વડીલો સહિત સહુ વાચક મિત્રો, બોરીસ જ્હોન્સનને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર જાહેર થયા ત્યારે દેશ અને દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. બ્રિટનની શાસનધૂરા સંભાળી રહેલા બોરીસ વર્ષોપર્યંત પહેલા એવા વડા પ્રધાન છે જેમને જનસામાન્ય બોરીસના પહેલા નામે જ ઓળખે છે ને ઉદ્બોધે છે. લોકો તેમને પોતાનામાંના જ એક સમજે છે. બોરીસને આઇસીયુમાં ખસેડાયાનું જાણીને હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ તમામ વર્ગના ધર્મસ્થાનોમાં રવિવારે સાંજે સાત વાગ્યે વિશેષ પ્રાર્થના યોજીને તેમની ક્ષેમકુશળતા માટે પરમકૃપાળુને વિનતી કરાઇ હતી. તો કેટલાય હિન્દુ ધર્મપ્રેમીઓએ ઘરમાં જ રહીને બોરીસ જ્હોન્સનના માથેથી કોરોનાનું સંકટ જલ્દી ટળે તેવી પ્રાર્થના કરી હતી. દુઆ અને દવા બન્ને ફળ્યા ને બોરીસ આરોગ્યની કટોકટીમાંથી હેમખેમ પાર ઉતર્યા છે. જોકે તેમને સંપૂર્ણ રિકવરી માટે હજુ એકાદ મહિનો આરોગ્યની વિશેષ કાળજી લેવી પડશે. અને આ માટે તેઓ ચેકર્સ પહોંચ્યા છે.
ચેકર્સ લંડનથી ૩૦-૪૦ માઇલના અંતરે આવેલું એક રમણીય સ્થળ છે. ગયા સૈકામાં એક ધનાઢયનું આ મહેલસમાન નિવાસસ્થાન હતું. આસપાસમાં એકરો સુધી લીલીછમ હરિયાળીથી હર્યુંભર્યું આ સ્થળ આરામ માટે એકદમ યોગ્ય છે - અને તેમાં પણ ખાસ તો વડા પ્રધાન જેવા મહાનુભાવો માટે. વડા પ્રધાન ગમે તે પક્ષના હોય, કોઇ પણ દેશના હોય - તેમનું રોજિંદુ જીવન અતિશય વ્યસ્ત હોય છે. બધું ઘડિયાળના કાંટે ચાલતું હોય છે. આમાં પણ વળી નરેન્દ્ર મોદી કે બોરીસ જ્હોન્સન જેવા પોતાના કાર્યને સમર્પિત લોકોની તો વાત જ શી કરવી? આ લોકો ક્યારેય કામના કલાકો ગણતા નથી. નરેન્દ્ર મોદી તો માંડ ત્રણ-ચાર કલાકની જ ઊંઘ લેતા હોવાનું કહેવાય છે. વળી, વડા પ્રધાન પદ એક રીતે જોતાં કાંટાળો તાજ પણ છે. આખા દેશની જવાબદારીનો બોજ સંભાળવા છતાંય જશના બદલે જૂતિયાં મળે તો નવાઇ નહીં.
બોરીસ જ્હોન્સન બકિંગહામશાયરમાં આવેલા ૧૬મી સદીના હોલીડે સ્ટે ખાતે તેમની ફિયાન્સી કેરી સાયમન્ડ્સ સાથે પહોંચી ગયા છે. રવિવારે ત્યાં પહોંચતા પહેલાં હોસ્પિટલેથી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ જઇને હૃદયસ્પર્શી રાષ્ટ્રજોગ સંબોધન પણ કર્યું.
શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને જો અંતરમન બળવાન હોય તો શારીરિક કે અન્ય પ્રકારની આધિ-વ્યાધિ પર વિજય હાંસલ કરી જ શકાય છે. કસોટીકાળમાંથી પસાર થઇને ઉભરે તે જ સિકંદર કહેવાયને?! અગ્નીપરીક્ષામાંથી બહાર આવે તે મરજીવો કહેવાય. અંતે તો આપણું આરોગ્ય આપણા હાથમાં છે. બોરીસ જ્હોન્સન માટે કહેવાય છે કે તે રંગીલો આદમી છે. તેઓ જીવન માણી જાણે છે. તેઓ લંડનના મેયર હતા ત્યારે સાઇકલ પર જ ઓફિસે પહોંચતા હતા. દર સપ્તાહે ૩-૩ કલાક ટેનિસ રમે છે. ખાવાપીવામાં પણ કાળજી રાખે છે. વચ્ચે તો સંપૂર્ણ શાકાહારી બની ગયા હતા. એક સમયે તેમણે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી બ્રેક્ઝિટ નહીં થાય ત્યાં સુધી આલ્કોહોલ નહીં પીએ. આવા બધા સંકલ્પો તેમને જીવનમાં બહુ કામમાં આવ્યા છે. આપણે સહુ જાણીએ છીએ કે સંકટ આવે છે તો પૂરપાટ ઝડપે, પણ તેની વિદાય ગોકળગાયની ગતિએ થતી હોય છે.
