જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ અધિકારી દેવિન્દર સિંહને આતંકવાદીઓ સાથે મળી ગયાના આરોપસર ઝડપી લેવાયા છે. રક્ષક જ ભક્ષક બને તો શું થઈ શકે તેનો પુરાવો ડીસીપી દેવિન્દર સિંહ છે. આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ નાવીદ બાબૂ અને બે આતંકવાદી સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. દેખીતી રીતે આ આતંકવાદીઓ પાકિસ્તાનની ભારતદ્વેષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. દેવિન્દર સામે નાણાના બદલામાં આતંકવાદીઓને દેશમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત, દીલ્હી, ચંદીગઢ અને પંજાબના વિસ્તારોમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપવાનો આરોપ છે. ગુપ્તચર સૂત્રો અનુસાર આતંકવાદીઓ ચંદીગઢ અને અન્ય શહેરોમાં ગણતંત્ર દિવસ પર હુમલો કરવાની યોજના ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. દેવિન્દર ડ્રગ માફિયાઓના સંપર્કમાં હોવાનું પણ કહેવાયું છે.
પાપ તો આખરે છાપરે ચડીને પોકારતું જ હોય છે. પકડાઈ ગયેલા દેવિન્દરે ગુનો પણ કબૂલી લેવા સાથે કહ્યું છે કે તેણે આતંકીઓની સાથે મળીને બહુ મોટી ભૂલ કરી છે. જોકે, ચોરી પર સીનાજોરી કરતા તેણે પોતાની કામગીરીને ગુપ્ત ઓપરેશન સાથે સરખાવી છે. જોકે, દેશના રક્ષણ માટે ગુપ્ત કામગીરીમાં જોડાયેલા લોકો આવી છડેચોક જાહેરાત કરતા નથી. આમ છતાં, દેવિન્દરના એક ખુલાસા તરફ ધ્યાન આપવું જ રહ્યું કે પોલીસ વિભાગના અન્ય એક મોટા અધિકારી પણ આતંકીઓ માટે કામ કરી રહ્યા છે.
જે પુલવામા હુમલામાં ૪૦થી વધુ જવાનોએ જીવ ગૂમાવ્યો હતો ત્યાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ મોટા પ્રમાણમાં સક્રિય હોય છે અને દેવિન્દર પણ અહીંનો જ નિવાસી હતો. કહેવાય છે કે દેવિન્દરની કેરિયર શરૂઆતથી જ વિવાદાસ્પદ હતી અને ઘણી વખત તેનું નામ ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉછળેલું છે પરંતુ, આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતો હોવાથી તેની સામે કોઈ જ તપાસ થઈ ન હતી. તેને ૨૦૧૮માં આતંકવાદીઓ સામેની કાર્યવાહી કરવા બદલ શેર-એ-કાશ્મીર ગેલેન્ટ્રી એવોર્ડથી સન્માનિત પણ કરાયો હતો. તેની પાસેથી આ વીરતા પુરસ્કાર પણ ખૂંચવી લેવો જોઈએ તેમજ તેની સાથે પણ એક આતંકવાદી સમાન જ વ્યવહાર થવો જોઈએ એવી માંગણી જોર પકડી રહી છે.
ભારતીય સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુએ ટ્રાયલ કોર્ટમાં તેણે DSP દેવિન્દર સિંહના પરિવારને ખતમ કરવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આના કારણે દેવિન્દર આતંકી નિર્દેશો હેઠળ કામ કરતો થયાનું પણ જણાવ્યું હતું. અહીંથી જ પોલીસ અધિકારી શંકાના ઘેરામાં આવી ગયો હતો. દેવિન્દરના ઘર પર દરોડામાં પોલીસને લાખો રુપિયા ઉપરાંત, ગ્રેનેડ્સ અને AK-47 રાઈફલ્સ સહિત મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યાં તે પણ સૂચક છે. ઘરની તપાસ દરમિયાન એજન્સીઓને ભારતીય લશ્કરની ૧૫મી કોરના લોક્શનનો આખો નકશો મળ્યો છે. આથી, દેવિન્દરે સેનાની સંવેદનશીલ જાણકારી આતંકીઓ અને પાકિસ્તાન સુધી પહોંચાડી હોવાની પણ આશંકા છે.
ખોટું તો નથી જ કહેવાતું કે ‘ઘર કો આગ લગી, ઘર કે હી ચિરાગ સે’, આતંકવાદીઓને મદદ કરવાના ગુનાસર ઝડપાયેલા કાશ્મીરના DSP દેવિન્દર સિંહ માટે પણ આમ જ કહી શકાય. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા પછી ભારતની સુરક્ષાના સંબંધે મોટી રમત રમાઇ રહી હોવાનું જણાય છે. દેવિન્દરે પૂછપરછમાં ઉલ્લેખ કર્યો છે તેમ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આતંકીઓના સંપર્કમાં હોઇ શકે છે. આની તપાસ ગંભીરપણે હાથ ધરવાની આવશ્યકતા છે.