કૃષિસુધારા વિશે ઉહાપોહ વાજબી છે?

Tuesday 20th October 2020 15:03 EDT
 

નરેન્દ્ર મોદી સરકારે કૃષિક્ષેત્રને ચેતનવંતુ બનાવવા માટે રજૂ કરેલા બિલ પાર્લામેન્ટમાં પસાર થઈ ગયા પછી પણ હોબાળો શમી રહ્યો નથી. પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ખેડૂતોએ કોરોના મહામારીની પરવા કર્યા વિના આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
આ બિલ મુદ્દે શાસક ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી અકાલી દળે પણ એનડીએમાંથી છેડો ફાડી નાખ્યો છે. હવે તો કૃષિ સુધારા કાયદા ૨૦૨૦નો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને ચીફ જસ્ટિસ બોબડેએ કેન્દ્ર સરકારને આ બાબતે ચાર સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. દેશની હાઈ કોર્ટ્સમાં આ મુદ્દે કરાયેલી અરજીઓ અંગે પણ વિગતવાર જાણકારી માગી છે.
વડાપ્રધાન મોદી ખેડૂતોનું રક્ષાકવચ ગણાવે છે તે કૃષિબિલો ખેડૂતોને માર્કેટ સિવાય પણ કૃષિપેદાશો વેચવાની પરવાનગી આપે છે, આવશ્યક વસ્તુઓની યાદીમાં સુધારો કરીને અનાજ, દાળ, તેલ જેવા ઉત્પાદનોને ગમે તેટલી માત્રામાં ખરીદવાની અને સંગ્રહ કરવાની છૂટ આપે છે તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો રસ્તો ખોલે છે.
ખેડૂતોને ભય છે કે તેમને અત્યારે તેમની પેદાશના તળિયાના ટેકાના ભાવ મળે છે તે વ્યવસ્થા બંધ થઈ જશે. વડા પ્રધાને તો વારંવાર કહ્યું છે કે ટેકાના ભાવની અને સરકારી ખરીદીની વ્યવસ્થામાં કોઈ ફેરફાર થવાનો નથી. વાસ્તવિકતા એ છે કે સરકાર ખેડૂતોને તેમની ખેતપેદાશો માટે ટેકાના ભાવ જાહેર કરે છે પરંતુ, ૯૦ ટકા ખેડૂતો નાણાકીય મજબૂરીના લીધે જે ભાવ મળે તે લઈને બજારના વચેટિયાઓને વેચાણ કરી દેતા હોય છે. આમાં મલાઈ તો વચેટિયા જ ખાય છે. સરકારે વચેટિયાઓને દૂર કરવા જ ખેડૂતો જાતે જ પેદાશો વેચી શકે તેમ વિચાર્યું છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં મોટી કંપનીઓ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરી ચોક્કસ પાક લેવા કહે અને ઉપજનું મૂલ્ય પણ ત્યારે જ નિર્ધારિત થઈ જાય. ખેડૂતોને ખેતી માટે બીજ અને ટેકનિકલ સહાયતા જેવી આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ કોન્ટ્રાક્ટ દ્વારા મદદ મળે. પાક નિષ્ફળ જાય તો કંપની માટે વીમાકંપનીઓ દ્વારા વળતર પણ જોગવાઈ છે. જોકે, આ વ્યવસ્થામાં ખેતપેદાશોના ન્યૂનતમ સમર્થન મૂલ્યનું મહત્ત્વ ઘટી જવાનું કારણ આગળ ધરી ખેડૂત સંગઠનો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે વિરોધ કરી રહ્યા છે. તેમને ભય છે કે ખેડૂતો અને કંપનીઓ વચ્ચેના કોન્ટ્રાક્ટ્સમાં કંપનીઓ આર્થિક તાકાતના જોરે ખેડૂતો પર જોહુકમી કરી શકે છે. આ સામે સરકારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરવાની દલીલ પેશ કરી છે. જોકે, પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે શ્રીમંત ખેડૂતો, મોટા કોર્પોરેશનો અને એગ્રો પ્રોસેસર્સ તો લઘુતમ વેચાણ કિંમતે (MSP) પણ ગ્રેડેડ ઉત્પાદનોની માગણી કરશે. આ ઉત્પાદનો ન મળે તો તેઓ માલ ખરીદે જ નહિ અથવા ભાવ ઓછો આપે તેમ પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં નાનો ખેડૂત ક્યાં જશે? જોકે, દરેક કંપની અને મૂડીપતિનું રજિસ્ટ્રેશન રાજ્ય સરકારની દેખરેખ હેઠળ થવાનું છે તેમજ સરકાર તેમની કાર્યરીતિ પર પણ નજર રાખશે.
સરકાર સાચી રીતે માને છે કે સામાન્ય નાગરિકોની ખાદ્યસુરક્ષા અને ગરીબીરેખા નીચે રહેતા લોકોને યોગ્ય કિંમતે અનાજ ઉપલબ્ધ કરાવવું આવશ્યક છે. જોકે, વિપક્ષનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઈથી આ સુરક્ષા જ સમાપ્ત થઇ જશે અને ખાદ્યાન્નના ભાવ કૂદકે ને ભૂસકે વધશે. જોવાં જઈએ તો કૃષિબિલો શુદ્ધ ઈરાદાસરના છે પરંતુ, સમસ્યા તેના અમલ સાથે ઉભી થાય છે. ખેડૂતો પોતાના ખેતરેથી જ ઉત્પાદન-પાક વેચી શકે અને તેમને ખેતપેદાશોની વધારે સારી કિંમત મેળવવામાં સરળતા રહેશે તે સારી વાત છે પરંતુ, વચેટિયાઓના સ્થાને કોર્પોરેટ્સ અને વેપારીઓ નવેસરથી સામ્રાજ્ય ઉભું ના કરે તે જોવાનું રહેશે. ખુલ્લા બજારમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું સરકારની જવાબદારી છે. આથી જ, સરકારે ખેડૂતોની ચિંતા અને પ્રશ્નોનું નિવારણ કરવું જોઇએ. આપણા ખેતરોમાં જૂનીપુરાણી પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે પરંતુ, હવે ખેડૂતોને અદ્યતન ટેકનોલોજીની પણ મદદ મળશે. પાક વધુ લઈ શકાશે, નાણા વધુ મળશે તો ખેડૂતોને આત્મહત્યા પણ નહિ કરવી પડે અને વિપુલ ઉત્પાદનથી સરવાળે જગતના તાત અને દેશની જનતાને પણ લાભ થશે.


comments powered by Disqus