બોરિસ જ્હોન્સ આમેય મલ્ટી મિલ્યોનર છે. તે કોઈ હાર્લી સ્ટ્રીટની ખ્યાતનામ ખાનગી હોસ્પિટલમાં જઈ શક્યા હોત. પરંતુ બ્રિટિશ જનતાનું નેશનલ હેલ્થ સર્વિસ જો આરોગ્ય બાબતની સર્વાંગી સેવા સારી રીતે આપતું હોય તો વડા પ્રધાને પણ ત્યાં જ જવું એવું બોરિસે નક્કી કર્યું..... ભારતના કેટલાક રાજકીય કે ધાર્મિક અગ્રગણ્યો દાક્તરી સારવાર માટે અમેરિકા, જર્મની કે સિંગાપોર જતાં હોય છે તેઓએ આમાંથી કંઈક બોધપાઠ લેવાની જરૂર છે. હેલ્થ ટુરિઝમ માટે વિદેશના હજારો નાગરિકો ભારતનો પ્રવાસ કરે છે એ પણ યાદ રાખવું ઘટે.
હસ્તધૂનન અને નમસ્તે...
આ કોરોનાના લફરાએ આખી દુનિયાને લપેટામાં લીધી છે ત્યારથી નમસ્તેની બોલબાલા વધી ગઇ છે. પ્રિન્સ ચાર્લ્સ પેલેસમાં કે અન્યત્ર અત્ર-તત્ર-સર્વત્ર જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાં ત્યાં નરેન્દ્ર મોદીની જેમ બે હાથ જોડીને નમસ્તે જ કરતા જોવા મળે છે. તેમનું જોઇને બીજા પણ અનુસરણ કરતા થઇ ગયા છે.
લગભગ ૪૦ ટકા અમેરિકન સ્વીકારે છે કે હવે હસ્તધૂનનથી ખતરો છે તેથી તે ટાળવામાં જ સહુનું ભલું છે. આવા લોકોમાંથી ઘણાએ હસ્તધૂનનના વિકલ્પરૂપે નમસ્તે અપનાવ્યું છે. પરંતુ ટાન્ઝાનિયામાં અલગ જ નજારો જોવા મળે છે.
તાજેતરમાં ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ જ્હોન મગુફલી દારે સલામમાં યોજાયેલા એક મોટા સમારંભમાં પહોંચ્યા અને વિરોધ પક્ષના નેતાને મળવાનું બન્યું તો પહેલાં બન્નેએ હાથ ઊંચો કરીને એકમેક સામે હલાવ્યો. આ પછી હાથ નીચો કરીને બન્નેએ ડાબો પગ ઉઠાવ્યો અને શૂઝ સાથે જ બન્નેએ એકમેકના પગના અંગૂઠાને સ્પર્શ કરાવ્યો. બસ, આ થઇ ગયું અભિવાદન.
આ તો વાત થઇ આફ્રિકાની, પણ યુરોપમાં આજકાલ કઇ રીતે અભિવાદન થાય છે? જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ જ્યારે જ્યારે કોઇને મળે છે ત્યારે હસ્તધૂનન કે નમસ્તે કે ડાબા પગના અંગૂઠા ટકરાવવાના બદલે સામેની વ્યક્તિ સાથે કોણી ટકરાવીને અભિવાદન કરે છે.
ખેર, ખાટલે મોટી ખોટ એ છે કે હસ્તધૂનનનો કોઇ ‘સત્તાવાર’ વિકલ્પ ન હોવાથી હવે રાજનેતાઓથી માંડીને આમ આદમી સામેવાળાનું અભિવાદન કેમ કરવું તે મુદ્દે મૂંઝવણમાં છે. જોકે બહુમતી વર્ગ અભિવાદન માટે નમસ્તે પ્રથા અપનાવવા પ્રયત્નશીલ છે.
કપરા કાળમાં પણ તક શોધતા કપટીઓ...
દેશના વીસેક જેટલા ટોચના વિદ્વાનો, મનોચિકિત્સકો અને તબીબી નિષ્ણાતોએ જાહેર નિવેદન કરીને ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાથી બીમારી આવશે, લાંબા સમય સુધી ઘરમાં ગોંધાઇ રહેવું પડશે અને તેના પગલે આર્થિક સંકટ પણ આવશે. દિવસોના દિવસો સુધી ઘરમાં પતિ કે પત્ની અને સંતાનો સાથે રહેવાનું કપરું તો છે જ ને?! કહેવાય છે કે લાંબો સમય સાથે રહેવાથી પ્રેમ વધે, પરંતુ હકીકત એ છે કે લાંબો સમય સાથે રહેવાથી કકળાટ પણ વધતો હોય છે. એક અહેવાલ અનુસાર કોરોનાના કારણે જયારથી ઘરમાં રહેવાની ફરજ પડી છે ત્યારથી ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સામાં વધારો નોંધાયો છે. મૂળમાં વાત એ છે કે અબાલ-વૃદ્ધ સહુ કોઇમાં માનસિક તણાવ વધ્યો છે.
