શુભ શકુન દીસે, મધ્યાહન શોભશે, વીતી ગઇ છે રાત

સી. બી. પટેલ Tuesday 21st January 2020 13:50 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, રવિવાર - ૨૬ જાન્યુઆરીના રોજ ભારતીય પ્રજાસત્તાક ૭૦ વર્ષ પૂરા કરી રહ્યું છે. અનેકવિધ ક્ષેત્રે ભારત અને ભારતવાસીઓના અભૂતપૂર્વ અનુદાનના પરિણામે દેશની કાયાપલટ પૂરપાટ ઝડપે થઇ રહી છે. તો વિદેશવાસી ભારતીયો પણ શિક્ષણ, વેપાર-ઉદ્યોગ, વ્યવસાય, કલા તેમજ અન્ય ક્ષેત્રે માનવંતા બની રહ્યા છે.
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતીય ગણતંત્રની શુભ શરૂઆત થઇ. આમ જોઇએ તો, દેશ - દુનિયાના ઉપલક્ષ્યમાં સાત દસકાનો ગાળો એટલો લાંબો ના ગણી શકાય. પણ ભારતમાં વિવિધ ક્ષેત્રે જે પરિવર્તન જોવા મળી રહ્યું છે તેનું વિહંગાવલોકન કરતાં મન રોકી શકાતું નથી. આપ સહુ વાચકોમાંથી સંભવિત કેટલાય એવા હશે કે જેઓ પ્રથમ પ્રજાસત્તાક દિનના એ શુભ પર્વે મુંબઇ રાજ્યની કોઇ શાળામાં અભ્યાસ કરતા હશે. આવા વડીલોને એ પણ યાદ હશે કે મુંબઇ સરકારે રૂપેરી ભાવિના શુભ શુકન સ્વરૂપે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને બે આના ભેટ આપ્યા હતા, જેથી બાળકો પોતાની રીતે આ ઐતિહાસિક અવસરની ઉજવણી કરી શકે. તે વેળાના બે આનાને આજના સમયમાં મૂલવો તો તેનું મૂલ્ય વીસ રૂપિયાથી ઓછું નહોતું. મને બરાબર યાદ છે તે વેળા...
... હું ભાદરણની તુલસીદાસ બકોરભાઇ હાઇસ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અમારા હેડ માસ્તર આદરણીય પંડ્યા સાહેબે શાળાના પ્રારંભે લગભગ ૩૫૦ વિદ્યાર્થીઓને પ્રાર્થના કરાવ્યા બાદ પ્રાસંગિક સંબોધનમાં પ્રજાસત્તાક પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું. ૧૩ વર્ષની વય તરફ આગળ વધી રહેલા ટેણિયાને તે વળી હેડ માસ્તરનો સંદેશો કેટલો યાદ રહે? તેના કાન તો શાળા છુટવાનો બેલ સાંભળવવા તત્પર હતા.
વાચક મિત્રો, તમે પણ જો આ ખુશી-બક્ષિસ મેળવવા નસીબદાર બન્યા હશો તો આ આનંદ - હરખનું કારણ સમજી શક્યા હશો. સમયના વહેણ સાથે સંકળાયેલી ઘણી બાબતો વિસ્મૃતિના વહેણ સાથે ભીતરમાં ધરબાઇ જતી હોય છે, પરંતુ તેની સાથે જોડાયેલો પ્રસંગ - ઘટના આકાર લે છે ત્યારે આ યાદો તાજી થઇને દિલોદિમાગને નવપલ્લવિત કરી દેતી હોય છે. પ્રથમ પ્રજાસત્તાક પર્વનો એક આવો જ પ્રસંગ મારા માનસપટ પર અંકિત થયેલો છે.
પ્રાર્થના અને પ્રવચન બાદ વિદ્યાર્થીઓને છુટ્ટી મળી. લગભગ સવારના ૧૧ વાગ્યા હતા. ચડ્ડી-બુશર્ટમાં સજ્જ મોટા ભાગના વિદ્યાર્થીઓ સુક્કલકડી હતા. બીજા બધાની જેમ મેં પણ ચપોચપ વાળેલી મુઠ્ઠીમાં બે આના પકડી રાખ્યા હતા. શાળામાંથી બહાર નીકળતાં જ કેટલાક વિદ્યાર્થીઓ ખારી શીંગની લારી પર તો કેટલાક ચનાજોર ગરમના ઠેલા પર ઉમટી પડ્યા. મકરસંક્રાતિનો તહેવાર હજૂ તાજો જ વીત્યો હોવાથી ખજૂરની લારી પણ હાજર હતી. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ‘બણબણી’ રહ્યા હતા. બધાના મોઢા ખાંઉ ખાંઉ કરી રહ્યા હતા, પણ હું અને મારા દોસ્તારોની ટોળકી એકશ્વાસે ઘરે દોડી ગઇ.
