વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ કોરોનાએ તો આખી દુનિયામાં ભારે ઉપાડો લીધો છે. ચીનના વુહાનથી નીકળેલો આ વાઇરસ ક્યાં જઇને અટકશે? કેટલાને ભરખી જશે? ઉપરવાળા સિવાય કોઇ જાણતું નથી. ટીવીના ટચુકડા પરદાથી માંડીને અખબારોના મસમોટા પાનાઓમાં ખૂણેખાંચરે કોરોના જ કોરોના નજરે પડે છે. દર્દીઓનો આંકડો કેટલો વધ્યો, કેટલી માનવજિંદગી હોમાઇ ગઇ, ક્યા દેશમાં વાઇરસ પહોંચ્યો, અર્થતંત્રને તેનાથી કેટલા કરોડોનું નુકસાન થશે વગેરે વગેરે અહેવાલો ચોમેર છવાયા છે. મસમોટી બેન્કોથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિધવિધ દેશોની સરકારોએ કોરોનાથી સર્જાયેલા પડકારોનો સામનો કરવા કમર કસી છે. જોકે કોરોનાની સૌથી વધુ વિપરિત અસર વ્યક્તિગત ધોરણે જોવા મળી રહી છે. ક્યારેક તો એવું લાગે છે કે લોકો રોગની અસર કરતાં પણ તેના વિશે ચિંતા કરી કરીને, કરી કરીને હેરાનપરેશાન થઇ રહ્યા છે.
વાચક મિત્રો, કોરોના જેવો રોગચાળો કંઇ આ પૃથ્વી પરની પહેલીવારની ઘટના નથી. આજથી એકસો વર્ષ પૂર્વે સ્પેનિશ ફ્લુએ પણ યુરોપમાં આવો જ માહોલ સર્જ્યો હતો. વિશ્વભરમાં કરોડો લોકો તેનો શિકાર બન્યા હતા. પાંચેક કરોડે તેમના જીવ પણ ગુમાવ્યા હતા. આ જ પ્રમાણે બ્રિટનમાં ઈ.સ. ૧૬૬૫માં પ્લેગની મહામારી આવી, એકથી વધુ વાર ફ્લુની બીમારી આવી, વીસેક વર્ષ પૂર્વે એઇડ્સ જેવા જીવલેણ રોગે માથું ઉંચક્યું હતું, સાર્સ પણ આવ્યો અને ગયો, તાજેતરમાં કોંગો સહિતના આફ્રિકન દેશોમાં ઇબોલા રોગનું ચાલ્યું હતું. આ દરમિયાન સ્વાઇન ફ્લુ પણ આવ્યો ને ગયો. હા, તે ક્યાંક ક્યાંક હજુ દેખા દઇ દે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે અવારનવાર આવો રોગચાળો ફાટી નીકળતો રહ્યો છે, ફેલાતો રહ્યો છે. કોઇક લાંબો સમય ટક્યો છે તો કોઇ ટૂંકો સમય. દુનિયાભરના વિજ્ઞાનીઓ આવી બીમારી સામે હવે વધુ સાબદા બન્યા છે, પણ આનાથી આવી બીમારીઓ સમૂળગી નાબૂદ થઇ જશે તેમ માની લેવું ભૂલભરેલું છે.
તો આપણે શું કરવું જોઇએ? સાબદા બનવું જોઇએ. એઇડ્સ જીવનશૈલી સંબંધિત મહામારી હતી તો કોરોનાનો સંબંધ સ્વચ્છતા સાથે છે. કોરોનાના જીવાણુગ્રસ્ત વ્યક્તિના સંસર્ગમાં આવેલી વ્યક્તિને તેનો ચેપ વળગવાની પૂરી શક્યતા હોય છે. જોકે સ્વચ્છતા સંબંધિત કેટલીક બાબતોનું પાલન કરીને આ જોખમથી બચી શકાય છે.
