ભારતમાં ૨૫ માર્ચથી લાગુ લોકડાઉનના ૨૫ દિવસ પછી મર્યાદિત ધોરણે ૩૫૪ કોરોનામુક્ત જિલ્લામાં સોમવારથી આર્થિક ગતિવિધિઓ શરૂ થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ત્રીજી મે સુધી બીજું લોકડાઉન જાહેર કર્યું ત્યારે ૨૦ એપ્રિલથી સલામત સ્થળોએ લોકડાઉન હળવું કરવા શરતી છૂટછાટ આપવા જાહેરાત કરી હતી તે મુજબ ગ્રીન ઝોન્સમાં આર્થિક પ્રવૃત્તિ અને સરકારી તથા ખાનગી ઓફિસો ચાલુ થઈ છે.
જોકે, ગ્રીન ઝોન્સમાં અપાયેલી છૂટછાટમાં પણ મોટી મુશ્કેલી એ છે કોરોનાના લક્ષણો વિનાના કેસ બહાર આવી રહ્યા છે ત્યારે સામૂહિક પરીક્ષણો વિના કોને સંક્રમણ છે તે જાણી શકાય તેમ નથી. પરિણામે, દિલ્હી અને પંજાબ સરકારે આર્થિક પ્રવૃત્તિ માટે લોકડાઉન હળવું કરવાનું નકાર્યું છે. કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોમાં મોટી સંખ્યામાં લક્ષણ વિનાના દર્દીઓ જણાયા છે તેને કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો સંકેત ગણી શકાય.
આ શરતી છૂટછાટો સરકારી અને ખાનગી ઓફિસો, કૃષિ, બાંધકામ, શિક્ષણ, ફાઈનાન્સિયલ અને ઈન્સ્યુરન્સ સહિતના ક્ષેત્રોને અપાઈ છે. આ સાથે ભારતમાં ૬૦ ટકા અર્થવ્યસ્થા કાર્યરત થશે. જોકે, ૨૨ ટકા સેવા અગાઉથી જ કાર્યરત છે.
જ્યાં કોરોના ફેલાયો નથી કે ૧૪ દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી તેવા ૩૫૪ જિલ્લામાં ૨૦ એપ્રિલથી કરિયાણા-શાકભાજી-ફળોની દુકાનો ખૂલી છે. આ સાથે સરકારે ઈ-કોમર્સ કંપનીઓને આવશ્યક ચીજવસ્તુની ડિલિવરી માટે છૂટ આપી છે.
ગ્રામ્ય અર્થતંત્રને બળ આપવા તેમજ દેશભરમાં અનાજનો પૂરવઠો જળવાય, તેની હેરફેર કરી શકાય તે માટે આ છૂટછાટ આવશ્યક હતી. દેશમાં વૈશાખી પછી પાકની લણણી ન કરાય તો બમ્પર પાક છતાં અનાજના પૂરવઠાને ગંભીર નુકસાનની શક્યતા હતી. આ જ બાબત દવાઓના ઉત્પાદન અને તેના પૂરવઠાને લાગુ પડે છે. સરકારે તમામ ચીજવસ્તુનો પુરવઠો જળવાય અને ઉત્પાદન વધે તે માટે હવાઇ, રેલવે, માર્ગ અને સમુદ્રી માર્ગે કાર્ગો પરિવહન, મેન્યુફેક્ચરિંગ, હોલસેલ, રિટેલ, દુકાનો, ટ્રક્સ મારફત હેરફેર તેમજ હાઇવે પર ઢાબા અને ટ્રક રિપેરિંગના ગેરેજ ખોલવાની પણ છૂટ આપી છે. બાંધકામ ક્ષેત્ર તેમજ ઔદ્યોગિક એકમોને છૂટછાટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઉપરાંત, શ્રમિકોના ભોજન અને રહેઠાણ તેમજ કોરોના સંબંધિત તપાસ કરાવવા પર પણ ભાર મૂકાયો છે.
ખાસ મહત્ત્વની વાત એ રહી છે કે પરપ્રાંતી અથવા તો માઈગ્રન્ટ વર્કર્સ અને મજૂરો શહેરોમાં ગ્રીન ઝોન્સમાં આવેલા સ્થળોએ કામકાજ માટે જઈ શકશે. આમ છતાં, એક રાજ્યમાંથી અન્ય રાજ્ય કે મૂળ વતનમાં જઈ શકશે નહિ. આ માટે રાજ્યોની સરહદો બંધ જ રહેશે. ગુજરાતના સૂરત કે અમદાવાદ તેમજ મહારાષ્ટ્રના મુંબઈ સહિતના સ્થળોએ પરપ્રાંતી શ્રમિકોએ ભારે ભીડ જમાવી પોતાના વતનમાં જવાનો દુરાગ્રહ સેવ્યો હતો. જો આવું ચાલશે તો કોરોનાના પ્રસારને વેગ મળવામાં જરા પણ વાર લાગશે નહિ તે આ શ્રમિકોને સમજાવવું આવશ્યક છે.
કેટલીક હદ સુધી તો લોકડાઉન યથાવત્ છે. પેસેન્જર ટ્રેન સેવા, વિમાન, માર્ગો પર સામાન્ય વાહનોની અવરજવર, શાળાઓ, કોલેજો અને કોચિંગ સેન્ટર્સ, હોટેલ્સ-રેસ્ટોરાં, થિયેટર, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સીસ, સ્પોર્ટ્સ, ધાર્મિક-સામાજિક કે રાજકીય મેળાવડા સહિતના ક્ષેત્રોમાં કોઈ છૂટછાટ અપાઈ નથી. આનું મુખ્ય કારણ એ છે કે ઘણા સ્થળોએ હજુ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થતું નથી. જો છૂટછાટ અપાય તો કોરોના પ્રસારને વેગ મળી શકે છે. રાજ્યો વધુ છૂટછાટ આપી શકે તેમ નથી પરંતુ, જરુર જણાય ત્યાં લોકડાઉન વધુ સખત બનાવવા જે સૂચના અપાઈ છે તે ખરેખર વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી પગલાં લેવાની જ બાબત છે.