અધૂરામાં પૂરું આ સમયમાં બેટિંગ શોપ્સના સંચાલકોએ, વિવિધ પ્રકારની લોટરીવાળાઓએ જાણે માઝા મૂકી છે. આવા લોકો માટે તો ‘નવરો પડેલો માણસ’ સોનાનું ઈંડુ આપતી મરઘી સમાન છે. તેઓ નીતનવી જાહેરખબરો આપીને લોકોને જૂગટું ખેલવા આકર્ષી રહ્યા છે. આથી જ બ્રિટિશ મેડિકલ એસોસિએશન, અલ્ઝાઇમર સોસાયટી ઉપરાંત રોયલ કોલેજ ઓફ સાઇકિયાટ્રીસ્ટ તેમજ એનએચએસની નેશનલ પ્રોબ્લેમ ગેમ્બલીંગ ક્લિનિકે સરકારને અનુરોધ કર્યો છે કે લોકો અત્યારે ભારે તણાવનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં વિવિધ પ્રકારે જાહેરખબરો કરીને તેમને ભરમાવી રહેલા લોકોને નાથવા માટે અંકુશ લાદવાની જરૂર છે. આવા ધંધાના સંચાલકોનો તો એક જ ધર્મ હોય છે - વર મરો, વહુ મરો, ગોરનું તરભાણું ભરો... કેટલાક આવા કપટીઓએ તો વળી એવી જાહેરાત કરતા જોવા મળે છે કે અમને થતી કમાણીનો એક હિસ્સો ચેરિટીમાં આપીએ છીએ. પરંતુ આવા લોકો મગનું નામ મરી નથી પાડતા કે ચેરિટીમાં તો તેઓ માંડ ૧૦-૨૦ ટકા વાપરે છે, બાકીના ૮૦ ટકા તો તેમના ગજવામાં જ જાય છે અને લોકો બરબાદ થાય છે.
તાજેતરમાં જ એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ૬૫ વર્ષના વડીલની વાત છે. તેમનો દીકરો-પુત્રવધૂ સહિત સમગ્ર પરિવાર ખાધેપીધે સુખી છે, ઠરીઠામ છે. પરંતુ છેલ્લા બે-ત્રણ સપ્તાહથી ઓનલાઈન ગેમ્બલીંગના રવાડે ચડેલો દીકરો હજારો પાઉન્ડ ગુમાવી બેઠો છે અને પરિવાર પાયમારીના આરે પહોંચી ગયો છે. આ કિસ્સો તમામ સમાજ માટે લાલ બત્તી સમાન છે. આપણે ભારતીયો મહાભારતથી ક્યાં અજાણ છીએ? હાર્યો જુગારી બમણું રમે... પાંડવોએ જુગારમાં પત્ની દ્રોપદીને હારી જઇને આ ઉક્તિને જ યથાર્થ ઠેરવી હતીને? સાચું કહું તો બેટિંગ - કેસિનો ધંધો એટલે કોઇની દાઢી બળે, કોઇનું તાપણું થાય. આ દૂષણથી સાબદા રહેવામાં જ સહુ કોઇનું ભલું છે...
કરવા ગયા કંસાર ને...
ફ્રાન્સના એક ધનાઢય પરિવારના ૨૩ જણા કોરોના વાઇરસનો ખતરો નિવારવા દસમી માર્ચે દૂર-સુદૂર છેક દક્ષિણ અમેરિકા જઇ પહોંચ્યા. આર્જેન્ટિનાના ચીલી નજીક આવેલા પેટેગોનિયા નામના આ રમણીય મલકમાં વસ્તી ઓછી છે, આબોહવા આરોગ્યપ્રદ છે. લક્ઝરી હોટેલમાં મુકામ કર્યો હતો. હવે બહાર આવ્યું છે કે આટલા ઉધામાં છતાં આ ૨૩માંથી એકને કોરોનાનો ચેપ લાગી ગયો છે. આજે આ વ્યક્તિ આઇસીયુમાં સારવાર હેઠળ છે, અને બાકીના ૨૨ને ક્વોરેન્ટાઇન કરાયા છે. કોણ કહે છે કે માત્ર કાનૂનના હાથ જ લાંબા હોય છે? કોરોનાના હાથ પણ લાંબા - અને જીવલેણ પણ - હોય છે એ ન ભૂલતાં! (ક્રમશઃ)