મહામારી અને મહામંદીઃ જાયે તો જાયે કહાં

Tuesday 28th April 2020 17:24 EDT
 

એક તરફ, કોરોના વાઇરસની મહામારી અને બીજી તરફ, મહામંદીની ચેતવણીઓ. સમગ્ર વિશ્વ માટે આગળ ખાઈ અને પાછળ કૂવો જેવી પરિસ્થિતિ છે. આમે, અમેરિકા-ચીન જેવી મહાસત્તાઓ વચ્ચે વેપારની મડાગાંઠ અને અનિર્ણયાક નીતિઓને કારણે વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ હતું ત્યારે કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્ર ભયંકર મંદીનો ભોગ બનશે એવી ચેતવણી વિશ્વ નાણા ભંડોળ (IMF)ના વડા ક્રિસ્ટેલીના જ્યોર્જિયાએ આપી છે. ખરેખર, કોરોના કટોકટી અનેક વિકાસશીલ અને વિકસિત દેશો માટે મોટો પડકાર પુરવાર થવાની છે.
નાણા ભંડોળે આશંકા દર્શાવી છે કે કોરોનાના કારણે એશિયાનો આર્થિક વિકાસદર શૂન્ય રહી શકે છે અને આમ થશે તો ગત ૬૦ વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન રહેશે. ભારત સહિતના કેટલાક વિકાસશીલ દેશો અત્યારે જ વિદેશી રોકાણકારોના વેચાણ, પર્યટન ઉદ્યોગને મરણતોલ ફટકો, દવા અને ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારો તથા કડક નાણાકીય સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભારત માટે અન્ય ચિંતા એ પણ છે કે વિદેશથી ભારતમાં આવતા નાણામાં ઘટાડો થવાનું અનુમાન વર્લ્ડ બેન્કે દર્શાવ્યું છે. વિદેશમાં કામકાજ કરતા ભારતીયો વતનમાં નાણા મોકલતા રહે છે તેનાથી પણ અર્થતંત્ર સદ્ધર બને છે. ગત વર્ષે વિદેશથી રેમિટન્સ પેટે ૮૩ બિલિયન ડોલર ભારતમાં આવ્યા હતા. આ વર્ષે ૨૩ ટકાના ઘટાડા સાથે ૬૪ બિલિયન ડોલર જ આવશે તેમ બેન્કે કહ્યું છે. વિશ્વસ્તરે રેમિટન્સમાં ૨૦ ટકાના ઘટાડાની સંભાવના છે. માઇગ્રન્ટ વર્કર્સનાં પગારકાપ તેમજ કરોડો મજૂરો બેકાર થવાથી રેમિટન્સની આવક પર ઘેરી અસર પડશે.
ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરનો અંદાજ સતત બદલાતો રહ્યો છે. કોવિડ-૧૯ના આક્રમણ અગાઉ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફિચે વૃદ્ધિનો અંદાજ ૫.૬ ટકા, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ૫.૮, મૂડીઝે ૫.૪ તેમજ વિશ્વ બેન્કે ૬ ટકાના વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. દેશમાં પ્રથમ લોકડાઉન ૧૪ એપ્રિલ સુધી રહ્યું અને બીજા તબક્કાનું ૩ મે સુધી છે. આ સમયમાં વૃદ્ધિના અંદાજની શરૂઆત ૬ ટકાથી થઈ, જે હવે ઘટીને એક ટકા આસપાસ છે. જો લોકડાઉન ત્રીજા તબક્કામાં જશે તો રેટિંગ એજન્સીઓ નિશ્ચિતપણે તેમના અંદાજ સુધારશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી (CII)એ ૨૦૨૧ના નાણાવર્ષમાં અર્થતંત્રનો વૃદ્ધિ દર ૦.૬ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ૩૦ માર્ચે તેનો પહેલાનો ૬.૫ ટકા વૃદ્ધિનો અંદાજ ઘટાડી ૫.૨ ટકા કર્યો હતો. રેટિંગ એજન્સી ફિચ સોલ્યુશન્સે ૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ૫.૬ ટકાથી ઘટાડી ૧.૮ ટકા કર્યો છે. કોરોનાએ અર્થતંત્રને ફટકો માર્યો છે. લોકડાઉનના પરિણામે વેપારવણજ અને ઉદ્યોગધંધા બંધ છે. આવક ઘટવાથી લોકોની ખરીદશક્તિ પણ ઘટી છે. ફિચ કહે છે કે, અનિશ્ચિતતાઓને કારણે ઉદ્યોગો દ્વારા ખર્ચમાં કાપ મૂકાવા સાથે રોકાણો પણ ઘટવા આશંકા છે. સરકારે રાહત પેકેજના પગલાં લીધા છે પરંતુ, તે અપૂરતા જણાય છે. ફિચે ચીનનો જીડીપી ગ્રોથ પણ ૨.૬ ટકાથી ઘટાડીને ૧.૧ ટકા કરી દીધો છે.
લોકડાઉન્સ, બેરોજગારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે સર્જાયેલી સમસ્યાએ ભારત તથા લેટિન અમેરિકાના અનેક દેશોમાં છૂટક કામદારો માટે પીડાદાયક સ્થિતિ ઊભી કરી છે. ભારતમાં ૪ કરોડ જેટલા છૂટક કામદારોના જીવનનિર્વાહ પર પ્રતિકૂળ અસર પડી છે અને હજારોની સંખ્યામાં વર્કર્સ શહેર તરફથી ગામડા તરફ રવાના થયાં છે. અમેરિકી બ્રોકરેજ ફર્મ જેફરીઝના ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે તો ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં લોકડાઉન માનવ કલ્યાણ અને અર્થવ્યવસ્થા માટે વિનાશકારી પગલું સાબિત થઇ શકે તેવી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ભારતને કોરોનાથી નુકસાન થશે તેનાથી અનેકગણુ નુકસાન લોકડાઉનથી થશે કારણ કે લોકડાઉન ભારતના અર્થતંત્રની કમર તોડી નાખશે.
જોકે, આપણે એ બાબતે સંમત થઈ શકીએ નહિ. લોકડાઉન આર્થિક નુકસાન અવશ્ય કરશે પરંતુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું કહ્યું છે કે જાન હૈ તો જહાન હૈ આ બધું ભલે આંકડાની માયાજાળ સમાન લાગતું હોય પરંતુ, એક બાબત નિશ્ચિત છે કે કોરોના મહામારી પછી આપણું જીવન અગાઉ જેવું સામાન્ય નહિ બની રહે.


comments powered by Disqus