ધર્મના નામે અધર્મનું આચરણ

Wednesday 14th October 2020 06:08 EDT
 

તાજેતરમાં યુકેમાં કેન્ટરબરી અને યોર્કના આર્ચબિશપોએ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના પાદરીઓ અને સંલગ્ન અધિકારીઓ દ્વારા હજારો નિર્દોષ બાળકોના યૌનશૌષણ બાબતે માફી માગી છે. સારી વાત છે કે માફી મંગાઈ છે પરંતુ, ચાઈલ્ડ એબ્યુઝની આ ઘટનાઓ આજકાલની નથી. કરુણામય જિસસ ક્રાઈસ્ટના શક્તિશાળી પ્રતિનિધિઓ દ્વારા સદીઓથી આ પાપ ચાલતું આવ્યું છે. જોકે, પાપનો ઘડો કદી તો છલકાતો જ હોય છે. આ હિસાબે આ સામૂહિક પાપ એટલું વધી ગયું હશે કે શક્તિશાળી ચર્ચ પણ તેને શેતરંજી કે પડદા પાછળ સંતાડી રાખવામાં સફળ રહ્યું નહિ હોય. પાપમુક્ત કરનારું વેટિકન હોય કે કેથોલિક ચર્ચ, આ દુષણ તો સર્વવ્યાપી છે અને યુનાઈટેડ નેશન્સે પણ ૨૦૧૪માં વેટિકન સામે સીધો આરોપ મૂક્યો હતો કે પાદરીઓ હજારો બાળકોનું યૌનશોષણ કરતા આવ્યા છે તેનું મૂળ કારણ વેટિકનની નીતિઓ છે.
લોકો ભલે માનતા હોય કે બાઈબલમાં ઈશ્વરી સંદેશ છે પરંતુ, બાઈબલમાં શું લખાવું જોઈએ તેના પર કાબુ મેળવવામાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને સેંકડો વર્ષ લાગી ગયા છે. લોકોમાં ઈશ્વરનો ડર પેદા કરી તેમના પર અંકુશ મેળવવાની ચર્ચની નીતિ અજાણી નથી. ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ ચર્ચ બિલિયન્સ ડોલરનો ખર્ચ યુદ્ધો અને ધર્માન્તર પાછળ કરે છે જેથી વધુ અને લોકસમૂહો તેના અંકુશ હેઠળ આવતા રહે અને તેની કોર્પોરેટ વ્યવસ્થા ચાલતી રહે. એક સમયે યુરોપમાં પાદરીનો શબ્દ આખરી ગણાતો કારણકે ઇશ્વરના નામે માફી આપવાની સત્તા તેમની પાસે હતી. આ પછી. પાપમુક્તિના નાણા પણ વસૂલાતા થયા હતા. મધ્યયુગમાં કેથોલિક સંપ્રદાય એટલો શક્તિશાળી બન્યો હતો કે યુરોપની બે તૃતીઆંશ જમીન ચર્ચના કબજામાં હતી.
ભારતના કેરળમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો વધુ છે ત્યાં પણ પાદરીઓ દ્વારા સ્ત્રીઓ સાથે દુરાચારના કિસ્સા બહાર આવતા ચર્ચની પ્રતિષ્ઠાને ભારે અસર પહોંચી છે. આ માત્ર ખ્રિસ્તી ધર્મની જ વાત નથી, ઈસ્લામ, હિન્દુ, કે વિશ્વના અનેક ધર્મ અને નાના-મોટા સંપ્રદાયોમાં ધર્માચારના બદલે દુરાચાર થતો રહે છે.
આપણે ત્યાં સાધુ, પાદરી કે મૌલાના અથવા તો ધર્મગુરુને બાળપણથી આદરપૂર્વક જોવાની દષ્ટિ કેળવાયેલી છે કારણકે આ સંસ્કાર અને સંસ્કૃતિ છે કે સજ્જનનાં લક્ષણો ધરાવનાર વ્યક્તિ આદરણીય હોય. આદર મેળવનારા તેનો સત્તા તરીકે ઉપયોગ કરતા થાય તેમાંથી દુષણો સર્જાય છે. લોકો બૌદ્ધિક મર્યાદાને લીધે વધુ વિચારી શકતા નથી ત્યારે ઉપદેશો અને ઊંચા વિચારોના આધારે તેમજ ધર્મગ્રંથોની થોડીઘણી સમજ ધરાવનારાને આશરે જાય છે અને ત્યાંથી માનસિક ગુલામીની શરુઆત થાય છે. આવા લોકો પાછળથી પોતાના સંપ્રદાયોની હાટડી ખોલીને બેસી જાય છે. નાની કે મોટી ધાર્મિક સંસ્થાઓમાં અનુયાયીઓનો ગેરલાભ લઇને જર, જમીન અને જોરુ એમ ત્રણેય પ્રકારનાં કૌભાંડો આચરવામાં આવતાં હોય છે.
ભારતીય સંસ્કૃતિમાં ઋષિગણ સંસારી હતા અને તેમનો ઉપદેશ લોકોને સાધુ બનાવવા માટે નહિ પરંતુ, સાચા સંસારી કે ગૃહસ્થ બનાવવા માટેનો હતો. આજે પરિસ્થિતિ બદલાઈ છે. કેટલાક સંપ્રદાયો પોતાના સાધુ-સંતો પર સ્વયંદમનની કડક શિસ્ત લાદે છે. શ્રદ્ધાથી પ્રેરાઇને કાચી વયે સંસારત્યાગ થયો હોય પરંતુ, યુવાનીમાં ઇચ્છાઓનું દમન અશક્ય બને ત્યારે યૌનશોષણના પ્રશ્નો સર્જાય છે. લોકોને પ્રભાવિત કરવા વેશ ધારણ કરવામાં આવે છે પરંતુ, એ પૂજ્ય વેશ પાછળની વૃત્તિ અને પ્રવૃત્તિમાં કોઈ ફેરફાર થતો નથી. તેમની આદિમ વૃત્તિનો શિકાર ભોળાં બાળકો અને સ્ત્રીઓ બને છે.
ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામ રહીમ હોય કે ‘ગોડમેન’ ચંદ્રાસ્વામી, સ્વામી નિત્યાનંદ હોય કે આશારામ, સંત રામપાલ કે અન્ય કોઈ ધર્મ-સંપ્રદાયના સાધુ હોય, આ બધા લપસી ગયેલા લોકો છે. આ બધાએ પોતાના સ્વાર્થ અને કામલોલુપતા માટે નિર્દોષ લોકો સાથે ઠગાઈ આચરી છે. બાકી, ઈશ્વરે કદી આદેશ કર્યો નથી કે આ જ માર્ગે ચાલશો તો તમને સુખ-સમૃદ્ધિ કે સ્વર્ગ મળશે. આ વ્યવસ્થા તો તેમના એજન્ટો કે ધર્મગુરુઓએ ઊભી કરી છે.


comments powered by Disqus