સદીઓથી સાંસ્કૃતિક સંબંધો ધરાવતા ભારત અને નેપાળ વચ્ચે દિવસોદિવસ કડવાશ વધી રહી છે. એક સમયે ભાઈ-ભાઈના સંબંધો હતા તેના સ્થાને નેપાળે કહેવાતી સરહદ પર સૈન્ય તૈનાત કરવાની ધૃષ્ટતા દર્શાવી છે. આ સ્થિતિ સર્જવામાં ચીની ડ્રેગનનો હસ્તક્ષેપ સ્પષ્ટપણે દેખાય છે. નેપાળી વડા પ્રધાન ખડગ પ્રસાદ શર્મા ઓલીના હોદ્દો છોડવા ઈનકાર પછી ઘેરાયેલા રાજકીય સંકટની પાછળ નેપાળની આંતરિક રાજનીતિમાં ચીનની દખલગીરી દેખાઈ આવે છે. ઓલી કોરોના વાઈરસને રોકવા માટે હેલ્થ ઇમરજન્સી લાદવા પણ તૈયાર થયા છે જેથી વિરોધીઓ અને ખાસ કરીને ભારતતરફી પરિબળોને બોલતા બંધ કરી શકાય. જોકે, નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી અને સેના પણ આવી ઇમરજન્સી માટે સૈનિકોને તૈનાત કરવાના પક્ષમાં નથી.
ચીનનો વ્યૂહ પાકિસ્તાન, નેપાળ, બાંગલાદેશ, મ્યાંમાર અને શ્રી લંકા જેવા ભારતના પડોશીઓને ઉશ્કેરી, અબજો રૂપિયાની નાણાકીય સહાય અને ધીરાણો આપી ભારતને ઘેરવાનો છે અને મહદ અંશે તેને સફળતા પણ મળી છે. ચીન કેટલાક વર્ષથી નેપાળને દર વર્ષે બેથી ચાર અબજ ડોલરની સખાવત પણ કરી રહ્યું છે. હવે આ સહાયોને તે રોકડી કરવા માગે છે. હકીકત એ છે કે ચીન નેપાળની ડાબેરી સરકાર પર દબાણ લાવી ભારતવિરોધી વલણને હવા આપી રહ્યું છે. વડા પ્રધાન ઓલીને બચાવવામાં ચીનની નેપાળસ્થિત રાજદૂત હોઉ યાંકીની ભૂમિકાએ મોટો ભાગ ભજવ્યો છે. તેણે રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી સહિત નેપાળના કેટલાંય મોટા નેતાઓ સાથે મુલાકાત કરી છે. નેપાળી મીડિયાના રિપોર્ટસ તો ત્યાં સુધી કહે છે કે રાષ્ટ્રપતિ ભંડારી સાથેની મુલાકાતને નેપાળી વિદેશ મંત્રાલય પાસેથી મંજૂરી પણ અપાઈ ન હતી જે, રાજદ્વારી આચારસંહિતાનો ભંગ જ કહેવાય. જોકે, ચીનના નેતાઓને આચારસંહિતા સાથે માઈલો સુધી લાગતુંવળગતું ન હોવાની હકીકતથી આપણે જરા પણ અજાણ નથી. નેપાળની પ્રજા ચીની રાજદૂતના હસ્તક્ષેપથી તેમજ સરહદે કામકાજના ઓઠાં હેઠળ કેટલીક ભૂમિ કબજે લેવાયાથી પણ નારાજ છે. ભારત સાથેના તણાવ વચ્ચે નેપાળના કેબલ ઓપરેટર્સે પોતાના દેશમાં દૂરદર્શન સિવાય તમામ ભારતીય ખાનગી ન્યૂઝ ચેનલ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ માટે નેપાળી નેતૃત્વની ખરાબ છબી રજૂ કરાતી હોવાનું કારણ અપાયું છે. કેટલીક ભારતીય ચેનલો પર વડા પ્રધાન ઓલી અને ચીની રાજદૂત યાંકીના સંબંધો પર સવાલ ઉઠાવાતા આમ કરાયું હોવાનું કહેવાય છે.
ભારત અને નેપાળ સદીઓથી વિશિષ્ઠ ‘રોટીબેટી’ સંબંધથી જોડાયેલાં રહ્યાં છે. હવે રોટીનો વ્યવહાર લગભગ નષ્ટ થવા પર છે ત્યારે બેટીનો વ્યવહાર પણ તૂટી જાય તેવો ભારતવિરોધી કાયદો લાવવા ઓલી સરકાર તત્પર બની છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના વિસ્તારોની યુવતીઓનાં લગ્ન નેપાળી યુવકો સાથે થતાં રહ્યાં છે અને તેમને કદી વિદેશી ગણવામાં આવ્યાં નથી. ભારતીયોને નેપાળ જવા પાસપોર્ટની પણ જરૂર જણાઈ નથી. આજે સ્થિતિ એ છે કે ભારતીયો નેપાળમાં વસતા તેના સગા-સંબંધીઓને મળવા જઇ શકતા નથી. બીજી તરફ, હવે નેપાળ સરકાર ‘વિદેશી’ વહુઓને સાત વર્ષ સતત રહેવાસ પછી નાગરિકત્વ આપવાનો કાયદો વિચારે છે. આ કાયદો નેપાળના તેરાઈ પ્રદેશમાં રહેતા ભારતીયો માટે મુશ્કેલી સર્જી શકે છે. જોકે, કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિવાદ પછી દેશના નકશા બદલી ભારતીય ભૂમિને નેપાળની હોવાનું દર્શાવવાના બંધારણીય સુધારાને ટેકો આપનાર નવી રચાયેલી મધેશી પાર્ટી - જનતા સમાજવાદી પાર્ટી ઓફ નેપાલ (JSPN)એ આવાં પગલાંનો તીવ્ર વિરોધ કર્યો છે.
એક સત્ય એ છે કે ડાબેરીઓ અથવા કોમ્યુનિસ્ટો માટે ધર્મ અફીણ સમાન છે. તેમને સાંસ્કૃતિક વિરાસત સાથે પણ કોઈ સંબંધ નથી. નેપાળ ભારત સાથે ઝગડીને સતત ચીન તરફ સરકી રહ્યું છે અને લાલ આંખ બતાવે છે. આજે નેપાળ સામ્યવાદી ચીનના ખીલે કૂદી રહ્યું છે પરંતુ, ક્યાં સુધી? આખરે તો ચીની ડ્રેગન તેને ગળી જવાનું છે ત્યારે ચીન સીધુ આપણા દ્વારે આવીને ઉભું રહેશે તે ચિંતાનો વિષય છે. આમ થતું અટકાવવા માટે પણ નેપાળ ફરી ભારતનું મિત્ર બની રહે તેવો માર્ગ શોધવો આવશ્યક છે.