માફિયા અને રાજકારણની સાંઠગાંઠ

Tuesday 14th July 2020 12:22 EDT
 

આપણામાં કહેવત છે કે ‘તલવારથી રાજ કરનારો તલવારથી જ મરે’, આ ન્યાયે ઉત્તર પ્રદેશના નામચીન ‘માફિયા’ ડોન તરીકે પંકાયેલો વિકાસ દૂબે આખરે પોલીસ એન્કાઉન્ટરનો શિકાર બની ગયો છે. પોલીસ દ્વારા કરાયેલું એન્કાઉન્ટર સાચું કે ખોટું તેની પળોજણમાં ન પડીએ તો પણ વિકાસ દૂબેના મોત સાથે ઉત્તર પ્રદેશના અનેક રાજકીય અપરાધીઓને હાલ પૂરતી તો ગુમનામ રહેવાની સગવડ મળવા સાથે અનેક રહસ્યો દફન થઈ ગયા છે. ઘણા રાજકારણીઓ ખુશ થયા હોવાં છતાં, કથિતપણે બનાવટી એન્કાઉન્ટરની તપાસની માગણીમાં સામેલ થઈ ગયા છે. પોલીસનો દરોડો પડવાનો છે તેની માહિતી લીક થયા પછી વિકાસ અને તેના સાગરીતોએ અધિકારી સહિત આઠ પોલીસ જવાનોને શૂટ કરી નાખ્યા પછી કોઈ તેનો હાથ પકડશે નહિ તે નિશ્ચિત હતું. ક્રિમિનલ્સ અને પોલિટિશિયન વચ્ચેની સાઠગાંઠનું ઉદાહરણ રહેલા કાનપુરવાળા વિકાસ દૂબેને રાજ્યના તમામ રાજકીય પક્ષોનું અભયદાન હોવાથી આજ સુધી તેનો વાળ વાંકો કરી શકાયો નહિ તેમાં આપણા દેશની સડી ગયેલી સિસ્ટમનો જ વાંક હોવાનું માની શકાય. આ સિસ્ટમ એટલી ખરાબ છે કે જે પોલીસ અધિકારીએ માહિતી લીક કરી હોવાનો આક્ષેપ છે તેણે સુપ્રીમ કોર્ટ સમક્ષ રક્ષણની માગણી પણ કરી છે.
રાજકીય નેતાઓ અને પક્ષો સત્તાની લાલસામાં ચૂંટણીઓ જીતવા અંધારી આલમના બાહુબલીઓને હાથ પકડી આગળ લાવે છે, સામાન્ય પ્રજામાં તેમનો ભય ઉભો કરવામાં મદદરૂપ બને છે અને તેમની સહાયથી સત્તાની સીડીઓ ચડતા રહે છે. વિકાસ જેવા બાહુબલીઓ હત્યા, લૂંટ, અપહરણ, હપ્તા વસૂલી, જમીનો પચાવી પાડવાના રોજિંદા કારોબાર ઉપરાંત, જેલમાં રહીને ચૂંટણી લડે છે અને જીતે પણ છે. જેલોમાં કેદ અનેક માફિયા અંદર બેઠા બેઠા જ બહારના બધા ખેલ પાર પાડે છે. એક સમયે ગુજરાતના અમદાવાદમાં અબ્દુલ લતીફે પણ આ જ કર્યું હતું.
ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન રાજનાથ સિંહની ભાજપ સરકાર હતી ત્યારે વિકાસે ૨૦૦૧માં રાજ્યપ્રધાન સંતોષ શુક્લાની પોલીસ મથકમાં ઘૂસી હત્યા કરી નાખી પરંતુ, તેનો વાળ સુદ્ધાં વાંકો ન થયો. તે ઘટના સમયે પોલીસ મથકમાં હાજર પોલીસ જવાનો સહિત ૨૫ સાક્ષી પણ હોસ્ટાઈલ થઈ જતાં કોર્ટમાં તે છૂટી ગયો હતો. આ પ્રકરણ પછી તો વિકાસને જાણે છૂટો દોર મળી ગયો હતો. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અંધારી આલમને શરણે થવાની ચેતવણી આપ્યા બાદ ઠોકનીતિ એટલે કે એન્કાઉન્ટર કરવા પ્રોત્સાહન આપ્યું હતું જેના પરિણામે, ૧૬ મહિનામાં ૩૦૦૦ એન્કાઉન્ટર થયાનો દાવો કરાય છે. આમ છતાં, આઠ પોલીસ જવાનોની હત્યા પછી અદૃશ્ય થઈ ગયેલા વિકાસને શોધવા ભારે ધમપછાડા કર્યા પણ તેનો પતો ન લાગ્યો અને જ્યારે મળ્યો ત્યારે તે છેક મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં દેખાયો. કોઈ પણ તંત્રની મદદ અથવા નજરઅંદાજ કરાયા વિના આ શક્ય બને નહિ તે સ્વાભાવિક છે.


comments powered by Disqus