વિશ્વને લોકડાઉન કરતો કોરોના વાઈરસ

Tuesday 17th March 2020 15:45 EDT
 

સમગ્ર વિશ્વમાં મહામારી જાહેર કરાયેલા કોરોના વાઈરસ (કોવિડ-૧૯)નો વિકરાળ પંજો એટલી ઝડપે પ્રસરી રહ્યો છે કે ચોતરફ તાળાબંધી - લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. સૌપ્રથમ નવેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાન ખાતે કોરોના વાઈરસનો કેસ ધ્યાને આવ્યો તેના પછી વિશ્વના ૧૫૮ દેશમાં અત્યાર સુધી ૧૮૨,૫૦૦ જેટલા લોકો આ વાઈરસથી ચેપગ્રસ્ત બન્યા છે અને ૭૨૦૦ જેટલા લોકોએ મહામૂલું જીવન ગુમાવ્યું છે. મહામારીની સાથે ગભરાટ પણ ફેલાયો છે.
સૌપહેલા ચીન આ રોગચાળાનું કેન્દ્ર હતું તે સ્થાન હવે યુરોપે લીધું છે. ઈટલી અને સ્પેનમાં તો અકલ્પનીય ઝડપે લોકો ચેપનો શિકાર બની રહ્યા છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. યુકે, ઈટલી, સ્પેન, ફ્રાન્સ સહિત યુરોપના તમામ દેશોમાં શાળા-કોલેજો, દુકાનો, ઓફિસો સહિત બધે તાળાબંધી જાહેર કરી દેવાઈ છે. મોટા ભાગની ક્રિકેટ અને ફૂટબોલ ટુર્નામેન્ટ્સ, લંડન મેરેથોન જેવી સ્પર્ધાઓ મુલતવી રખાઈ છે. સરકારને કોરોનાના શંકાસ્પદ કેસીસ છુપાવાય તો જેલ અને દંડ સહિતના આકરાં પગલાં ભરવાની ફરજ પડી છે. મોટા ભાગના દેશોએ આકરા નિર્ણય લઈ પોતાની સરહદો બંધ કરી છે. હવાઈ ઉડ્ડયનો અને રેલપ્રવાસ પણ લગભગ બંધ કર્યા છે. ટુંકમાં, અવરજવર પ્રતિબંધિત થવાથી પ્રવાસન સ્થળો તો ઠીક, નાના શહેરોની શેરીઓ પણ સુમસામ અને ભેંકાર જણાય છે. માત્ર ખાદ્યપદાર્થો અને ફાર્મસી તેમજ હોસ્પિટલોમાં જ ચહલપહલ દેખાય છે. વધુ એક કેન્દ્ર ઈરાન સહિત મધ્ય-પૂર્વના દેશો છે, જ્યાં કોરોનાનો ચેપ ઝડપથી પ્રસરી રહ્યો છે.
અમેરિકા, ઈટલી સહિતના વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં સંક્રમણ અંકુશમાં રહ્યું છે. ભારતમાં ગરમ આબોહવાને લીધે કોરોના વાઈરસની અસરકારકતા ઓછી થઈ જતી હોવાનું અનુમાન છે. ભારતમાં વસ્તીની ગીચતા છતાં સરકારની તત્કાળ કાર્યવાહીએ રોગના નિયંત્રણમાં મોટી ભૂમિકા ભજવી છે. વિદેશથી આવતા પ્રવાસીઓનું પરીક્ષણ અને આઈસોલેશન મોટા પ્રમાણમાં કરાયું તેનાથી પણ ચેપ પર નિયંત્રણ લાવી શકાયું છે. આ માટે આપણે ડોક્ટર્સ, નર્સીસ અને હોસ્પિટલ કર્મચારીઓને તેમજ સરકારી તંત્રવ્યવસ્થાને પણ અભિનંદન આપવા જોઈએ કે જેઓ પોતાના જીવનની ચિંતા કર્યા વિના લોકોની સારવારમાં લાગેલા રહ્યા છે.
આપણે એક નોંધપાત્ર ઘટના તરફ પણ નજર કરવી જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરી ‘સાર્ક’ દેશોના નેતાઓની વીડિયો કોન્ફરન્સિંગ કરાવી કોરોના રોગચાળા સંબંધે સાત પડોશી દેશો શું કરી શકે તેની વિચારણા આરંભી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ‘સંક્રમણ સામે લડવા તૈયાર રહેવું અને ડર રાખવો નહિ’ના મંત્ર સાથે આ બીમારીને નાથવા પ્રયત્નશીલ છે. વડા પ્રધાન મોદીએ કોરોના રોગચાળાને પહોંચી વળવા ‘સાર્ક’ દેશો માટે સ્વૈચ્છિક ઇમર્જન્સી ફંડ એકત્ર કરવાનો પ્રસ્તાવ મુકવા સાથે ભારત તરફથી ૧૦ મિલિયન ડોલર આપવાની જાહેરાત પણ કરી હતી. ‘સાર્ક’ દેશોના વડાઓએ આ પહેલને વધાવી લીધી છે. આ ફંડનો ઉપયોગ ‘સાર્ક’ સભ્યોમાંથી કોઇ પણ દેશ કરી શકશે. જોકે, પાકિસ્તાને આ બેઠકમાં પણ કાશ્મીર મુદ્દો ઉઠાવીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો જે તેની ભારતવિરોધી માનસિકતા છતી કરે છે.
એવું નથી કે આ રોગના ચેપમાંથી સાજા થવાતું નથી. આશરે ૯૦ હજારથી વધુ લોકો સાજા થયા છે પરંતુ, તે માટે સાવચેતી અને જાગૃતિ રાખવી પડે છે. કોરોના રોગચાળા વિરુદ્ધ રસી વિકસાવવા દેશવિદેશના વિજ્ઞાનીઓ પણ સતત કાર્યરત છે. સામૂહિક મેળાવડાઓ પર પ્રતિબંધ છે ત્યારે તાજેતરમાં યુકેમાં લિવરપૂલ, ચેલ્ટેનહામ અને લીડ્ઝ જેવાં સ્થળોએ હજારોની સંખ્યામાં લોકો મેરેથોન અને સંગીત કાર્યક્રમો જોવાં ઉમટી પડ્યા હતા. આ નાગરિક જવાબદારીનું લક્ષણ કહી ન શકાય. આપણે સૌ પહેલા તો ચેપ ન લાગે તેની સાવચેતી અને તે અન્યોમાં ન પ્રસરે તેની જાગૃતિ રાખીશું તો આ મહામારીના આક્રમણને અવશ્ય ખાળી શકાશે. નોંધવું રહ્યું કે કોરોના રોગચાળાએ ભારતની ‘નમસ્તે’ પરંપરાને જીવંત તેમજ વિશ્વવ્યાપી બનાવી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ હોય કે બ્રિટિશ પ્રિન્સ ચાર્લ્સ કે ઈઝરાયલી વડા પ્રધાન નેતાન્યાહુ સહિતના નેતાઓ ‘નમસ્તે’થી અભિવાદન કરતા થયા છે. આપણે સહુ પણ આ પરંપરાને જ આગળ વધારીએ.


comments powered by Disqus