દુનિયાભરના લોકો કોરોના મહામારી સામેના જંગમાંથી બહાર આવ્યા નથી ત્યાં રંગભેદ કે નસ્લભેદના રાક્ષસે ફરી માથું ઉંચક્યું છે. અમેરિકન અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ અત્યાચારમાં મૃત્યુ નીપજ્યા બાદ અમેરિકાની સાથોસાથ યુકેમાં પણ વાતાવરણ ડહોળાઈ ગયું છે. બ્લેક લાઈવ્ઝ મેટર (BLM)ના સમર્થકો ગત ત્રણ સપ્તાહથી વિરોધ પ્રદર્શનો સાથે યુકેની શેરીઓમાં ઉતરી રહ્યા છે અને હવે તો રંગભેદ અને ગુલામીપ્રથાના સમર્થક ઐતિહાસિક વ્યક્તિત્વોના પૂતળાંને ઉખાડી નાખવા ‘ટોપલ ધ રેસિસ્ટ’ અભિયાન પણ શરૂ કરાયું છે, જેના હિટલિસ્ટમાં ૭૮થી ૮૨ લોકોના નામ છે.
સાચું કહીએ તો આવા પ્રાચીન ઐતિહાસિક સ્મારકો અથવા પૂતળાંને ઉખાડી ફેંકવાથી કંઇ માનસિકતા બદલાઈ જવાની નથી. વાસ્તવિકતા જોઈએ તો BLMના પૂતળાંવિરોધ અભિયાનની સામે જ ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL), બ્રિટન ફર્સ્ટ સહિત નાઝીવાદમાં માનતા અતિ જમણેરી પરિબળો પણ પૂતળાં બચાવવા મેદાને આવી ગયાં છે. આમ, શ્વેત અને અશ્વેત જાતિઓ કે વર્ણ સામસામા આવી જતાં સમાનતા અને રંગભેદનો મૂળ મુદ્દો ભૂલાઈ ગયો છે અને વૈમનસ્ય ઘટવાના બદલે વધી રહ્યું છે.
અમેરિકા કે બ્રિટન અથવા વિશ્વનો કોઈ પણ દેશ હોય, વર્ષોથી તેમની પ્રજામાં સમાનતા અને લોકતંત્રના દાવા થતા આવ્યાં છે પરંતુ, આજે પણ અશ્વેત અને વંશીય લઘુમતી લોકોએ પોતાને સર્વશ્રેષ્ઠ ગણાવતી શ્વેત પ્રજાના હાથે તિસ્કાર કે ઘૃણાનો સામનો કરવો પડતો હોય તે સામાન્ય છે.
અમેરિકા અને બ્રિટનનો ઈતિહાસ જ રંગભેદ અને ગુલામીપ્રથાના પાયા પર લખાયેલો છે. ભારતે પણ ૨૦૦ વર્ષની બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાં ઘણું સહન કર્યું છે. વર્તમાન અમેરિકાની સ્થાપના પણ બ્રિટિશ ગુલામી ફગાવી દેવાના યુદ્ધ (૧૭૭૫-૧૭૮૩) સાથે જ થયેલી છે. આમ છતાં, અમેરિકામાં અશ્વેત લોકોની ગણના સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે જ થતી રહી છે.
વર્તમાન યુગમાં રંગભેદ અને ગુલામપ્રથાને કોઈ સ્થાન હોઈ શકે નહિ. જર્મનીમાં આર્યરક્ત અને સંસ્કૃતિને સર્વશ્રેષ્ઠ ગણાવનારા એડોલ્ફ હિટલરના હાથે યહુદી પ્રજાના નિકંદનનો ઈતિહાસ હજુ પુરાણો થયો નથી. વિશ્વના અનેક ધર્મ અને તેમના અનુયાયીઓ પોતાને શ્રેષ્ઠ ગણાવતા રહે છે. આ માનસિકતા લોકોના દિલોદિમાગમાં ઘર કરી ગઈ હોય ત્યારે સભ્ય અને સંવેદનશીલ સમાજે સમાનતા અને ન્યાય આધારિત વ્યવસ્થા લાગુ કરવા તરફ જ આગળ વધવાની આવશ્યકતા છે. આપણે ફ્રેન્ચ ક્રાન્તિના સૂત્ર ‘લિબર્ટી, ઈક્વાલિટી, ફ્રેટરનિટી’ એટલે કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને યાદ કરવું જોઈએ. તેના થકી જ સામાજિક ક્રાંતિ લાવી શકાશે. કોઈ પણ ધર્મ કે વર્ણના માનવીને આપસી સૌહાર્દ વિના ચાલવાનું નથી, આપણે સાથે રહીને, એકબીજાને સાથે રાખીને આગળ વધવાનું છે. આ સંજોગોમાં ભારતીય સંસ્કૃતિનો મૂળ સંદેશ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ જ વિશ્વ પ્રજાને એક બનાવી શકે તેમ છે.