માહિતી પ્રસારના પ્રચંડ પ્રચાર લોકપ્રિયતાને કારણે સમગ્ર વિશ્વ સાંકડું બની ગયું છે. ગણતરીની સેકન્ડોમાં કોઈ પણ માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઈન્ટરનેટની દેણ છે. વિશ્વ સાંકડું બનવા છતાં કોઈની સાથે રુબરુ મુલાકાત કે વાતચીતની શક્યતાઓ ઘટવા લાગી છે ત્યારે સંપર્કો જાળવી રાખવા ઈન્ટરનેટના વ્યાપની સાથોસાથ સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ વધ્યો છે. આવો સંપર્ક ન જળવાય ત્યારે જીવનમાં ખાલીપો આવી ગયાનું પણ લોકો અનુભવે છે. ઇન્ટરનેટ વગર આજે જીવનની કલ્પના કરવી જ શક્ય નથી. આમ છતાં, લોકશાહીમાં ઈન્ટરનેટનો ઉપયોગ મૂળભૂત અધિકાર ગણી શકાય તેવી કોઈ કલ્પના પણ ન હતી, જેને ભારતની સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાએ વાસ્તવિકતામાં ફેરવી નાખી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ વી.એન. રામન્ના, બી.આર. ગવાઇ અને આર સુભાષ રેડ્ડીની બેન્ચે જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધો વિરુદ્ધ યાચિકાઓ સંદર્ભે બંધારણના અનુચ્છેદ ૧૯ અંતર્ગત ઇન્ટરનેટ વપરાશનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જ ભાગ હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી કહ્યું છે કે ઇન્ટરનેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવું એ સત્તાનો દુરુપયોગ છે. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૪ની પણ ટીકા કરતા કહ્યું છે કે તેનો ઉપયોગ મતભેદોને દબાવવા માટે ન થઇ શકે. સુપ્રીમ કોર્ટે ભારતમાં નાગરિક અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સંદર્ભે ઇન્ટરનેટની સુવિધાને મૌલિક અધિકાર ગણાવ્યો છે. જોકે, આના પરિણામે જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા ચાલુ થઈ જશે તેવી માન્યતા ખોટી છે. સુપ્રીમ કોર્ટે માત્ર ઈન્ટરનેટ સહિતના તમામ નિયંત્રણોની સમીક્ષા કરવા જણાવ્યું છે, નક્કર આદેશ આપ્યો નથી તે પણ હકીકત છે. આ માટે આગામી સુનાવણીમાં શું નિર્ણય આવે તેના પર નજર રાખવી જ યોગ્ય ગણાય.
એ પણ હકીકત છે કે કોઇ સાંપ્રદાયિક કે રાજકીય તણાવની પરિસ્થિતિમાં ઇન્ટરનેટની મેસેજિંગ એપ્સ અથવા સોશિયલ મીડિયા મારફતે ફેક ન્યૂઝ અને અફવાઓ ઘણી ઝડપથી પ્રસરે છે. હિંસાત્મક ગતિવિધિઓ અટકાવવા સરકારને (ભારતમાં અને અન્ય દેશોમાં) નાછૂટકે ઇન્ટરનેટ બંધ કરાવવાની ફરજ પડે છે. જ્મ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ કલમ ૩૭૦ હટાવ્યા પછી આતંકવાદ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા સામે પડકારોને પહોંચી વળવું સરકાર માટે આવશ્યક હતું. આથી, સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગુ કરી દીધો. સુપ્રીમ કોર્ટે ઈન્ટરનેટ સેવા બંધ કરવા જેવા નિર્ણયો અસામાન્ય સંજોગોમાં અને મર્યાદિત સમયગાળા માટે યોગ્ય ગણાવવા સાથે ન્યાયિક સમીક્ષાને પણ યોગ્ય ઠરાવી છે.
સામાન્ય પરિસ્થિતિમાં ઇન્ટરનેટ ચાલતું જ રહે છે પરંતુ, સરકારને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા હોય ત્યારે ઇન્ટરનેટ બંધ કરી દેવાય છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરાઈ, રામવિવાદ પરનો ચુકાદો તેમજ નાગરિકતા કાયદા સંશોધનના મુદ્દે હિંસાત્મક પ્રદર્શનો કે વિરોધ અટકાવવા સરકાર દ્વારા ઈન્ટરનેટ બંધ કરાયાના ઉદાહરણો છે. ઇન્ટરનેટ સૌથી વધુ બંધ કરાયું છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનિક રિલેશન્સના આંકડા મુજબ ૨૦૧૨થી જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ભારતમાં ૩૬૭ વખત અને જમ્મુ કાશ્મીરમાં સૌથી વધુ ૧૮૦ વખત નેટબંધી ફરમાવાઈ છે.
વર્તમાન ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ સમાજની મૌલિક સંરચનાનો ભાગ છે. રાષ્ટ્રીય સુરક્ષા અથવા આતંકવાદ સામે લડવા જરૂરી હોવાની દલીલ સાથે ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર સેન્સરશિપને યોગ્ય ઠરાવાય છે. જોકે, માત્ર સુરક્ષાના નામે કોઈ પ્રદેશના આર્થિક અને સામાજિક જીવનને પંગુ બનાવી ન શકાય.