મોટી ખડકીના ઊંડા ફળિયા / છોયલા ચોકમાં પહોંચતાં જ અમે બધાએ શોરબકોર કરી મૂક્યો. પ્રજા... પ્રજા... કરી મૂક્યું. (પ્રજાસત્તાક તો આખો શબ્દ યાદ જ નહીં, અને યાદ હોત તો પણ નવોસવો શબ્દ બોલતાં ફાવ્યું હોત કે કેમ તે સવાલ છે.) હા, ગણતંત્ર શબ્દ બરાબર યાદ રહી ગયો હતો. પંડ્યા સાહેબના પ્રવચનમાંથી જે શબ્દો મનમાં સચવાયા હતા તેમાંથી ગણતંત્ર દિવસની વાત કરી ઉજવણીનો અમારો ઇરાદો વ્યક્ત કર્યો.
મારી બાએ હાથ પકડીને મને પાસે બેસાડ્યો ને કહ્યું કે તું આ બે આનાનું શું કરવાનો છો? મેં આંખે દેખ્યો અહેવાલ આપતા કહ્યું કે કેટલાક જલેબી લાવ્યા છે અને કેટલાક પેંડા ખાવાના છે. હું પણ કંઇક લાવીશ... અમે ય ઉજાણી કરવાના છીએ. બાએ મને સમજાવ્યું કે આવું બધું કરવા કરતાં આ ફળિયાને તોરણ બાંધો તો?! કેટલું સરસ લાગે... બે આનાની સૂતળી લઇ આવ ને દરવાજા ભાગોળે વડલા છે તેના પાન લઇ લાવ... ફળીયું શણગારો.
હેતપૂર્વક સમજાવાયેલી વાત મારા બાળમાનસમાં ઉતરી ગઇ. ચાર દોસ્તાર પણ તૈયાર થઇ ગયા. ચંદ્રકાન્ત પહોંચ્યો પુરૂષોત્તમ ઝીણાભાઈની દુકાને... ‘કેમ આયો લ્યા, બચુ...?’ બે આના પકડાવીને કહ્યું સૂતળી લેવાની છે. શા માટે? ગણતંત્ર દિન છે એટલે તોરણ કરવું છે. પુરૂષોત્તમકાકાએ પણ મારો સારો ઇરાદો જાણી ખાનદાની દાખવી. સાથીને કહ્યું બીજાને ભલે ૨૦ ફૂટ આપીએ, પણ આને ૩૦ ફૂટ આપો...
હિસાબકિતાબના પાક્કા પુરૂષોત્તમકાકાની આ ઉદારતા જોઇને મારો હરખ તો માય નહીં, પણ ત્યારે એ ન સમજાયું કે બચુ, આ ‘ઉદારતા’ તને બહુ ભારે પડવાની છે. વાનરસેના ઉપડી વડલાના પાન તોડવા. પાસેના ખેતરમાં આસોપાલવ હતો તો તેમાંથી પણ પાંદડા તોડી લાવ્યા. અમે બે જણા તોરણ કરવા બેઠાં. પાંદડા ખૂટી પડતા હતા, પણ સૂતળી ખૂટતી નહોતી! બે-એક કલાકની આકરી જહેમત પછી તોરણ બન્યું. ફળીયામાં બાંધ્યું ને મહોલ્લાનો કેટલોક ભાગ પણ આવરી લીધો. આખું ફળીયું દીપી ઉઠ્યું. અમારી મહેનત જોઇને બીજા છોકરાઓએ પાણી છાંટ્યું. આ બધું જોઇને કોઇ વળી મોટેથી બોલ્યું ‘જય હિન્દ’ અને ફળિયું ગાજી ઉઠ્યું. આટલે સુધી તો અમે આનંદથી જ ગદગદિત હતા, પણ સાચો આનંદ તો બીજા દિવસે અનુભવ્યો.
