આત્મનિર્ભરતા વિના નહિ ઉદ્વાર

Tuesday 19th May 2020 08:37 EDT
 

ભારતમાં સોમવારથી કોરોના મહામારી સંદર્ભે થોડી વધુ છૂટછાટ સાથે ચોથા લોકડાઉનનો આરંભ થઇ ગયો છે જે ૩૧ મે સુધી લાગુ રહેશે. મહામારી અને સંબંધિત લોકડાઉન્સના પરિણામે દેશમાં સર્જાયેલી આર્થિક મુશ્કેલીમાંથી અર્થતંત્રને બહાર લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની નોંધનીય જાહેરાત કરી છે. આ પેકેજથી ઠપ્પ થયેલી આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે અને અર્થતંત્ર ફરી ધમધમતું થશે તેમાં કોઈ શંકા નથી.
નાણા પ્રધાન નિર્મલા સીતારામને અલગ અલગ સેક્ટર્સ માટે સતત ચાર દિવસ કરેલી જાહેરાત અનુસાર, નાના અને મધ્યમ ઉદ્યોગોથી માંડીને રિઅલ એસ્ટેટ, મજૂરો, લારી-ગલ્લાવાળાઓ અને મધ્યમ વર્ગ, નાના ખેડૂતોને લાભ થાય અને રાહત મળે તેનું ધ્યાન રખાયું છે. આ ઉપરાંત, પ્રવાસી શ્રમિકોને મફત અનાજ, નાના વેપારી અને લારી-ગલ્લાવાળાને સ્પેશિયલ ક્રેડિટ ફેસિલિટી, ગરીબો માટે સસ્તાં આવાસ - કિસાન ક્રેડિટ કાર્ડ મારફત વધારાનું ધિરાણ, ફૂડ માઈક્રો એન્ટરપ્રાઈઝ, કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને તેમજ ગ્રામીણ શ્રમિકો માટે વિશેષ મહત્ત્વની ‘મનરેગા’ માટે વધારાની ફાળવણી કરાઇ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયપેકેજ જાહેર કરતી વેળાએ મહામારીની આફતને અવસરમાં બદલવા આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો છે. આપણે જાણીએ છે તેમ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવામાં મહાત્મા ગાંધીએ સ્વદેશી ચીજવસ્તુના ઉપયોગ અને વિદેશી માલસામાનનો બહિષ્કારનો મંત્ર આપ્યો હતો. જોકે, ગાંધીજીથી પણ પહેલા ‘વંદે માતરમ્’ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૨માં સ્વદેશીનો વિચાર વહેતો કર્યો હતો.
કરુણતા એ છે કે આજે આપણે સ્વદેશી કે સ્વાવલંબન અથવા આત્મનિર્ભરતાને શબ્દ તરીકે જ ઓળખીએ છીએ. વિદેશી અને ખાસ તો ટકાઉ ન હોય તેવો ચાઈનીઝ માલસામાન વાપરવામાં પણ ગૌરવ અનુભવીએ છીએ તો આત્મનિર્ભર વૈશ્વિકીકરણના આજના યુગમાં વિદેશી ટેકનોલોજી કે માલસામાનનો ઉપયોગ સદંતર બંધ કરી દેવાનું શક્ય નથી તે સાચું, પણ લોકો આત્મનિર્ભરતાનો મહામંત્ર અપનાવી પરદેશી ચીજોની અનાવશ્યક ખરીદી ટાળીને અર્થતંત્રને ચેતનવંતુ બનાવી શકે છે. ભારતીય કંપનીઓએ પણ ગુણવત્તાસભર સ્વદેશી ઉત્પાદનો માર્કેટમાં ઠાલવીને લોકોને વિકલ્પ આપવા જોઇએ.
થોકબંધ ઉત્પાદન મામલે આપણે ચીનમાંથી બોધપાઠ લઇ શકીએ. ચીન લગભગ બધી ચીજોનું ઉત્પાદન ચીન કરે છે અને વિશ્વને વેચે છે. આપણે પણ સ્વદેશી ઉત્પાદનોને આ રીતે વિશ્વબજારમાં વેચી શકીએ છીએ. મિનિસ્ટ્રી ઓફ કોમર્સની વેબસાઈટનો ડેટા દર્શાવે છે કે માત્ર ચીન સાથે ૬ વર્ષના વેપારમાં ૨૦ લાખ કરોડનું નુકસાન થયું છે. ચીન સાથે આપણો વેપાર હંમેશાં નેગેટિવ રહ્યો છે. ચીન પાસેથી ભારત સૌથી વધુ ઇલેક્ટ્રિકલ મશીનરી અને ઈક્વિપમેન્ટ ઉપરાંત, રમકડાં, સાબુ, વોશિંગ ડિટર્જન્ટ જેવી વસ્તુઓ પણ ખરીદે છે. આ બધી વસ્તુઓનું ભારતમાં પણ ઉત્પાદન થઇ શકે છે.
કોરોનાના કારણે વિશ્વનો ચીન પરથી ભરોસો ઉઠી ગયો છે ત્યારે ભારત વિશ્વબજારને અંકે કરી લેવાની દિશામાં પગલાં માંડે તે જ યોગ્ય છે. વડા પ્રધાને પણ મુખ્ય પ્રધાનો સાથેની વાતચીમાં આ અંગે ઇશારો કરતાં કહ્યું હતું કે રાજ્યો રિફોર્મની દિશામાં આગળ વધશે તો કોરોનાના કારણે ઉપજેલા સંકટને અવસરમાં બદલી શકાય એમ છે.
ચીનથી વિમુખ યુરોપિયન દેશો, યુએસ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા અનેક દેશો ચીનના વિકલ્પરૂપે ભારત ભણી નજર માંડી રહ્યાં છે. આ દેશો પાસે મેન્યુફેક્ચરિંગ માટે પૂરતી જગ્યા અને માનવ સંસાધનો નથી. ભારત આવા દેશોને જગ્યાથી માંડીને સ્કીલ્ડ લેબર અને તેનાથી પણ વિશેષ વિશાળ બજાર ઉપલબ્ધ કરાવી શકે છે. આમ થશે તો ભારત માટે કોરોના આફત ચોક્કસપણે અવસર બની રહેશે.


comments powered by Disqus