પંજાબી લોકોના માનસિક આરોગ્યમાં મદદરુપ ‘ચાય ઈન ધ સિટી’ ફોરમ

Wednesday 22nd January 2020 05:43 EST
 
 

લંડનઃ માનસિક આરોગ્ય માટે મદદ જરૂરી હોવાનું કોઈના મા્ટે પણ મુશ્કેલ હોય પરંતુ, ઘણી કોમ્યુનિટીમાં અન્યોની સરખામણીએ મદદ મેળવવી વધુ મુશ્કેલ રહે છે. પંજાબી પુરુષો પોતાનું માનસિક આરોગ્ય તેમને કેવી રીતે અસર કરી રહ્યું છે તે ખુલીને બોલી શકે તે માટે તારાકી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

આ ગ્રૂપ દ્વારા દર મહિને ‘ચાય ઈન ધ સિટી’ ફોરમની બેઠક બોલાવાય છે, જેમાં હાજર લોકો પોતાની વાત ખુલીને કરી શકે, શીખીને નવી કોમ્યુનિટી બનાવી શકે છે. ગ્રાન્ડ સેન્ટ્રલમાં જ્હોન લેવિસ કોમ્યુનિટી હબમાં સેવાભાવીઓ દ્વારા ચલાવાતી બેઠકમાં કોઈ પણ હાજરી આપી શકે છે.

ઓલ્ડબરીના સેવાભાવી અમરદીપ સિંહ સેન્ડવેલ અને બર્મિંગહામ હોસ્પિટલોમાં કામ કરવાની સાથોસાથ આ ઈવેન્ટની આગેવાની સંભાળે છે. તેમણે પુરુષોને પોતાના સંઘર્ષ વિશે વાત કરવા કેવી રીતે નિરુત્સાહી કરાય છે તેની વાત BirminghamLiveને કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘આજે યુવાનોમાં મૃત્યુનું સૌથી મોટું કારણ આપઘાત છે. ઘણી કોમ્યુનિટીઓમાં પુરુષોને તેમની માનસિક બીમારીઓને સ્વીકારવા નિરુત્સાહી કરાય છે. નકાર, સામાજિક બહિષ્કાર અને માનસિક આરોગ્યની સમસ્સ્યાઓ સાથે કામ પાર પાડવાની જાગૃતિનો અભાવ, આ બધું મળીને સમસ્યા મોટી બને છે. હું પંજાબી પુરુષોમાં વાર્તાલાપને પ્રોત્સાહન આપી પંજાબી કોમ્યુનિટીમાં માનસિક આરોગ્ય પ્રત્યે વલણમાં પરિવર્તન લાવવામાં મદદ કરવાની ઈચ્છાથી તારાકી સાથે સંકળાયો છું. અમે અત્યાર સુધી ‘ચાય ઈન ધ સિટી’ ફોરમના પાંચ કાર્યક્રમ યોજ્યા છે. પોઝિટીવ ફીડબેક મળવાથી અમે ઉપસ્થિતોની વિનંતીથી વિવિધ મહત્ત્વના વિષયો પર ખુલ્લી ચર્ચાનું ફોરમ યોજતા રહીશું.’ આ કોમ્યુનિટીને સારો પ્રતિભાવ મળવાથી મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ તેમજ નોન-બાયનરી કોમ્યુનિટીઓ માટે વધુ ઈવેન્ટ્સ ગોઠવવાની વાત ચાલી રહી છે.

મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સાઉથ એશિયન મહિલાઓ આપઘાત અથવા આપઘાતના પ્રયાસ માટે જોખમસભર ગ્રૂપ છે. વંશીય લઘુમતી પશ્ચાદભૂના લોકો તેમની કોમ્યુનિટીઓમાં કલંકરુપ ગણાવાથી તેમની માનસિક આરોગ્ય સમસ્યાઓ વિશે જાણકારી આપે તે શક્યતા ઓછી રહે છે.

ઈવેન્ટમાં હાજરી આપનારા હેન્ડ્સવર્થના નારાયણ કાઈન્થે કોમ્યુનિટી પર રચનાત્મક અસર પાડનારી પહેલને આવકારી હતી. તેમણે કહ્યું હતું કે,‘ ફોરમમાં હાજરી આપતા પહેલા મારી નુક્તેચીની કરાશે તેવા વિચારથી હું ખચકાતો હતો પરંતુ, મને આવકારથી ઉત્સાહ મળ્યો હતો. ચોક્કસ વિષયો પર આંખ ઉઘાડનારા વિષયો હોવાથી હું દર મહિને ત્યાં જઉં છું.’

તારાકી બર્મિંગહામમાં પંજાબી મહિલાઓ અને નોન-બાયનરી લોકો માટે પણ વ્યવસ્થા કરી રહેલ છે. વધુ માહિતી https:// www.eventbrite.co.uk /o/taraki-26261441223પરથી મેળવી શકાશે.

(ગુજરાતી સમાજમાં આવું કામ કરનારી કોઈ સંસ્થા હોવાનું અમારી જાણમાં નથી. જો આપની જાણમાં હોય તો અમને જણાવવા વિનંતી છે.- તંત્રી)


comments powered by Disqus