વિશ્વ કોરોના મહામારી સામે જંગ ખેલે છે ત્યારે પાકિસ્તાનને કાશ્મીરની શાંતિ ડહોળવાના કાવતરામાં ભારતની સાથે સરહદ પરના ગામોમાં તોપમારો કરવાનું સૂઝે છે. આ તેની ભારતવિરોધી અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી માનસિકતાનું દર્શન કરાવે છે. યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ થિન્ક ટેન્કે પણ ખુલાસો કર્યો છે કે પાકિસ્તાનની ISI જ અફઘાનિસ્તાન સહિત પાડોશી દેશોમાં આતંકવાદીઓ મોકલી રહી છે.
પાકિસ્તાન કોરોનાના સંક્રમણથી લગભગ તબાહી તરફ આગળ વધી રહ્યું છે પરંતુ, ભારત વિરુદ્ધ ખતરનાક ષડયંત્ર રચવામાં તે કદી પાછળ રહેતું નથી. ભારતીય જાસૂસી એજન્સીઓના અહેવાલ અનુસાર તે સંક્રમિત પાકિસ્તાનીઓને કાશ્મીરમાં દાખલ કરાવવાનાં પ્રયત્નોમાં લાગ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરથી મોટા પાયે આતંકવાદી ઉપરાંત, કોરોનાના ચેપગ્રસ્તોને પણ ખીણપ્રદેશમાં ઘૂસાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ કેન્દ્રો અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં સંખ્યાબંધ આતંકવાદી કોરોના વાઈરસથી સંક્રમિત છે. પાક. એજન્સીઓ અને સેના તોપમારા અને ગોળીબારની આડમાં આતંકવાદીઓ ઉપરાંત, સંક્રમિતોને ભારતમાં દાખલ કરાવવા આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પાર કરાવવામાં મદદ કરી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે પાકિસ્તાન કોરોનાની આડમાં પોતાના આતંકવાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આતંકવાદને નાણાસહાય મુદ્દે એક્શન પ્લાન રજૂ કરવા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે ફેબ્રુઆરીમાં ચાર મહિનાની મહેતલ આપી હતી પરંતુ, મહામારીના કારણે એક્શન પ્લાનની સમીક્ષા પાછી ઠેલાઈ છે. પાકિસ્તાને આ તકનો લાભ લઈ તેના ટેરર વોચ લિસ્ટમાંથી મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ઝાકી-ઉર-રહમાન-લખવી સહિત ૩,૮૦૦ જેટલા આતંકવાદીઓના નામ હટાવી દીધા છે. પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટીએ આ નામો હટાવવા વિશે કોઈ ખુલાસો પણ કર્યો નથી.
એક અહેવાલ એવો પણ છે કે પાકિસ્તાન કોરોનાથી મૃત્યુના આંકડા છૂપાવી રહ્યું છે. પાકિસ્તાનના જ અખબાર ‘ધ ટ્રિબ્યુન’ અનુસાર કરાચીના ૩૦ કબ્રસ્તાનમાં ૪૯ દિવસમાં ૩,૨૬૫ મૃતદેહના દફન કરાયા હતા. મોટા ભાગના લોકોનાં મોતના કારણ અન્ય દર્શાવાયા છે. બીજી તરફ, તાજા આંકડા કહે છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૩,૦૦૦થી વધુ અને મૃત્યુઆંક ૨૮૧ છે. ઈમરાન ખાને દેશમાં લોકડાઉન તો કર્યું નથી પરંતુ, નિષ્ણાતો અને ડોક્ટરોના વિરોધ મધ્યે પણ રમજાનના દિવસોમાં લોકો મસ્જિદોમાં સામૂહિક નમાજ પઢી શકે તેવા આદેશો જારી કર્યા છે.
કોરોનાના મુદ્દે ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરાતો હોવાનો રાગ આલાપવાનું પાકે. શરૂ કરી દીધું છે. ભારત સરકાર મુસ્લિમોને નિશાન બનાવી રહી હોવાના આક્ષેપોનો ભારત સરકારે વળતો ઉત્તર આપી જ દીધો છે અને પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ તરફ ધ્યાન આપવાનું સૂચવ્યું છે. સાચું તો એ છે કે પહેલો સગો પાડોશી અને મૂર્ખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો ઉક્તિઓ પાકિસ્તાન માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી કારણ કે પાડોશી કે દુશ્મન તરીકે તે સારું નથી જ પરંતુ, મૂર્ખ અવશ્ય છે.