અમારી શાળાના ડેપ્યુટી હેડ માસ્તર સંઘવી સાહેબ તેમના ત્રણ શિક્ષક મિત્રો - આર. એમ. શાહ સાહેબ, પંચોલી સાહેબ અને બારીયા સાહેબ સાથે દરરોજ સાંજે વોક લેવા નીકળે. અમારા ફળિયા પાસેથી જ તેમનો ઇવનિંગ વોકનો રૂટ નીકળે. તેમણે સાંજે જોયું કે દરવાજા સહિતનું અમારું ફળિયું જાણે કોઇ ઉત્સવ હોય તેમ તોરણથી શણગાર્યું છે. તેમણે દરવાજા પાસે ઉભેલા વડીલોને પુછ્યછયું કે આ બધું શું છે? કંઇ પ્રસંગ-બ્રસંગ છે કે શું? કારણ જાણીને તેમને પણ આનંદ થયો. બીજા દિવસે સવારે પ્રાર્થના સભા પૂરી થયે તેમણે અમારી ઉજવણીની ગૌરવભેર નોંધ લેતા જાહેરમાં શાબાશી આપી. બધા વિદ્યાર્થીઓને આમાંથી શીખ લેવા કહ્યું. મારી સાથેની વાતચીતમાં એ પણ જાણ્યું કે મારી બાએ આ વિચાર આપ્યો હતો તો તેમણે કહ્યું કે તારી બાને પણ કહેજે કે ઉજવણીની સારી સલાહ આપી છે. વાચક મિત્રો, સાચું કહું તો મારા જ નહીં, અમારી વાનરસેનાના કોલર ઊંચા થઇ ગયા. શાળામાં વટ પડી ગયો.
રાષ્ટ્રપ્રેમ, કોમ્યુનિટી સર્વીસ એ બધા શબ્દો, તેની પાછળનો ભાવાર્થ, આ માટેનો લગાવ તો જીવનમાં પછી આવ્યો, પરંતુ સમયના વહેવા સાથે સમજાયું કે આના મૂળમાં તો ‘ફળીયામાં તોરણ બાંધવાની’ મારી બાની સલાહ જ છે. તેમની અપેક્ષા કેટલી હદે સંતોષી શક્યો છું એ તો હું જાણતો નથી, પણ તેમણે ચીંધેલા માર્ગ પર ચાલવા હું સદૈવ પ્રયત્નશીલ રહ્યો છું તેમાં બેમત નથી. આપણને વડીલો હંમેશા આંગળી ચીંધતા જ રહેતા હોય છે, અને તે સલાહ-સૂચન-માર્ગદર્શન જાણ્યે-અજાણ્યે આપણા ઉછેરમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે તેનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણા બાળપણ દરમિયાન દિલોદિમાગમાં રોપાયેલું સુવિચારનું એક બીજ સમયના વહેવા સાથે સભ્યતા-સંસ્કારિતાનો વડલો બનીને પાંગરતું હોય છે તેને ભલા કોણ નકારી શકશે?
મારા હમઉમ્ર વાચક મિત્રોને યાદ હશે કે તે સમયે ચોથા ધોરણથી ભૂગોળનો વિષય આવતો. અને જ્યોમેટ્રી માટે કંપાસબોક્સ અને HB પેન્સિલ ફરજિયાત હતા. આ કંપાસબોક્સ વળી નાના ગામમાં તો મળે પણ નહીં. અમારા ગામના વિદ્યાર્થીઓને તો આણંદ કે પેટલાદ સુધી લાંબા થવું પડતું. કંપાસબોક્સ કે પેન્સિલ ગમેત્યાંથી ખરીદો તેના પર એક માર્કો અવશ્ય જોવા મળતો Made in England. ભાદરણમાં સ્ટેશન રોડ પાકો થવાનો હતો ત્યારે હારબંધ ગોઠવાયેલા ડામરના કાળા પીપડાં પર વાંચવા મળતું Made in Holland. કહેવાનું તાત્પર્ય છે કે તે સમયે આપણો દેશ HB પેન્સિલ કે કંપાસબોક્સથી માંડીને ડામર જેવી ચીજવસ્તુઓ માટે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર હતો. આજે સાત જ દસકામાં ચિત્ર સમૂળગું બદલાઇ ગયું છે. આ અને આવી બધી ચીજવસ્તુઓનું આજે સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદન થાય છે એટલું જ નહીં, ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સાથે. એક સમયે સંપૂર્ણપણે વિદેશી આયાત પર, એક-એક ડોલરના વિદેશી હૂંડિયામણ માટે મથતો ભારત દેશ આજે અબજો ડોલરની ચીજવસ્તુઓની દરિયાપારના દેશોમાં નિકાસ કરે છે. દેશની તિજોરી વિદેશી હૂંડિયામણથી તરબતર છે. ભારતમાંથી વિદેશ જઇ વસેલું માનવધન તેના બુદ્ધિ-કૌશલ્યથી પોતાના કે પોતાના પરિવારના જ નહીં, જે તે દેશોના વિકાસમાં યોગદાન આપી રહ્યું છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓને સફળ નેતૃત્વ પૂરું પાડીને વૈશ્વિક આર્થિક વિકાસમાં અદકું યોગદાન આપી રહ્યા છે. આવા કેટલાક ભારતીય દિગ્ગજોની ઝલક આ જ અંકમાં અન્યત્ર રજૂ કરી છે. (વાંચો પાન - ૧૫)
મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત ફર્યા તે દિવસની સ્મૃતિમાં નવમી જાન્યુઆરીએ ઉજવાતા પ્રવાસી ભારતીય દિવસના કેન્દ્રમાં પણ વિદેશવાસી ભારતીયો જ છેને?! એક અંદાજ મુજબ વિદેશની ધરતી પર ૩૧ મિલિયન ભારતીય વંશજો વસવાટ કરે છે. આપણે બ્રિટનમાં જ લગભગ ૧૮/૨૦ લાખ છીએને?! અમેરિકામાં ૩૫થી ૪૦ લાખ છે. આ તો વસ્તીના આંકડાઓની વાત થઇ, પરંતુ આ વિશ્વમાં એવા કેટલાય દેશો છે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, વડા પ્રધાન, નાયબ વડા પ્રધાન કે અન્ય મહત્ત્વના હોદ્દાઓ પર ભારતીય વંશજો મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. બ્રિટનમાં જ જૂઓને... પ્રીતિ પટેલ અને સાજિદ જાવિદ (સાજિદભાઇ ભલે પાકિસ્તાની મૂળના ગણાતા હોય, પરંતુ તેમના વડવાઓ ભારતથી પાકિસ્તાન જઇ વસ્યા હતા તે યાદ અપાવી દઉં...)થી માંડીને કેટકેટલા ભારતીયો વગદાર સ્થાન શોભાવી રહ્યા છે. આ ઉપરાંત મોરીશ્યસ, આયર્લેન્ડ, પોર્ટુગલ, કેનેડા, ટ્રિનિદાદ, સૂરીનામ, સિંગાપોર વગેરે દેશોમાં ભારતીયોએ કાઠું કાઢ્યું છે તે કોણ નથી જાણતું?
ભારતમાંથી વિદેશ જઇને ઠરીઠામ થયેલા ભારતીયો પણ કંઇ વતનને વિસરી ગયા છે તેવું નથી. તેઓ માતૃભૂમિને વ્યાજ સાથે ઋણ ચૂકવી રહ્યા છે. વિદેશવાસી ભારતીયો ફેમિલી રેમિટન્સ પેટે વર્ષેદહાડે ૮૮ બિલિયન ડોલરની અધધધ રકમ ભારત મોકલે છે. આ આંકડો પણ એક સિદ્ધિ સમાન છે.
વિશ્વ ફલક પર નજર નાખશો તો જણાશે કે આજનું ભારત બિચારું કે પરાધીન નથી. મોદી સરકારના આગમન બાદ અનેક રાષ્ટ્રો સાથે મજબૂત સંપર્ક સ્થપાયો છે. અમેરિકા-રશિયા-બ્રિટન-ફ્રાન્સ અને અમુક અંશે ચીન જેવી મહાસત્તાઓ સાથેના સંબંધો વર્ષોના વહેવા સાથે વધુ સુદૃઢ બન્યા છે. પ્રગતિનો દૃઢ નિર્ધાર ધરાવતી સરકાર મજબૂત હોવાથી ભારતવસાસીઓ હવે વધુ ગણનાપાત્ર નાગરિકો બન્યા છે. ટુરિસ્ટ તરીકે વિદેશ પ્રવાસે જતા ભારતીયોની ખરીદશક્તિ એટલી પ્રચંડ છે કે લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલા મસમોટા સ્ટોર્સમાં પણ ભારતીયોની પસંદગીની ચીજવસ્તુઓ રાખવામાં આવે છે.
મિત્રો, પ્રજાસત્તાક ભારતની હરણફાળ પર નજર ફેરવશો તો જણાશે કે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. અલબત્ત, સર્વાંગી ક્ષેત્રે ભારત અવ્વલ સ્થાને પહોંચી ગયો છે એમ તો ન કહી શકાય, પરંતુ સત્તા-શાસન અને નાગરિકો જાગ્રત હોવાથી લોકતંત્ર પ્રાણવાન, ચેતનવંતુ બની રહ્યું છે એ તો સહુએ સ્વીકારવું જ રહ્યું. શુભત્વનો આ સંકેત જોતાં કહેવું જ રહ્યું શુભ શકુન દીસે, મધ્યાહન શોભશે, વીતી ગઇ છે રાત...
પ્રજાસત્તાક ભારત અમર રહો...
જય હિન્દ... જય હિન્દ... જય હિન્દ...
(ક્રમશઃ)


comments powered by Disqus