ટીવીથી માંડીને અખબારોમાં કોરોના છવાયો છે અને તે દરેકમાં તમને એક બાબત સમાન જોવા મળશે કે આ કે આવા રોગચાળાનો ભોગ મનુષ્યો જ બનતા હોય છે. અને જો વ્યક્તિ ચેતતો નર સદા સુખીના ન્યાયે થોડુંક પણ સાચવી લે તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચી શકે છે. પરંતુ કદાચ આપણા વડા પ્રધાન જ્હોન્સનભાઇ આ કહેવતથી વાકેફ નહીં હોય એટલે કોરોના સામે આગોતરા પગલાં લેવામાં થોડીક થાપ ખાય ગયા હોય તેવું લાગે છે! તમે અવલોકન કરશો તો જણાશે કે આપણી બ્રિટન સરકાર ગયા ગુરુવાર સુધી કોરોના અને તેના પગલે સર્જાનારી સમસ્યાઓથી ખાસ ગંભીર જણાતી નહોતી. આખરે ઉપાધિએ માથું ઊંચક્યું ત્યારે તેને નાથવાના પ્રયાસ શરૂ કર્યા. હવે સંજોગો એવા સર્જાયા છે કે દિવસ-રાતના પ્રયાસો પણ ઓછા પડી રહ્યા છે.
પ્રારંભે આ બીમારીના ખતરાને ઓછો આંકનાર બ્રિટન સહિતના દેશોમાં હવે લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકાઇ રહ્યા છે. રમતગમતની સ્પર્ધાઓ રદ થઇ રહી છે, જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ લદાયા છે, શાળા-કોલેજોને તાળાં મરાયા છે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવા સૂચવાઇ રહ્યું છે, સંભવ હોય ત્યાં કંપનીઓને વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ લાગુ કરવા જણાવાયું છે.
સરકાર કે વહીવટી તંત્ર રોગચાળાને નાથવા તેમને યોગ્ય લાગે તેવાં પગલાંઓ લઇ રહ્યા છે તેમાં હું એટલું જ ઉમેરવા ઇચ્છીશ કે આપણે આપણું સાચવી લેવું. આપણે માત્ર આપણી કાળજી લઇશું તો આપોઆપ આપણો પરિવાર, વિસ્તાર, પ્રદેશ અને દેશ સચવાઇ જશે. આપણે આટલું જ કરશું તો સરકાર અને તંત્રનું કામ ઘણું હળવું થઇ જશે તેમ મારું માનવું છે.
ભારતમાં કોરોનાનો કેર કેમ ઓછો?!
ચીનના વુહાનથી ફેલાયેલો કોરોનાએ ચીનમાં તો હાહાકાર મચાવ્યો જ, પણ હવે તે ઇટલી, સ્પેન, ફ્રાન્સ સહિતના યુરોપિયન દેશોથી માંડીને ઇરાનમાં ધાર્યા કરતાં વધુ મુશ્કેલી સર્જી રહ્યો છે. જ્યારે ભારતમાં નવાઇ લાગે તે હદે કોરોનાના શંકાસ્પદ કેસોની સંખ્યા બહુ ઓછી જોવા મળે છે. પોઝિટિવ કેસોમાં રિકવરીનો દર પણ સારો જોવા મળી રહ્યો છે. આનો યશ ગરમ હવામાન, આગોતરાં પગલાં અને ભારતના સ્વાસ્થ્ય વિભાગની ચાંપતી વ્યવસ્થાને આપવો રહ્યો.
