કોઈ પણ વ્યક્તિ હોય તેમને આદરમાનસૂચક ઉલ્લેખ ઘણો ગમે છે. સામાન્યપણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ‘સાહેબ’ શબ્દ પ્રચલિત છે. જેમ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કે સેવા બદલ પદ્મશ્રી, પદ્મભૂષણ સહિતના ઈલકાબો સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે તે જ રીતે યુકેમાં બ્રિટિશ એમ્પાયરના નામે વિવિધ પ્રકારના ઈલકાબોની જાહેરાત કરવામાં આવે છે,
જેમાં CBE, OBE, MBE મુખ્ય એવોર્ડ્સ ગણાય છે.
યુકેમાં આમ તો એંગ્લો-સેક્સોન રાજાઓ પોતાના વફાદાર સૈનિકોને કે પદાધિકારીઓને ઈનામ- અકરામોની લહાણી કરતા રહેતા હતા પરંતુ, નોર્મન રાજા એડવર્ડ ત્રીજા દ્વારા ૧૩૪૮માં સત્તાવાર નાઈટહૂડની શરુઆત કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં લોકોના યોગદાનને સન્માનિત કરવાની આ પદ્ધતિ આજ સુધી ચાલતી આવી છે. મહારાણીના જન્મદિન નિમિત્તે તેમજ નવા વર્ષના આરંભ એમ વર્ષમાં બે વખત અંદાજે ૧૩૦૦થી વધુ લોકોને વિવિધ ઈલકાબો જાહેર કરવાની પ્રથા છે.
બ્રિટિશ શાસનકાળમાં સામાજિક વર્ચસ ધરાવતા કે અંગ્રેજો પ્રતિ વફાદારીનું વલણ ધરાવતા લોકોને ‘રાયબહાદુર’ જેવા ઈલકાબ છૂટા હાથથી અપાતા હતા. સ્વતંત્ર ભારતમાં સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જતા ખિતાબો કે ઈલકાબોની પ્રથા બંધ કરવામાં આવી હતી પરંતુ, ૧૯૫૪થી પદ્મ એવોર્ડ્સ આપવાની શરુઆત થઈ હતી. ભારતમાં સર્વોચ્ચ નાગરિક ઈલકાબ ‘ભારત રત્ન’ ગણાય છે. ભારતમાં પણ મોટા ભાગના ઈલકાબો રાજકીય હોવાં છતાં સામાજિક સેવા, શિક્ષણ, વિજ્ઞાન સહિતના ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાનની નોંધ અવશ્ય લેવાય છે. હકીકત એ છે કે વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈએ ૧૯૭૭થી ૧૯૮૦ દરમિયાન પદ્મ અને ભારત રત્ન એવોર્ડ આપવાની પ્રથા બંધ કરાવી હતી. આ પછી, ૧૯૯૨થી ૯૮ના ગાળામાં પણ એવોર્ડ્ઝ આપવાના બંધ કરાયા હતા. હવે જે એવોર્ડ્ઝ અપાય છે તેમાં પારદર્શિતા લાવી દેવાઈ છે. ભારતનો કોઈ પણ નાગરિક યોગ્ય વ્યક્તિને એવોર્ડ આપવાનું નોમિનેશન કરી શકે છે
જેના આધારે એવોર્ડ સમિતિ દ્વારા નિર્ણય લેવાય છે.
બ્રિટિશ એમ્પાયરનો તો અસ્ત થઈ ગયો છે પરંતુ, હજુ સામ્રાજ્યના નામે ઈલકાબો અપાય છે અને લોકો તેને મેળવીને અને પોતાના નામ પાછળ લગાવી સ્વાભાવિક ધન્યતા અનુભવે છે. ભારત અને યુકેમાં એવોર્ડ્સ બાબતે એક મોટી ભિન્નતા છે કે યુકેમાં ઈલકાબનો ઉલ્લેખ નામ પાછળ કરી શકાય છે પરંતુ, ભારતમાં આવું વિશેષણ લગાવવું ગેરકાયદે છે.
યુકેમાં પણ લોકો એવોર્ડ માટે યોગ્ય વ્યક્તિને નોમિનેટ કરી શકે છે પરંતુ, કયા એવોર્ડ માટે નોમિનેશન કરવું તે તેમના હાથમાં નથી. તેનો નિર્ણય ઓનર્સ કમિટી હસ્તક છે. એવોર્ડ્સ મળવા કે નહિ મળવા બાબતે પણ કચવાટ થતો રહે છે.
એક મોટો ખિતાબ લોર્ડનો છે. દરેક સરકારમાં વિદાય થતા વડા પ્રધાન કેટલાક લોકોને લોર્ડ્સના ગૃહમાં સ્થાન અપાવી શકે તેવી પણ એક પ્રથા છે. આપણામાં કહેવાય છે કે ‘ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ભણી નાખે’. આ હિસાબે શાસક પક્ષને મસમોટાં દાન આપનારા લોકોની લોર્ડ બનવાની શક્યતા વધી જાય છે. વિવિધ રાજકીય પક્ષો પણ આમાં ક્વોટા ધરાવે છે. આમ યુકે પાર્લામેન્ટમાં સભ્યો ઘટાડવાના અભિયાન પર પાણી ફરતું જાય છે અને લોર્ડ્સની સંખ્યા વધતી જાય છે.
રાષ્ટ્ર કે કોમ્યુનિટીની સેવા કરવી તે આપણી ફરજ છે કારણકે આપણે તેમની પાસેથી ઘણું પ્રાપ્ત કરીએ છીએ. સેવા એ તેમનું ઋણ ચુકવવાનો અવસર છે. ઈલકાબ કે ખિતાબની પ્રતિષ્ઠા હોય છે પરંતુ, લોકોના દિલમાં વસવા સિવાય બીજો મોટો ઈલકાબ કોઈ જ નથી.