નવું મહાભારતઃ વિશ્વ અને ચીન સામસામે

Tuesday 21st April 2020 10:29 EDT
 

દુનિયાના મોટા ભાગના દેશોના ૨૩ લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૧.૬૬ લાખથી વધુના મોત થયા છે. મહાસત્તા અમેરિકામાં પણ કોરોના પ્રકોપ વિનાશ વેરી રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા ૭.૪૦ લાખથી વધુ અને મૃતકોનો આંક ૪૦ હજાર નજીક છે. એક સમયે યુરોપના ઈટાલી - સ્પેનમાં કોરોનાએ સૌથી વધુ શિકાર કર્યા હતા પરંતુ, હવે આ બે દેશના મૃતકોના સરવાળા કરતાં થોડી ઓછી સંખ્યા અમેરિકામાં છે. નવાઈ એ છે કે ચીનના વુહાનમાંથી કોરોનાના સંક્રમણનો ઉદ્ભવ થયો તે પછી સમગ્ર વિશ્વમાં ફેલાઈ જવા છતાં ચીનના મર્યાદિત વિસ્તારોમાં જ કોરોનાનો પ્રસાર જોવા મળ્યો છે. આના કારણે ચાઈના કોન્સ્પિરસી થિયરીને બળ મળ્યું છે. ટ્રમ્પે કોરોના મુદ્દે ચીનના ઈરાદા સામે સવાલો કર્યા છે તો યુએન સિક્યુરિટી કાઉન્સિલના બે કાયમી સભ્ય બ્રિટન અને ફ્રાન્સે પણ ચીન સામે સવાલો કર્યા છે.
ચીનના ષડયંત્ર વિશે વાત કરીએ તો વિશ્વના મોટા ભાગના દેશોમાં અર્થતંત્રોની પડતી થઈ છે અને કંપનીઓના શેરો પણ ગબડી રહ્યા છે ત્યારે ચીન દ્વારા ભારે રોકાણો થકી વિદેશી કંપનીઓ પર વર્ચસ જમાવવાની કામગીરી ચાલી રહી છે. આ ધ્યાને આવતા ફ્રાન્સ, ઈટાલીએ ચીનના રોકાણોને અટકાવી દીધા છે. ભારતમાં પણ ચીની ડ્રેગન દ્વારા. એચડીએફસી બેન્કના શેરોની મોટા પાયે ખરીદી પછી સરકારે વિદેશી રોકાણ માટે સરકારની મંજૂરીને આવશ્યક બનાવી છે. જાપાને તો ચીનમાં રહેલી પોતાની કંપનીઓ ચીન છોડે એ માટે પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરી છે.
કોરોના કેવી રીતે આટલો ફેલાયો અને ક્યાંથી લીક થયો તે બાબતે વિવિધ દાવાઓ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તો ચીન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ મળીને વિશ્વમાં આ તબાહી સર્જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાના આક્ષેપો કર્યા છે. ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે, જો કોરોના વાઇરસને જાણી જોઈને ફેલાવવા માટે ચીન જવાબદાર ઠરશે તો તેણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે. વુહાનની લેબોરેટરીમાં સંશોધન દરમિયાન એક યુવતીને ચેપ લાગ્યો અને તેના થકી અન્ય લોકોમાં ફેલાવા લાગ્યો હોવાનું પણ એક રિપોર્ટમાં જણાવાયું છે.
અમેરિકાનો દાવો છે કે ચીનમાં લેબોરેટરી અને મહામારી ફેલાવાની જાણકારી વિશ્વથી છૂપાવાઇ છે. અમેરિકી કાયદા અનુસાર વાઇરસ અંગે માહિતી છુપાવીને મોટી જાનહાનિ સર્જવી આતંકવાદ સમાન છે. આ સંદર્ભે અમેરિકી સંસદમાં બે પ્રસ્તાવ રજુ કરાયા છે જે પસાર થયા પછી અમેરિકી નાગરિક પણ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચીન સામે નુકસાનનો દાવો માંડી શકશે.
વિશ્વ પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા એસોસિએટેડ પ્રેસનો પણ દાવો છે કે ચીને કોરોનાની જાણ છતાં પગલાં લેવામાં બેદરકારી દાખવી હતી. ચીનના નેશનલ હેલ્થ કમિશનના આંતરિક દસ્તાવેજો દર્શાવે છે કે વાઇરસના જોખમની સંભાવનાને અધિકારીઓએ હળવાશથી લીધી હતી. વુહાનમાં કોરોનાથી મહામારીની ગંભીરતા જાણવા છતાં ચીને આંખ આડા કાન કર્યા હતા અને બીમારી વૈશ્વિક મહામારીમાં ફેરવાઈ ગઈ હતી. આજે કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વ લોકડાઉન છે અને હજારો લોકોનાં મોત નીપજ્યાં છે ત્યારે ચીને આ મહામારી પર નિયંત્રણ મેળવી લીધું છે ને તેનું અર્થતંત્ર પાટા પર આવી રહ્યું છે.
કોરોના ચીને ફેલાવેલું જૈવિક હથિયાર છે, કોઈ ચાલબાજી છે, વૈશ્વિક અર્થતંત્ર પર કાબુ કરવાનો આતંક છે જેવા સવાલો સ્વાભાવિક છે. વર્તમાનમાં ચીન પ્રત્યે અવિશ્વાસનો માહોલ સર્જાયો છે ત્યારે કોરોના પછીના વિશ્વમાં એક બાજુ ચીન અને બીજા પક્ષે સમગ્ર વિશ્વ હોય તેવું નવું મહાભારત છેડાય તો નવાઈ લાગશે નહિ.


comments powered by Disqus