આજકાલ સોશ્યલ મીડિયામાં એક કિસ્સો બહુ જ ફરી રહ્યો છે. આપ સહુને પણ ટૂંકમાં જણાવું. એક બહેન સિએટલ (યુએસ)થી ફ્લાઇટ પકડીને વાયા ટોક્યો મુંબઇ એરપોર્ટ પહોંચ્યા. બધા વિમાન પ્રવાસીઓનું મેડિકલ સ્ક્રીનીંગ થાય છે એમ તેમનું પણ થયું. લગેજ લીધો અને ઘરે પહોંચી ગયા. તેમના બે દિવસ તો જેટ લેગને સેટ કરવામાં જ વીત્યા. ત્રીજા દિવસે સવારમાં તેમને ત્યાં સ્થાનિક હોસ્પિટલના ડોક્ટર, એરપોર્ટ ઓથોરિટીના કર્મચારી સહિત પાંચ જણાની ટીમ આવી પહોંચી. પોતાની ઓળખ આપી, અને બહેનના સ્વાસ્થ્ય સંબંધિત વિગતવાર પૂછપરછ કરી. કેવા સંકેત દેખાય તો સાબદા થવું તેની જાણકારી આપી. બહેને પૂછ્યછયું કે એરપોર્ટ પર સ્ક્રીનીંગ કર્યું હતું તો આ બે દિવસે ફરી પાછી તપાસ શા માટે? કારણ જાણીને બહેન આશ્ચર્યચકિત થઇ ગયા. પેલી ટીમે તેમને સમજાવ્યું કે તમારી ફ્લાઇટ આવી તે સમયે જ ઇટલીથી આવેલી એક ફ્લાઇટે પણ લેન્ડ કર્યું હતું. બન્નેનો લગેજ એક જ કન્વેયર બેલ્ટ પર આવ્યો હતો. સંભવ છે કે તમે કે તમારો લગેજ તેના સંસર્ગમાં આવ્યા હો અને તમને પણ ક્યાંક કોરોનાનો ચેપ લાગ્યો હોય તો? બહેને આ જાણીને ફરી આશ્ચર્યનો આંચકો અનુભવ્યો. તેઓ કહે છે કે ભારતમાં આવો અનુભવ મારા માટે સુખદ આંચકો હતો. મારા જેવા પ્રવાસીઓને તો ખબર પણ નહોતી કે અમારા લગેજ સાથે ઇટલીની ફ્લાઇટનો લગેજ હતો. તેમણે અમારા ઘરે આવીને તપાસ ન કરી હોત તો અમને ક્યાં ખબર પડવાની હતી? પણ નહીં, તેમણે જાતે જ તપાસ કરી અને મારા જેવા પ્રવાસીને ઘરે ઘરે પહોંચીને તપાસ્યા હતા. વાચક મિત્રો, હવે સમજાયું ને કે ભારતમાં અત્યાર સુધી કોરોના કેમ કાબુમાં જોવા મળી રહ્યો છે? ખેર, આપણે મૂળ વાત પાછા પહોંચીએ તો...
વા વાયો ને નળિયું ખસ્યું
બ્રિટન હોય કે અમેરિકા કોરોનાના કારણે બધે વા વાયો ને નળિયું ખસ્યું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર યુકેમાં નાનીમોટી સુપર માર્કેટના શેલ્ફ ખાલીખમ થઇ ગયા છે. લોકો ટોઇલેટ પેપર રોલ, હેન્ડ સેનીટાઇઝર્સ, હોમ ક્લિનર્સ વગેરે થોકબંધ ખરીદી ગયા છે. કંઇક એવો માહોલ ઉભો થઇ ગયો છે કે હાઇજીન માટે જરૂરી આવી ચીજવસ્તુઓની આગામી દિવસોમાં ભારે અછત સર્જાવાની છે એમ કેટલાય માને છે. પરિણામે ઘણાના ઘરોમાં આવી જરૂરી ચીજવસ્તુઓ ઢગલામોઢે સંગ્રહાયેલી પડી છે તો જેમણે આવી ચીજવસ્તુઓનો ખરેખર સંગ્રહ નથી કર્યો, જેમને આની ખરેખર જરૂર છે તેઓ ફાંફા મારતા ફરે છે. આવું વલણ માત્ર બ્રિટન પૂરતું જ સીમિત નથી.
