હાસ્યાસ્પદ ઠરેલા ફારુક અબ્દુલ્લા

Tuesday 20th October 2020 15:03 EDT
 

રાજકારણ એવું ક્ષેત્ર છે જ્યાં દોસ્ત અને દુશ્મન કાયમી હોતા નથી. સમય અને આવશ્યકતા અનુસાર બદલાતા રહે છે. કાશ્મીરમાં પૂર્વ મુખ્ય પ્રધાનો નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપીે)ના મહેબૂબા મુફ્તીએ ‘સમય વર્તે સાવધાન’ની સમજ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે અને સ્વાભાવિક રીતે જ તેમની દુશ્મની ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફ જ છે.
બે દાયકા કરતાં વધુ સમય સુધી પ્રતિસ્પર્ધી રહેલા નેશનલ કોન્ફરન્સ અને પીડીપી કાશ્મીરને બાપિકી મિલકત સમજે છે અને કાશ્મીરના નસીબ માટે એકબીજાને જવાબદાર ઠરાવતા આવ્યા છે. આજે હવે તેમને સમજાયું છે કે બંને પાર્ટીનું રાજકીય અસ્તિત્વ જ ભયમાં આવી પડ્યું છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય હતું ત્યારે ૬૦ ટકા મુસ્લિમ વસ્તીને બહેકાવવામાં તેઓ સફળ રહેતા હતા. બીજી તરફ, જમ્મુ અને લડાખની વસ્તીમાં હિન્દુ અને બૌદ્ધધર્મીઓ બહુમતીમાં છે.
મુખ્ય પ્રવાહની મોટા ભાગની કાશ્મીરી પાર્ટીઓ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના સામનામાં દેશની સાથે રહી છે પરંતુ, તેમની મુખ્ય માગણી ભારતમાં જ રહીને સ્વાયતતા હાંસલ કરવાની છે. આર્ટિકલ ૩૭૦ નાબૂદ થવાથી તેમની આ રાજકીય મહેચ્છા પર પાણી ફરી વળ્યું છે. હવે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી માને છે કે તેઓ એકજૂટ થઈને આર્ટિકલ ૩૭૦ને ફરી સામેલ કરવા નવી દિલ્હી સાથે નવેસરથી વાટાઘાટો કરી શકશે. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો તેના એક દિવસ અગાઉ જ ફારુક અબ્દુલ્લાના ગુપકાર રોડસ્થિત નિવાસે નેશનલ કોન્ફરન્સ, પીડીપી, કોંગ્રેસ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ અને અવામી નેશનલ કોન્ફરન્સ આઠ પક્ષોએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો અપાવવા માટે એકજૂટ રહેવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ સમજૂતીને ધ્યાનમાં રાખીને જ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ગઠબંધનને પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન નામ અપાયું છે.
મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા પછી પુત્ર સાથે જેલવાસ ભોગવી ચૂકેલા અને અત્યાર સુધી મૌન જાળવીને બેઠેલા ફારુક અબ્દુલ્લાનો કાશ્મીરપ્રેમ અચાનક ઉભરાઈ ગયો છે. તેમણે નિવેદન ફટકારી દીધું છે કે અમારી જેમ ચીન પણ ૩૭૦મી કલમ હટાવવાની તરફેણમાં ન હતું. હવે અમે ચીનની મદદથી કાશ્મીરમાં ૩૭૦ની કલમ ફરી લાગુ કરાવીશું. આને આપણે રાષ્ટ્રદ્રોહ ન કહીએ તો બીજું શું કહી શકીએ? ભાજપ દ્વારા ટીકાના પગલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજવી કરણસિંહે પણ તેમના જુના મિત્ર ફારુક અબ્દુલ્લાના નિવેદનની કડક ટીકા કરી છે. જોકે, સાચા રાજકારણીની માફક ફારુકે આવું નિવેદન કર્યું જ નથી તેવું બીજું નિવેદન પણ આવી ગયું છે.

જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં નાણાકીય ઉચાપત મામલે પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાની પૂછપરછ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) દ્વારા હાથ ધરવામાં આવી છે. ઘણા લોકોને આમાં કેન્દ્ર સરકારની બદલાની ભાવના પણ દેખાવા લાગશે પરંતુ, આની યોગ્યતા વિચારીએ કે નહિ, કોઈ પણ પક્ષની સરકાર હોય વિરોધીઓને નાથવા માટે સામ, દામ, દંડ અને ભેદની રાજનીતિ અપનાવે જ છે.
દુશ્મન દેશની સીધી તરફેણ કરવા બદલ હાસ્યાસ્પદ ઠરેલા ફારુક અબ્દુલ્લાને મૂર્ખ કહેવાનું અજૂગતું લાગે કારણ કે તેઓ કેન્દ્રીય પ્રધાનપદ ઉપરાંત, ત્રણ વખત મુખ્ય પ્રધાનનો ગરિમાપૂર્ણ હોદ્દો સંભાળી ચૂક્યા છે. એટલું ચોક્કસ કહેવાય કે વર્ષો સુધી સત્તામાં ન રહેવાથી તેઓ ઘાંઘા થઈ ગયા છે. આ તેમનો સત્તાપ્રેમ બોલી રહ્યો છે. જોકે, હવે તેમણે વિચારી લેવું જોઈએ કે એક વર્ષમાં ગંગા-જમુનામાં ઘણું પાણી વહી ગયું છે. આર્ટિકલ ૩૭૦ ફરીથી કાર્યાન્વિત કરવાની આપસી સમજૂતી કરી લેવાથી વહી ગયેલાં પાણી પાછા ફરશે ખરાં? ખરેખર તો પક્ષોએ વાહિયાત માગણીઓ છોડી કાશ્મીરમાં ફરી લોકશાહી રીતે ચૂંટણી લડવાની જરૂર છે.


comments powered by Disqus