લોકડાઉન લંબાવવાની કડવી દવા આવશ્યક

Tuesday 14th April 2020 14:40 EDT
 

આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણ મધ્યે લોકડાઉન વધારાશે, નહિ વધારાય અથવા કેટલું વધારાશે તેવા સસ્પેન્સ પર પડદો ઉઠાવીને ત્રીજી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન મોદીએ સાચું જ કહ્યું છે કે, હવે પહેલાં કરતાં વધારે સતર્કતા રાખવી પડશે. જોકે એક સ્પષ્ટતા કરાઈ છે કે જે જિલ્લામાં કોરોનાના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં ૨૦ એપ્રિલથી ચોક્કસ શરતો સાથે છૂટછાટ અપાશે પરંતુ, ત્યાં ફરી કોરોનાનો કેસ જણાશે તો આવી શરતો સાથેની છૂટછાટ પાછી પણ ખેંચી લેવાશે.
આમ તો, ૧૪મી એપ્રિલે ૨૧ દિવસના પ્રથમ લોકડાઉનનો સમયગાળો પૂરો થવા છતાં, કોરોના સંક્રમણનો વ્યાપ ધાર્યા મુજબ કાબુમાં રાખી શકાયો નથી. વાઇરસનો પ્રકોપ ઘટવાના બદલે વધી રહ્યો છે. ઓરિસા રાજ્યે પહેલ કરીને લોકડાઉન ૩૦ એપ્રિલ સુધી લંબાવવા જાહેરાત કરી જ દીધી હતી અને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ, તેલંગાણા પણ તેને અનુસર્યા છે.
ભારત સરકારની હાલત આગળ ખાઈ પાછળ કૂવો જેવી છે. લોકડાઉન લંબાવવાથી આર્થિક નુકસાન અને પ્રજાની હાલાકી વધવાનું નિશ્ચિત છે. જો નહિ લંબાવાય તો મોટી વસ્તી કોરોનાના ખપ્પરમાં હોમાઈ જશે તે પણ નિઃશંક છે. આ પરિસ્થિતિમાં લોકડાઉન લંબાવવા જેવી કડવી પરંતુ, અનિવાર્ય ઔષધ મોદી સરકાર ખુદ પીવડાવશે કે તેનો નિર્ણય રાજ્યોની મુનસફી પર છોડી દેશે એ જ જોવાનું હતું. બીજી તરફ, રાજ્યો પણ કોરોના સંક્રમણ વધુ હોય તેવા હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન વધુ કડક બનાવી બાકીના વિસ્તારોમાં જનજીવન અને આર્થિક પ્રવૃત્તિ પુનઃ ધબકતાં કરવાનો વિકલ્પ અજમાવે એ પણ શક્ય બની શકે છે. વડા પ્રધાન મોદીએ સર્વપક્ષીય અને મુખ્ય પ્રધાનોની બેઠકમાં લોકડાઉન વિશે ચર્ચા કર્યા પછી સંકેત આપી જ દીધો હતો કે કોરોના વાઇરસ સામેની લડાઈમાં હજુ કઠોર પગલાં આવશ્યક છે અને એક સાથે લોકડાઉન ઉઠાવી લેવું અશક્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું જ હતું કે તેમની સરકારની પ્રાથમિકતા દેશની દરેક વ્યક્તિનો જીવ બચાવવાની છે.
કોરોના સંક્રમિતો અને મૃતકોની સંખ્યા વધતી રહી છે. નિષ્ણાતો કહે છે તેમ કોરોના સંક્રમણના સંદર્ભે ભારત બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે ત્યારે નાનકડી બેદરકારી પણ સામુદાયિક પ્રસારનું જોખમ વધારી દેશે. સામુદાયિક સંક્રમણ શરૂ થયાં પછી તેને અંકુશમાં લેવામાં ધોળે દિવસે તારા દેખાવાની પરિસ્થિતિ આવી જશે. સરકારે પ્રથમ લોકડાઉનની જાહેરાત કરી ત્યારે મુખ્ય ઉદ્દેશ સંક્રમણની સાંકળ તોડવાનો અને તેને આગળ નહિ વધવા દેવાનો જ હતો. આ પછી, તબક્કાવાર લોકડાઉન દૂર કરી શકાય તેમ હતુ પરંતુ, ઘરમાં રહેવા તેમજ સામાજિક અંતર જાળવવામાં લોકોના પૂરતા સહકારનો અભાવ અને તેથી પણ વધુ તો તબલીગી જમાત જેવા ધાર્મિક મેળાવડાના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિએ સરકારને બેકફૂટ પર લાવી દીધી છે.
વિશ્વના અન્ય દેશોની માફક ભારત પણ ભારે મુશ્કેલીમાં છે. લોકડાઉનના લોકો ઘરમાં બેઠાં છે ત્યારે કારણે ઉત્પાદન અને વેપારધંધા બંધ છે, બેરોજગારીની વિકરાળ સમસ્યા મોં ફાડીને ઉભી છે. સરકાર ગરીબો સહિત બધા માટે આર્થિક સહાયના પેકેજ જાહેર કરી રહી છે પરંતુ, તેને ખારા સમુદ્રમાં મીઠા પાણીના એક-બે ટીપાં સમાન જ ગણાવી શકાય. જોકે, અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે પરંતુ હાલ તો જિંદગી બચાવવી એ જ પ્રાથમિકતા હોવી ઘટે તેવા તેલંગણના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવના નિવેદન સાથે તમામે સહમત થવું જ રહ્યું. આથી જ કહેવત છે કે જીવતો નર ભદ્રા પામે.


comments powered by Disqus