અમેરિકામાં પણ કંઇક આવી જ કૃત્રિમ તંગી પ્રવર્તે છે. અહીંના લોકોએ મિલ્ક પાઉડર, ડ્રાય બિન્સ, કેન્ડ મીટ, ચીક પીસ, ચોખા, ફિશ, પાસ્તા જેવી ખાણીપીણીની ચીજવસ્તુઓની મોટા પાયે ખરીદી કરીને ઘરભેગી કરી દીધી છે. તેમને લાગે છે કે કોરોના કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ હજુ વધુ ગંભીર બનવાની છે. અને ઘરમાં જ બંધ રહેવું પડ્યું તો? આ વિચારે લોકો ખાણીપીણીની ચીજવસ્તુઓની ઢગલાબંધ ખરીદી કરીને ઘર ભરી રહ્યા છે. લોકોની આ જંગી ખરીદીના પગલે વીતેલા વર્ષની સરેરાશ કરતાં ૪૦થી ૮૦ ટકા વેચાણ વધી ગયું છે.
જો આ તરંગી ફરમાન અમલી બન્યું તો...
બ્રિટનમાં આજકાલ એવા અહેવાલો વહેતા થયા છે કે સરકાર એક ફરમાન બહાર પાડીને ૭૦ વર્ષથી મોટી વયની વ્યક્તિને ઘર બહાર નીકળવાની મનાઇ ફરમાવવાની છે. લ્યો કરો વાત... અલ્યા ભાઇ, આ વાત બોલવામાં જેટલી સહેલી છે તેટલો જ તેનો અમલ મુશ્કેલ છે. જરા વિચાર તો કરો કે બોરીસ જ્હોન્સન વગર વિચાર્યે આવું તુઘલખી ફરમાન જારી કરી દેશે તો કેવી ભારે આપત્તિ સર્જાશે? આ દેશની કુલ વસ્તીમાંથી લગભગ ૨૦ ટકા લોકો ૭૦ વર્ષ કે તેથી વધુ વયના છે. આમાંથી પણ ૨૮ ટકા - એટલે કે ચોથા ભાગ કરતાં પણ વધુ - સાવ જ એકલાઅટૂલાં રહે છે. આ લોકો કેવી મુશ્કેલીમાં મૂકાઇ જશે? આ લોકો ઘરની બહાર જ નહીં નીકળી શકે તો તેઓ પોતાની ખાણીપીણીથી માંડીને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે વ્યવસ્થા કઇ રીતે કરશે? તેમના મેડિકલ ચેક-અપનું શું? સંભવ છે કે સરકાર ફરમાન સાથે વડીલોને આમ કરો ને તેમ કરોની સલાહ-સુચના પણ જાહેર કરશે, પણ તેનો અમલ કેટલો વ્યવહારુ હશે તે પણ જોવું રહ્યું ને? ખેર, સરકાર તો તેને જેમ કરવું હશે એમ કરશે, કેમ કે આખરે તો તે સરકાર છે. પરંતુ આ સંજોગોમાં આપણે શું કરી શકીએ તે વિચારીએ...
આપણે - જેમનું આરોગ્ય સાજુંનરવું હોય તેઓ - સ્વેચ્છાએ એક સેવાધર્મ બજાવી શકીએ. આપણી અડોશપડોશમાં રહેતાં સગાંસંબંધીઓથી માંડીને એકલવાયા રહેતા વડીલોનો વ્યક્તિગત સંપર્ક સાધીએ. તેમના ખબરઅંતર જાણીએ. આપણું આરોગ્ય સાચવીને તેમને કોઇક પ્રકારે મદદરૂપ થઇ શકાતું હોય તો તેમ કરીએ. અરે, રૂબરૂ ન જઇ શકાય તો ટેલિફોન કરીને પણ પૃચ્છા કરવામાં વાર કેટલી લાગે? સાચું કહું તો... આ અભિગમથી સામેની વ્યક્તિને તો સારું લાગશે જ, પરંતુ તમને ખુદને વધુ સારુ લાગશે. જરૂરતમંદને મદદરૂપ થવા જેવું કોઇ સુખ નથી બાપલ્યા... તે હંમેશા યાદ રાખજો.
