વડીલો સહિત સર્વે વાચકમિત્રો,
આ બે મોરચે ખેલાઈ રહેલું યુદ્ધ છે. આપણે વાઈરસ અને આર્થિક પડતી બંને સામે લડવાનું છે પરંતુ, આપણે તમામ શક્તિ ક્યાં કામે લગાવવી તેવો પ્રશ્ન ઉદ્ભવે ત્યારે વિકલ્પો બે હોઈ જ ન શકે. જીવન અમૂલ્ય છે. વર્તમાન સમયના સંદર્ભે તમારા કેટલાકના મનમાં એવો સવાલ પણ ઉઠ્યો હશે કે આખરે જીવનની કિંમત શું છે?
સમગ્ર વિશ્વમાં, સરકારો લોકડાઉનનો અંત ક્યારે અને કેવી રીતે લાવવો તેના વિશે શ્રેષ્ઠ નિષ્ણાતોના મગજ કસી રહી છે. વિશ્વનેતાઓ સમક્ષ વિકલ્પો આજથી અલગ ન હતા જ્યારે માર્ચ મહિનામાં કોરોના વાઈરસના પ્રસારને અટકાવવા લોકડાઉન લાદવા સમયે હતા. તે સમયે પણ વિકલ્પો જીવન અને જીવનનિર્વાહના સાધનો સંબંધે જ હતા.
કોવિડ-૧૯એ કેટલાક પ્રશ્નો સર્જ્યા છે, જે માત્ર આંકડાશાસ્ત્રની બાબત નથી પરંતુ, જીવન બચાવવાં કે અર્થતંત્ર, તે પ્રશ્ન કદી રહ્યો નથી. આમાં કોઈ પસંદગીનો મુદ્દો જ નથી. જો પસંદગીનો મુદ્દો હોય તો પણ તે સ્પષ્ટ જ હોય કે આપણે જીવન બચાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમગ્ર વિશ્વના અર્થતંત્રોને કદાચ ટ્રિલિયન્સ ડોલરનું નુકસાન થયું હોઈ શકે છે પરંતુ, જીવન કોઈ પણ કિંમતે દાવ પર લગાવી શકાય નહિ. આપણે જોઈએ છીએ કે આ સદીની સૌથી હૃદયદ્રાવક માનવીય કટોકટી સામે કામ પાર પાડવા વિવિધ દેશોએ અલગ અલગ સ્તરના લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતથી જ ઈકોનોમીને પુનઃ ખોલવાની આતુરતા દર્શાવી છે અને મતદારો તરફથી તેમને થોડાઘણાં અંશે નિશ્ચિત ટેકો પણ સાંપડ્યો છે. ગત સપ્તાહે યુએસના લોકો લોકડાઉનનો અંત લાવવાની માગણી સાથેના પ્લેકાર્ડ્સ લઈ વિરોધ કરવા શેરીઓમાં ઉતરી પડ્યા, હાઈવેઝ પર ચાલતા રહ્યા તે પણ આપણે જોયું છે.
બ્રિટનની વાત કરીએ તો, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોવિડ-૧૯થી હમણા જ સાજા થયા છે અને આશરે ત્રણ સપ્તાહ પછી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં ફરજ બજાવવા પહોંચી ગયા છે. તેઓ તો કોરોના વાઈરસ સામે અંગત લડાઈમાં જીતી ગયા છે પરંતુ, હવે તેમણે તંગ દોરડા પર નટબજાણિયાની માફક સંતુલન સાધી ચાલવાનું છે. કેટલીક વ્યક્તિઓએ તેમની નેતાગીરી અને ગત સામાન્ય ચૂંટણીના પ્રચાર પાછળ લાખો પાઉન્ડનો ધૂમાડો કર્યો છે, તેઓ હવે લોકડાઉનનો અંત લાવવાની માગણી કરી રહ્યા છે. તેમને અથવા કન્ઝર્વેટિવ પાર્ટીને મદદ કરનારા કેટલાક ટોચના ધનપતિઓએ લોકશાહી સરકારને હુકમો કરવાનો પ્રયાસ કર્યો છે તે ખરેખર તપાસનો વિષય છે.
તમામ સેક્ટર્સને અસર કરનારા લોકડાઉનની આવશ્યકતાને કોઈ પડકાર આપતું નથી. માર્કેટપ્લેસીસ હોય કે આનંદપ્રમોદના સ્થળો, ઉદ્યોગો, વેપારવાણિજ્ય હોય કે બિઝનેસીસ અને ટ્રાન્સપોર્ટ, આ તમામ સેક્ટર્સને અસર નડી છે.
વિશ્વમાં સૌથી મોટી લોકશાહી અને વસ્તીમાં બીજા ક્રમના દેશ ભારતે વિશ્વને અભ્યાસ કરવા લાયક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત નેતાગીરીથી દોરવાતી કેન્દ્ર સરકારે ૨૮ રાજ્યનું સમર્થન પ્રાપ્ત કરવામાં સફળતા હાંસલ કરી છે અને અને કેટલાક રાજ્યોમાં વિપક્ષનું શાસન પણ છે.
વડા પ્રધાન મોદીએ ચોથી વખત, સોમવારે મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી વાર્તાલાપ કર્યો. કેટલાક રાજ્યોએ જૂન મહિના સુધી લોકડાઉન લંબાવવાની ઈચ્છા દર્શાવી, કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકાર કઠોર પગલાં લઈ લોકડાઉન વહેલું ખોલે તેવો મત દર્શાવ્યો. હવે એક બાબત તો સ્પષ્ટ છે. જીવનનું ફલક સમગ્રતયા તમામ ધારણા-અપેક્ષાથી વિપરીત તમામ પાસામાં આમૂલાગ્ર બદલાઈ જશે. તમે ગોળાકાર નાકામાં ચોરસ ખૂંટો મારી શકો નહિ.
સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ડિઝાઈન ડેટા ડ્રિવન ઈનોવેશન લેબના તાજા તારણો અનુસાર ભારત આશરે ૨૧ મેની આસપાસ કોવિડ-૧૯ના ઈન્ફેશનમાંથી ૯૭ ટકા મુક્ત થઈ જશે. મોટા ભાગના અન્ય દેશોમાં પણ નોંધપાત્ર રિકવરી જોવા મળશે.
એક એપિડીમિઓલોજિસ્ટ – રોગચાળા નિષ્ણાતે જણાવ્યું છે કે લોકડાઉનના કડક પગલાં વિના ભારતમાં ૨.૫ મિલિયન લોકો મોતને શરણ થઈ ગયા હોત. આ માત્ર આંકડાશાસ્ત્રની જ વાત નથી. તમે સમતુલા જાળવવાનું કાર્ય કેવી રીતે કરો છો તેનું જ મહત્ત્વ વધુ છે.
ધનવાન દેશોની ક્લબમાં ઠરેલ સભ્ય ન્યૂ ઝીલેન્ડ પણ આશ્ચર્યજનક રિપોર્ટ સાથે બહાર આવ્યું છે. ત્યાં વિજ્ઞાનીઓની થિન્ક ટેન્કે ભૂતકાળના અનુભવોમાંથી નિર્ણયાત્મક તારણ કાઢ્યું હતું. સૌ પહેલા લોકડાઉન લાદનારા દેશોમાં એક ન્યૂ ઝીલેન્ડનો જીડીપી ૬ ટકાથી વધુ સંકોચાય તેવી શક્યતા છે. કોવિડ-૧૯ની સ્વાસ્થ્ય કિંમતોને જથ્થાત્મક પરિમાણમાં ફેરવતા ન્યૂ ઝીલેન્ડ ઈનિશિયેટિવના નવા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે જીડીપીના ૬.૧ ટકા જેટલો આર્થિક માર સહન કરવો પડે તે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ૩૩,૬૦૦ જીવનને બચાવી શકાયા હોય તો લેખે લાગ્યો ગણાય.
૧.૩૬ બિલિયન વસ્તી ધરાવતા ભારતે, અન્ય દેશોની સરખામણીએ કઠોર લોકડાઉનનો માર્ગ પસંદ કર્યો હતો. લગભગ ૮૭ ટકા લોકો ખુશ છે અને લોકડાઉનને સમર્થન આપે છે તે બાબત તેમના મૂલ્યો અને સંસ્કૃતિ વિશે અમાપ કહી જાય છે. કરુણા-અનુકંપા અને માનવતા તો ભારતીય નૈતિકતાનું હાર્દ છે.
તુમ્હારી ભી જય જય, હમારી ભી જય જયઃ RIL અને ફેસબૂક
એશિયાના સૌથી વધુ ધનવાનોમાં એક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ (RIL)ના વડા મુકેશ અંબાણીએ ૨૨ એપ્રિલે ફેસબૂકના મિત્રતાપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટને લીધું. આ આશ્ચર્યજનક સોદા સાથે જ ખળભળાટ મચી ગયો છે. આ સોદો ભારતીય રિટેઈલ માર્કેટ માટે આશીર્વાદ બની રહેશે તેમ મનાય છે. સોદા હેઠળ મુકેશ અંબાણી યુએસ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબૂક દ્વારા રિલાયન્સના ટેલિકોમ્યુનિકેશન અને ડિજિટલ સર્વિસ જિયોમાં ૫.૭ બિલિયન ડોલરનું રોકાણ મેળવશે.
ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના માંધાતા ચેરમેન અંબાણીએ એમેઝોન, ફેસબૂક અને એપલ જેવા ટેકનિકલ માંધાતાઓ દ્વારા ભારતમાંથી ડેટા મેળવી વિદેશમાં સંગ્રહિત કરવા સામે ડેટા કોલોનાઈઝેશન-સંસ્થાનવાદ વિરુદ્ધ દલીલો કરી હતી. તેમણે ભારતના ડેટાનો અંકુશ અને માલિકી ભારતમાં જ રહે તેની હિમાયત પણ કરી હતી.
ફેસબૂક સાથેના આ સોદાથી RILના દેવાનો બોજો ઘટાડવામાં પણ મદદ મળશે.
RIL પેટ્રોલિયમ તો ઘણા સમયથી દૂઝણી ગાય બની રહી હતી. અને હવે, જિયો રીટેઈલ જેવા અન્ય જાયન્ટ્સ ફેસબૂકનો સાથ મેળવી ભારે પ્રોત્સાહન મેળવવાની શક્યતા છે. કોવિડ-૧૯ પછીના વિશ્વમાં આ સોદો ભારતીય ડિજિટલ સેક્ટરનું ફોક્સ ચીન પરથી હટાવી યુએસ તરફ લઈ જશે. અત્યાર સુધી, અલીબાબા અને બાઈટડાન્સ (ByteDance) જેવા ચાઈનીઝ ડેટા જાયન્ટ્સ ભારતીય ડિજિટલ ક્ષેત્રમાં શક્તિશાળી- પ્રભાવક બળ બની રહ્યા હતા.
ભારત સૌથી યુવાન દેશોમાંનું એક છે. તેની યુવાની, છલકાતી મહત્ત્વાકાંક્ષા, અખૂટ ઊર્જા અને ઉત્સાહ અને સૌથી નોંધપાત્ર તો સખત મહેનત કરવાની ઈચ્છાએ દેશના ઝડપી વિકાસ માટેના દ્વાર ખોલી નાખ્યા છે. (એશિયન વોઈસમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ)