જવાબદારી કોઈની પણ હોય, ભોગ લોકો જ બન્યાં

Tuesday 14th April 2020 14:51 EDT
 

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારી વધતી જ રહી છે અને તેનો સામનો કેવી રીતે કરવો તેનો ચોક્કસ ઉકેલ કોઈની પાસે નથી. ચીને તેને ત્યાંથી ઉદ્ભવેલા કોરોના વાઇરસ અંગે વિશ્વને અંધારામાં જ રાખવાના પરિણામે તેનો ફેલાવો અકલ્પનીય ઝડપે થયો. સુરક્ષા પરિષદની કોરોના મહામારીની ચર્ચાબેઠકમાં બે મહાસત્તા ચીન અને અમેરિકાના પ્રતિનિધિઓ આક્ષેપો સાથે ઝગડી પડયા હતા.
અમેરિકાએ ચીન પર માહિતી છુપાવવા સહિતના આરોપો લગાવ્યા તો, ચીને વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુએનની કામગીરીના વખાણ કર્યાં. અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુએનની ટીકા કરી ચીન પ્રત્યે કુણું વલણ દાખવવાનો આરોપ લગાવ્યો હતો.
અમેરિકી ડિફેન્સ એજન્સીએ નવેમ્બરમાં ચીનના વુહાન ક્ષેત્રમાં નવો કોરોના વાઇરસ તેજીથી ફેલાયો છે અને ગંભીર ખતરો ઉભો કરી શકે તેવી ચેતવણી આપી હતી પરંતુ, યુએસ સહિત અનેક દેશોની સરકારો ઉંઘતી રહી. પ્રશ્ન એ પણ થાય કે જો વિદેશી ગુપ્તચર એજન્સીઓને ચીનમાંથી કોરોના મહામારી આવવાની જાણકારી હતી તો શું ચીન પાસે માહિતી ન હતી? તેણે વિશ્વ અને પોતાના જ દેશના નાગરિકોને શા માટે ચેતવણી આપી નહિ? ચેતવણી અપાઈ હોત તો જે જાનહાનિ અને લોકડાઉનના કારણે આર્થિક બેહાલી સર્જાઈ છે તે થયું ન હોત. ડિસેમ્બરના અંતમાં ચીને વિશ્વ આરોગ્ય સંસ્થાને ન્યૂમોનિયા જેવી બીમારી અંગે સજાગ કર્યું અને પહેલી વખત સાતમી જાન્યુઆરીએ કોરોના વાઇરસની પુષ્ટિ કરી હતી. આમ છતાં, તેણે કોરોના વાઇરસ એટલો ખતરનાક ન હોવાનો દાવો કર્યો હતો.
ચીનની વાત બાજુએ રાખીએ કારણ કે ત્યાં આપખુદ સરકાર છે. અમેરિકામાં પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકારી લીધું છે કે કેટલાક લાખ લોકો મરી જશે અને છતાં, તેઓ આર્થિક લોકડાઉન કરવા તૈયાર ન હતા. આખરે તેમને પણ સદબુદ્ધિ સૂઝી છે અને લોકડાઉન જાહેર કર્યું છે. ખુદ બ્રિટનમાં પ્રજા સરકારના વૈજ્ઞાનિક અને મેડિકલ નિષ્ણાતોની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બની હોવાના અહેવાલો છે. બ્રિટન કોરોના મહામારીની વિસ્ફોટક ભૂમિ પર બેઠેલું છે અને વિસ્ફોટ થશે તો હજારો લોકોના મોત થશે તેમ જાણવા છતાં, આ નિષ્ણાતોએ કોરોનાની વિનાશક ભયંકરતા બે મહિના સુધી છુપાવી હતી.
રોઈટર્સ દ્વારા યુકેના ૨૦થી વધુ વિજ્ઞાનીઓ, અધિકારીઓ અને ટોરી પાર્ટીના વરિષ્ઠ સૂત્રોના ઈન્ટર્વ્યૂ, એડવાઈઝરી કમિટીની બેઠકોની મિનિટ્સ, જાહેર જુબાનીઓ અને દસ્તાવેજોની તપાસ પછી ઘટસ્ફોટ થયો છે કે વિજ્ઞાનીઓને છેક જાન્યુઆરીમાં જ ખાતરી થઈ હતી કે યુકે વિનાશક રોગચાળાના આરે આવીને ઉભું છે. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટને માર્ગદર્શન-સલાહ આપનારા વિજ્ઞાનીઓ-નિષ્ણાતોએ પોતાની આશંકા મિનિસ્ટર્સને જણાવી નહિ અને છેલ્લે માર્ચ મહિનાની મધ્યમાં લોકડાઉન પગલાંની સલાહ આપી ત્યાં સુધી તો ન થવાનું થઈ ગયું હતું.
આ કહેવાતા નિષ્ણાતો સૌથી ખરાબ ભયનો ચિતાર સરકાર કે પબ્લિકને વેળાસર આપવામાં નિષ્ફળ રહ્યા અને તેમની અક્ષમ્ય બેજવાબદારી સમગ્ર દેશને મહામારીના વિનાશમાં ઘસડી ગઈ છે. વિજ્ઞાનીઓએ કોરોના નહિ પરંતુ, ફ્લુ મહામારીના મોડેલ પર જ વધુ પડતું ધ્યાન આપ્યું હતું અને યુકે વાઈરસના સામનાની તૈયારી માટે એક મહિનાના સમયની તક ચૂકી ગયું.
અત્યાર સુધી પ્રસિદ્ધ ઈન્ટર્વ્યૂઝ અને રેકોર્ડ્ઝ સૂચવે છે કે જહોન્સનને સલાહ આપનારી સાયન્ટિફિક કમિટીઓએ માર્ચ મહિનાની મધ્ય સુધી તો ચીનમાં રોગચાળાનો ઉદ્ભવ થયાં પછી તત્કાળ લેવાયેલાં કડક લોકડાઉનના પગલાંનો અભ્યાસ જ કર્યો ન હતો. વર્તમાન પરિસ્થિતિ જ દર્શાવી રહી છે કે વિજ્ઞાનીઓ, સલાહકારો અને સરકાર કોરોના વાઇરસના પ્રસારની ગંભીરતાને સમજવામાં કેટલા ખોટાં હતાં.


comments powered by Disqus