નોબેલ પુરસ્કારની જાહેરાતોના આ સમયમાં રોજ રોજ અનેક ક્ષેત્રો સંબંધિત નિષ્ણાતોની પસંદગી કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ દરેક ક્ષેત્રના તજજ્ઞોને કોના ફાળે આ પુરસ્કાર જશે તે જાણવાની જિજ્ઞાસા રહેતી હોય પરંતુ, વિશ્વ સમગ્રની નજર શાંતિ નોબેલ પારિતોષિક કોને મળશે તેના પર ટકી હોય છે. આ વર્ષે નોબેલ કમિટીએ યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ની પસંદગી કરી છે. આ ખરેખર સ્તુત્ય નિર્ણય છે કારણકે વિશ્વમાં ભૂખમરો દૂર કરીને ગરીબોની મદદ કરવામાં વર્લ્ડ ફૂડ પ્રોગામનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. છેક ૧૯૬૧થી વિશ્વભરમાં ભૂખમરા અને ખાદ્ય અસુરક્ષા સામેની લડાઇમાં અગ્રીમ ભૂમિકા ભજવનાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વિશ્વનું સૌથી મોટું માનવતાવાદી સંગઠન છે.
નોબેલ શાંતિ પુરસ્કાર મોટા ભાગે વિવાદમાં રહેતો હોય છે કારણકે વિશ્વનેતાઓ અને અનેક સંગઠનો તેના માટે દાવો અને લોબિઈંગ કરતા રહે છે. એક બાબતનો ઉલ્લેખ કરવો જ જોઈએ કે વિશ્વમાં ‘શાંતિદૂત’ તરીકે સર્વમાન્ય રહેલા ગાંધીજીને કદી શાંતિ પુરસ્કાર અપાયો નથી. એ વાત અલગ છે કે ગાંધીજી આ પુરસ્કાર કરતાં અનેકગણા ઊંચેરા માનવી હતા. આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી વધુ ૩૧૮ નોમિનેશનમાં ૨૧૧ વ્યકિતગત અને ૧૦૭ સંસ્થા કે સંગઠનનો સમાવેશ થતો હતો. મધ્યપૂર્વના કટ્ટર શત્રુઓ ઇઝરાયલ અને યુએઇ વચ્ચે મૈત્રી સંબંધોની પહેલ કરાવનારા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નોબલ શાંતિ પુરસ્કાર માટેની દોડમાં હતા. કલાયમેટ ચેન્જ અને પર્યાવરણ માટે વૈશ્વિક આંદોલન ચલાવનાર સ્વીડિશ તરુણી ગ્રેટા થનબર્ગ તેમજ કોરોના મહામારી દરમિયાન કામગીરી બદલ WHO પણ પ્રબળ દાવેદાર હતા. આ બધામાંથી WFP દ્વારા ૨૦૧૯ના વર્ષમાં ૮૮ દેશોના ૧૧ કરોડ ભૂખ્યાંજનોને મદદ પહોંચાડાઈ હતી તેની વિશેષ નોંધ નોબેલ સંસ્થાએ લીધી છે. ગયા વર્ષમાં સંસ્થા દ્વારા ૧૫ બિલિયન ટન રેશન પૂરું પાડવામાં આવ્યું હતું. યમનથી માંડીને ઉત્તર કોરિયા સુધી કરોડો લોકોને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત ભોજન પૂરું પાડવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં દરરોજ ૬૯ કરોડ લોકો એટલે કે વિશ્વની કુલ વસ્તીમાં દર ૧૧માંથી ૧ વ્યક્તિને ભૂખ્યા પેટે સૂઈ જવાની ફરજ પડે છે. એક કહેવત છે કે ‘ઈશ્વર ભૂખ્યા ઉઠાડે છે પરંતુ, ભૂખ્યા સૂવા દેતો નથી’. યુએનની આ સંસ્થાએ ઈશ્વરના દૂત તરીકે ગરીબ અને જરુરિયાતમંદ લોકોને ભોજન કરાવવાની જવાબદારી ઉપાડી લીધી છે.
કોરોનાકાળમાં પણ જરૂરિયાતમંદોનું પેટ ઠારવા અને મદદ કરવામાં WFPની ભૂમિકા મહત્ત્વની રહી હતી. સંસ્થાનું કહેવું છે કે જ્યાં સુધી વેક્સિન નહિ આવી જાય, ત્યાં સુધી સારું ભોજન જ સૌથી સારી વેક્સિન છે.
વિશ્વમાં ભૂખમરો સર્જાવાના અનેક કારણો ને પરિબળો છે. વિકાસની ભૂખમાં ક્લાયમેટ ચેન્જ, પ્રદૂષણ, ઓછાં અન્ન ઉત્પાદનની ભૂમિકા પણ રહી છે. આ ઉપરાંત, વિશ્વના સાધનસંપન્ન અને વિકસિત દેશો ગરીબ દેશોને અંદરોઅંદર લડાવી મારે છે, સત્તાભૂખ્યા સરમુખત્યારોને શસ્ત્રો વેચી પોતાની નાણાકોથળીઓ ભરતા રહે છે. પરિણામે, આવા દેશોમાં આર્થિક વિકાસના અભાવે વધુ ગરીબી અને ભૂખમરો સર્જાય છે. ગરીબોને પૂરતું કામ અને ભોજન મળી રહેશે તો શાંતિનું વાતાવરણ અવશ્ય સર્જાશે તેમાં કોઈ શંકા નથી. અન્યથા ગુજરાતના મૂર્ધન્ય કવિ સ્વ. ઉમાશંકર જોશીએ લખ્યું છે તેમ, ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ના લાધશે!’