જાગતો નર (કે નારી) સદા જીતે...
માત્ર ગુજરાતી જ નહીં, લગભગ દરેક ભાષામાં એક યા બીજા પ્રકારે કહેવાયું છે કે ચિંતા ચીતાસમાન છે. ચિંતાનો બોજ વ્યક્તિને વગર આગે બાળી નાંખતો હોય છે. અને કોરોનાના મામલે પણ કંઇક આવું જ થઇ રહ્યું હોય તેવું લાગે છે. આપણા સહુના આરોગ્યની સારસંભાળ લેતી એનએચએસના એક ડોક્ટરનું કહેવું છે કે કેટલાક લોકો કોરોનાના ડરથી એટલા બધા ભયભીત થઇ ગયા છે કે તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી રહી છે. કોરોના તો આવશે ત્યારે આવશે, પણ તેના આવવાની આશંકા માત્રથી લોકો ફફડી રહ્યા છે. આનાથી તેમના ઇમ્યુનિટી પાવર (રોગપ્રતિકાર શક્તિ)નું ધોવાણ થઇ રહ્યું છે. આવા લોકો ખાલીખોટી ચિંતા કરીને પોતાના આરોગ્યને નુકસાન કરી રહ્યા છે કેમ કે રોગપ્રતિકાર શક્તિ ઘટતાં જ શરીરમાં એક યા બીજો રોગ પગપેસારો કરે છે. નબળું મન અને નબળું તન રોગનું પ્રવેશદ્વાર છે એ કદી ન ભૂલવું.
કોરોના ખતરનાક બીમારી છે તે સાચું, પણ તેની ચિંતા કર્યે રાખવી એ તેનો ઉપાય નથી. તો પછી આ સ્થિતિથી બચવા શું કરવું જોઇએ?
એક તો જાતમહેનત જિંદાબાદ... જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમામ કામ જાતે જ કરો. સતત પ્રવૃત્તિમય રહેશો તો કોરોના કે કોઇ પણ બીમારીના ફાલતુ વિચારો દિમાગને કનડશે નહીં. દિવસ આખો સક્રિય રહેશો તો રાત્રે ઊંઘ પણ સારી આવશે.
બીજું, ખાણીપીણીની કાળજી લો. દરેક સ્વાદિષ્ટ ચીજવસ્તુના ચટાકા માણવાની જીભને ઇચ્છા થશે જ. પણ સ્વાદેન્દ્રીયને કાબૂમાં રાખો. પોતાના સ્વાસ્થ્યને અનુરૂપ ખાણીપીણી રાખો. અત્યાર સુધી ભલે ખાવાપીવામાં જલ્સા કર્યા, પણ હવે હવામાં કોરોના મંડરાઇ રહ્યો છે તો રોગપ્રતિકાર શક્તિ વધારે તેવું ભોજન લો. શરીરને માફક આવે તેવા લીલા શાકભાજી, તાજા ફળફળાદિ, ફણગાવેલા કઠોળ, મર્યાદામાં મધ (જો ડાયાબિટીસ ના હોય તો), લસણ વગેરે નિયમિત લો. ફ્રીજમાં રાખેલો ઠંડો, વાસી ખોરાક ન લો. આજકાલ ડબ્બાબંધ - રેડી ટુ કૂક ખાદ્યસામગ્રીનું ચલણ વધ્યું છે, પણ બને ત્યાં સુધી તે ટાળો. શક્ય હોય ત્યાં સુધી ગરમ ખોરાક લો. ભલભલા વાઇરસ ભાગતા ફરશે.
