કોરોના મહામારીએ વિશ્વમાં માનવજીવનના અસ્તિત્વને જાણે દાવ પર લગાવી દીધું હોય તેમ સંક્રમિતો અને મૃતકોની સંખ્યા વધી રહી છે. જાયે તો જાયે કહાંની આ પરિસ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્રો પણ ગંભીર અસરોમાં અટવાઈ પડ્યાં છે. આંતરરાષ્ટ્રીય થિન્ક ટેન્ક ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના મતે આ વખતનું તેનું આઉટલુક સૌથી અચોક્કસ અને ડ્રામેટિક છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે મહામારીના પગલે વિશ્વમાં ૧૦૦ વર્ષની સૌથી ગંભીર મંદી જોવા મળશે. બીજા વિશ્વયુદ્ધ પછી મોટો ઘટાડો દેખાશે એટલું જ નહિ, ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૬ ટકા ઘટશે. સુધારો થશે પરંતુ, તે ધીમો અને અચોક્કસ રહેશે. વર્લ્ડ બેંકે ૫.૨ ટકાના ઘટાડાની ચેતવણી સાથે ઉભરતા અર્થતંત્રોમાં ચાલુ વર્ષે ૨.૫ ટકા ઘટાડાનો અંદાજ મૂક્યો છે. કોરોના કટોકટીમાં વિશ્વના કરોડોએ નોકરી ગુમાવી છે તેમજ ગરીબો અને યુવાનોને સૌથી વધુ અસર થઇ છે. પરિણામે કટોકટીથી આર્થિક અને સામાજિક અસમાનતા વધવા ભય છે. એક અંદાજ મુજબ ૩૭ વિકસિત દેશોમાં સરેરાશ બેકારીનો દર બમણો થઇને ૧૦ ટકા થશે અને ૨૦૨૧માં ખૂબ જ ઓછો સુધારો જોવા મળશે.
વધુ મહત્ત્વની અને ગંભીર ચિંતા તો કોરોના વાઇરસના સંક્રમણના બીજા તબક્કાની છે. ચાલુ વર્ષના અંતે કોરોના ફરી ઉથલો મારશે તો વૈશ્વિક અર્થતંત્રમાં ૭.૬ ટકા સુધીનો ઘટાડો જોવા મળશે તેમ OECD કહે છે. રોગચાળાના ઉદ્ભવસ્થાન ચીને તો કોરોનાના નવા ૪૯ કેસ સાથે બીજા હુમલાનું જોખમ જાહેર કરી બીજિંગ આસપાસની ૧૦ વસાહતોમાં માર્કેટ્સ અને શાળાઓ બંધ કરી નવેસરથી લોકડાઉન લાદયું છે. વિશ્વના જે દેશોમાં લોકડાઉન હળવાં કરાયાં છે ત્યાં પણ આવી પરિસ્થિતિ સર્જાવાનું સંપૂર્ણ જોખમ છે. જોકે, કોરોનાનો બીજો તબક્કો આવે કે ન આવે, તેની ગંભીર અસર લાંબા ગાળા સુધી રહેશે.
વિશ્વના કોઈ પણ મુખ્ય અર્થતંત્ર કરતાં યુકેના જીડીપીએ સૌથી ભારે આંચકો સહન ખમવો પડશે તેવી ચેતવણી OECDના અહેવાલમાં છે. વિશ્વમાં સાતમા ક્રમના અર્થતંત્ર ફ્રાન્સને ૧૧.૪ ટકા અને આઠમા ક્રમના ઈટાલીના ૧૧.૩ ટકાની સરખામણીએ યુકેનો જીડીપી ૧૧.૫ ટકા નીચો ઉતરી જશે. જો કોરોના સંક્રમણનો બીજો તબક્કો આવે તો આંચકો ૧૪ ટકા વધુ ખરાબ બની રહેશે. બીજી તરફ, યુએસ (પ્રથમ ક્રમ), જાપાન (૩), જર્મની (૪), કેનેડા (૧૦)ના અર્થતંત્રોને એકી સંખ્યામાં જીડીપી ધોવાણ સાથે પ્રમાણમાં ઓછી ગંભીર અસર થશે. યુકેને ગંભીર અસર થવાનું મુખ્ય કારણ એ છે કે અર્થતંત્ર મોટા ભાગે સેવા આધારિત છે. ફાઈનાન્સિયલ સર્વિસીસ, રીટેઈલ, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ, ટુરિઝમ સહિતનું સર્વિસ સેક્ટર યુકેના જીડીપીનો આશરે ૭૫ ટકા હિસ્સો ધરાવે છે અને આ જ સર્વિસ સેક્ટરને લોકડાઉન નિયમોની ગંભીર અસરો પહોંચી છે.
વિશ્વમાં પાંચમા ક્રમના અર્થતંત્ર ભારતની વાત કરીએ તો કોરોના - લોકડાઉનથી આર્થિક પ્રવૃત્તિ બંધ થઇ જતાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ૩.૨ ટકા ઘટાડો થવાની ચેતવણી વર્લ્ડ બેંકે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં આપી છે. જોકે, ૨૦૨૧માં ભારતીય અર્થતંત્ર જોરદાર બાઉન્સ બેક સાથે ફરીથી બેઠું થઇ જશે તેવો સધિયારો પણ આપ્યો છે. અગાઉ, મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસ, ફિચ રેટિંગ અને એસએન્ડપી ગ્લોબલ રેટિંગ એજન્સીએ પણ ભારતીય અર્થતંત્રના વિકાસમાં ચારથી પાંચ ટકા ઘટાડાનો અંદાજ મૂક્યો હતો. ક્રિસિલે પણ ચાલુ વર્ષની મંદી ભારતના ઇતિહાસની ચોથી સૌથી મોટી તેમજ ૧૯૯૧ના ઉદારીકરણ પછીની સૌથી મોટી મંદી હોવા ચેતવણી આપી છે. શ્રમિકોનું સ્થળાંતર, ઉત્પાદન-વેપાર પ્રવૃત્તિ ઠપ્પ થવી, બેરોજગારી સહિતની સમસ્યાઓના કારણે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ૨૧ લાખ કરોડ રૂપિયાના નાણાકીય પ્રોત્સાહનો આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે પર્યાપ્ત ન હોવાનું પણ આ સંસ્થાઓનું માનવું છે.
જોકે, ભારત માટે સારા સમાચાર એ પણ છે કે દેશની વિદેશી હુંડિયામણ અનામતો પ્રથમ વખત ૫૦૧ બિલિયન ડોલરના આંકડાને વટાવી ગઈ છે. ૧૯૯૧ના ઉદારીકરણના સમયે ભારતે મોટી નાણાકીય કટોકટીનો સામનો કરવા પોતાની સુવર્ણ અનામતો ગીરે મૂકવાની ફરજ પડી હતી કારણ કે તે સમયે ભારતની ફોરેન એક્સચેન્જ રીઝર્વ્સ માત્ર ૫.૮ બિલિયન ડોલર હતી. આમ ભારત આર્થિક મોરચે કોઈ પણ પડકારનો સામનો કરવા તેના પર આધાર રાખી શકે છે.