પાંડુરંગ શાસ્ત્રીજી (૧૯૨૦-૨૦૦૩)નો જન્મ ૧૯ ઓક્ટોબરના રોજ થયો હતો. કેટલાંક દિવસથી અખબારોમાં શાસ્ત્રીજીના ફોટા સાથે ‘મનુષ્ય ગૌરવદિન’ની જાહેરખબર જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ હોર્ડિંગ પણ જોવા મળે છે. એક જાહેરખબરમાં લખ્યું છે: “આત્મગૌરવ અને પરસન્માન મળીને થાય મનુષ્યગૌરવ. - પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી” એક તરફ, શાસ્ત્રીજી આત્મગૌરવ / પરસન્માન / મનુષ્યગૌરવની વાત કરે છે; તો બીજી તરફ મનુસ્મૃતિ અતિ સાયન્ટિફિક છે તેવું કહે છે! તેમનું પુસ્તક ‘સંસ્કૃતિ ચિંતન’ નિરાશ કરે છે; તેમાં શાસ્ત્રીજીએ શૂદ્રએ શૂદ્રનું કામ કરવું જોઈએ / હજામે હજામનું કામ કરવું જોઈએ; તેવું પણ કહ્યું છે! મનુસ્મૃતિના વિચારો હાલના સમયે અમલી બનાવવા એ તો નર્યું પછાતપણું જ કહેવાય; એટલું જ નહીં, તે મનુષ્યગૌરવની વિરુદ્ધના વિચારો કહેવાય. ડો. બાબાસાહેબ આંબેડકરજીએ એટલા માટે જ તો મનુસ્મૃતિકાળના વિચારોનો વિરોધ કર્યો હતો. એક તરફ, શાસ્ત્રીજી જન્મગત વર્ણવ્યવસ્થાનું સમર્થન કરે છે; તો બીજી તરફ મનુષ્યગૌરવની વાત કરે છે; આ તો Oxymoron - વિરોધાભાસ કહેવાય !
સહુ કોઇએ બે બાબતો નોંધવી પડે: એક તો, દર વર્ષે મનુષ્ય ગૌરવદિન ઊજવાય છે; અને તે સમયે પંકજ ત્રિવેદીની ક્રૂર હત્યા અચૂક યાદ આવે છે! પંકજ ત્રિવેદી, શાસ્ત્રીજીના પરમ ભક્ત હતા. શાસ્ત્રીજી તેમને ‘કેપ્ટન’ કહીને બોલાવતા. અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા સ્વાધ્યાયી પંકજ ત્રિવેદીએ અમદાવાદમાં આવીને સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીની રીતરસમો અને કથિત ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો હતો; જેથી તેમને મોતની ધમકી મળી હતી. ભાવનિર્ઝર મંદિર બંધ કરવામાં આવ્યું, યોગેશ્વર ભગવાનની મૂર્તિનો કોપીરાઇટ થયો, ૫૦થી વધારે ચેરિટી ટ્રસ્ટમાં પૈસાનો સંગ્રહ થયો; કચ્છ ભૂકંપના ડોનેશનમાં ભ્રષ્ટાચાર થયો; જૂના સ્વાધ્યાયીઓ ઉપર હિચકારા હુમલાઓ થવા લાગ્યા; આ બધું જોઇને પંકજ ત્રિવેદી ચૂપ રહી શક્યા નહીં. તેમણે સ્વાધ્યાય પરિવાર વિરુદ્ધ ફરિયાદો કરી. તેમનો અવાજ દબાવવા માટે દીદી-ભકતોએ જુલ્મો શરૂ કર્યા. ખોટી પોલીસ ફરિયાદો થઇ, ખોટા કોર્ટ કેસો પણ કર્યા. પંકજ ત્રિવેદી, હિતુ ગાંધી, મહેશ શાહ, વિનુ સચાણિયા, વિનોદ શાહ, શંકર ઠક્કર, સતિશ રૂઘાણી જેવા અનેક કાર્યકરો ઉપર જોર-જુલમ થયા. જોકે આ બધા છતાં દીદી-ભકતો પંકજ ત્રિવેદીનો અવાજ દબાવી શક્યા નહીં! ગુજરાત હાઈ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ દિવાને સ્વાધ્યાય ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું અને પંકજ ત્રિવેદીની બાજુમાં ઉભા રહ્યા. પંકજ ત્રિવેદીએ પોતાની સામેના બધાં જ કેસો ગુજરાત હાઇ કોર્ટમાં પડકાર્યા. ૯ માર્ચ, ૨૦૦૬ના રોજ ગુજરાત હાઇ કોર્ટે તેમની સામેની બધી જ ફરિયાદો કાઢી નાખી! સ્વાધ્યાય પરિવારને જબરદસ્ત તમાચો પડ્યો એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. સ્વાધ્યાયીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા, ત્યાં પણ તેમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો! તે તારીખ હતી ૧૧ મે ૨૦૦૬. કાવતરું રચાઇ ચૂક્યું હતું. ૧૫ જૂન ૨૦૦૬ના રોજ અમદાવાદના એલિસબ્રિજ જિમખાના નજીક દીદીના ભક્તોએ પંકજ ત્રિવેદીને; માથાના ભાગે બેઝ બોલનું બેટ મારી તેમની હત્યા કરી નાખી ! સવાલ એ છે કે શાસ્ત્રીજી અને પોતાના ઉત્તરાધિકારી તરીકે નીમેલા પુત્રી જયશ્રીદીદી; પોતાના ભક્તોમાં કોઈનો જીવ નહીં લેવાનો વિચાર કેમ રોપી શક્યા નહીં હોય? બીજા મુદ્દે એટલું જ કહેવાનું કે મનુસ્મૃતિ અને જન્મગત વર્ણવ્યવસ્થાના સમર્થન સાથે; મનુષ્ય ગૌરવનો દાવો કરવો કેટલે અંશે ઉચિત છે? (મોકલનારઃ વિનુ સચાનિયા, લંડન)