ત્રીજું, સ્વસ્થ જીવનશૈલી અપનાવો. સરકાર મોલ, થિયેટર, જાહેર સ્થળોએ ન જવા સૂચવે છે, પરંતુ તમે ઘરના વરંડામાં કે ઘરની આસપાસ તો નાનકડી લટાર લગાવી શકો ને?! હરતાફરતા રહો. સ્વસ્થ હોય તેવા મિત્રો-સ્વજનોને મળતા રહો. થોડોક સમય પણ પસાર થશે. મન પણ હળવું થશે.
ચોથું, આત્મશ્રદ્ધા - આત્મવિશ્વાસ જાળવો. તમારા જેવડી વયના ફલાણાભાઇ કે ઢીંકણાબહેન પડી ગયા કે લથડી ગયા તે જાણીને તમારે ચિંતાતુર થઇ જવાની જરૂર નથી કે હરવાફરવાનું બંધ કરી દેવાની જરૂર નથી. પોતાની જાતમાં, પોતાના સ્વાસ્થ્યમાં વિશ્વાસ જાળવો. મનોબળ મક્કમ રાખો. શરીરના કોઇ ભાગમાં દુખાવો કે પીડા થાય તો મનમાં મૂંઝાયા કરવાના બદલે તબીબી માર્ગદર્શન મેળવો.
પાંચમું, હંમેશા તમારા જીપીની સુચનાને અનુસરો. તમારા શરીરની સુખાકારીનો સાચો રક્ષક હોય તો તે છે તમારા જીપી. તમારી શારીરિક-માનસિક સ્થિતિ વિશે તેમની સાથે મોકળા મને વાતચીત કરો. તમે જેટલી વિગતવાર રજૂઆત કરશો એટલું તેમને તમારી શારીરિક-માનસિક આધિ-વ્યાધિનું નિદાન કરવામાં સરળતા રહેશે. આ પછી ખાણીપીણી, જીવનશૈલીથી માંડીને મેડિસીનના મામલે તેમની સુચનાને અનુસરો.
માફ કરજો, હું આવું લખી રહ્યો છું, પરંતુ મેં જોયું છે કે કેટલાક વડીલો આ મામલે સળંગ ડાહ્યા (દોઢ ડાહ્યા તો ના કહેવાયને...!) હોય છે. જીપી અમુકતમુક સુચના આપે પછી તેનું જાતે જ પિષ્ટપેષણ કરે અને પછી મેડિસીનથી માંડીને ખાણીપીણીના મામલે પોતાની રીતે અમલ કરે. આવું ક્યારેય ના કરો. દર્દી મટીને ડોક્ટર બનવા પ્રયાસ ન કરો. તેમને તેમનું કામ કરવા દો. તેમની સુચનાનો શક્ય તેટલો અમલ કરવા પ્રયાસ કરો.
અને છેલ્લું, વારેઘડીએ નસીબને કે ભગવાનને દોષ દેવાનું બંધ કરો. ભગવાને આ શું માંડ્યું છે? હે ભગવાન, આ બધું કેમનું થયું? વાતવાતમાં ભગવાનને વચ્ચે લાવવાનું ટાળો. અત્યારે ચાલતા મુશ્કેલીના દિવસો પણ વહી જશે. હકીકત ભલે ગમેતેવી વિપરિત હોય તેનો સહુએ સ્વીકાર કરવો જ રહ્યો.
ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રંગ ને રૂપ... એમ આપણા વડવાઓ કંઇ અમસ્તા જ નથી કહી ગયા. આથી જ કહું છું, ચિંતા ના કરો, સાબદા બનો. સુખી જ થશો તેની તો ગેરન્ટી ના આપી શકું, પણ દુઃખી તો નહીં જ થાવ તેની ખાતરી રાખજો... (ક્રમશઃ)