કોરોનાને લીધે ૧૫ કરોડ લોકો ગરીબીમાં ધકેલાશેઃ વિશ્વ બેંક

Wednesday 14th October 2020 06:18 EDT
 

ન્યૂ યોર્ક: વિશ્વભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ૧૩મી ઓક્ટોબરના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૩૮૨૪૫૭૧૭, કુલ મૃતકાંક ૧૦૮૮૨૪૨ અને કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૨૮૭૩૯૪૧૬ નોંધાઈ હતી. કોરોનાના સંકટ વચ્ચે વિશ્વના અર્થતંત્રના બે રક્ષકો વિશ્વ બેન્ક અને વિશ્વ વેપાર સંગઠને-ડબલ્યુટીઓએ સંકેત આપ્યા છે કે કોરોનાને કારણે ફેલાયેલી મંદીમાંથી રિકવરીના શરૂઆતના દિવસો કેટલાક દેશો અને ઉદ્યોગોમાં ધાર્યા કરતાં બહેતર જણાયા છે, પણ વિશ્વના અર્થતંત્રને સંપૂર્ણપણે મંદીમાંથી બહાર આવતાં વધારે લાંબો સમય લાગશે. કોરોનાને લીધે ૧૫ કરોડ લોકો ગરીબીમાં ધકેલાશે.
વિશ્વ વેપાર સંગઠને જણાવ્યું હતું કે ૨૦૧૯ની સરખામણીમાં આ વર્ષે વેપારમાં ૯.૨ ટકાનો ઘટાડો જોવાશે. જે એપ્રિલમાં ૧૨.૯ ટકા અંદાજવામાં આવ્યો હતો તેના કરતાં ઓછો છે, પણ ૨૦૨૧માં અગાઉ વેપારમાં ૨૧.૩ ટકાનો ઉછાળો અંદાજવામાં આવ્યો હતો તેની સામે હવે વિશ્વના વેપારમાં ૭.૨ ટકાનો જ વધારો જોવા મળશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાસત્તા અમેરિકામાં ૧૩મી ઓક્ટોબર સુધીમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૮૦૫૪૧૪૦, મૃતકાંક ૨૨૦૩૨૬ અને કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૫૨૦૦૦૩૮ નોંધાઈ હતી.
યુએઈનો કોરોના ટેસ્ટમાં વિશ્વ રેકોર્ડ
યુએઈએ કોરોનાનાં ટેસ્ટિંગના મામલે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. કોરોના મહામારીની શરૂઆતથી ૭ ઓક્ટોબર સુધીમાં તેણે કુલ ૧ કરોડથી વધુ ટેસ્ટ કર્યાં હતાં જ્યારે તેની વસ્તી ૯૬ લાખની છે.


comments powered by Disqus