિજ્ઞાનીઓ કામે લાગી ગયા છે. લોકકલ્યાણનું કામ તો છે જ પરંતુ, તેની સાથે જેના દ્વારા રસી પ્રથમ શોધાશે અને ઉપયોગમાં લેવાશે તેના માટે તો સોનાની મુર્ગી પણ સાબિત થઈ જશે.