સુરતમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ રાજીપો ત્યાં સુધી લઈ જવાનો છે કે મોક્ષમાં પરિણમે’

Wednesday 22nd January 2020 05:01 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. ૧૪મીને મંગળવારે ઉત્તરાયણ નિમિત્તે ઝોળી પર્વ યોજાયું હતું. પૂ. મહંત સ્વામીએ ‘સ્વામીનારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો’ની આહલેક પોકારી હતી. હરિભક્તોએ આ પ્રસંગે યથાશક્તિ દાન કર્યું હતું. કણાદ ખાતે નૂતન બીએપીએસ સ્વામીનારાયણ મંદિર બનવાનું છે ત્યાં પૂ. મહંત સ્વામી સાંજે પધાર્યા હતા. ત્યાં યોજાયેલી વિશેષ સભામાં અંદાજે ૩૬,૦૦૦ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂ. મહંત સ્વામીએ ફુગ્ગા બાંધેલો પતંગ પણ છોડ્યો હતો. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ રાજીપો થઈ ગયો છે પણ મોક્ષ માટે થોડું ખૂટે છે. રાજીપો ત્યાં સુધી લઈ જવાનો છે કે મોક્ષમાં પરીણમે.’ સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પૂ. મહંત સ્વામીની સૌજન્ય મુલાકાત લીધી હતી. સ્વામીએ તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.

૧૭મીએ પૂ. મહંત સ્વામીએ ધારી વિસ્તારના ચલાલા હરિમંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. આ ઉપરાંત, મહેળાવ વિસ્તારના કાસોર અને કરણપુર, સુરત ગ્રામ્ય વિસ્તારના સરસ અને સાંકરીના કુકરમુંડાના હરિમંદિરોની મૂર્તિઓની પણ તેમણે પ્રતિષ્ઠા કરી હતી.

પૂ. મહંત સ્વામીએ ૧૯મીને રવિવારે સવારે મહેસાણાના હરિભક્તોને પૂજા દર્શન આપ્યા હતા. શાકોત્સવની ઉજવણી પ્રસંગે પૂ. મહંત સ્વામીએ સંતો અને હરિભક્તો માટે પ્રસાદી તરીકે રીંગણનું શાક તૈયાર કર્યું હતું. સાંજે કણાદ ખાતે રવિસભા યોજાઈ હતી. તેમાં પૂ. મહંત સ્વામીએ પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ શિબિર અંતર્ગત સત્સંગીઓ ગુજરાતના શક્ય તેટલાં પરિવારોની મુલાકાત લઈને પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો શાંતિનો સંદેશ આપશે. આ પ્રસંગે રજૂ થયેલા સંવાદમાં અબાલવૃદ્ધ હરિભક્તો કેવી પરિસ્થિતિમાં આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અથવા જોડાવાની ઈચ્છા રાખે છે તે દર્શાવાયું હતું. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ પૂ. પ્રમુખસ્વામી મહારાજને આપણા દરેક માટે પ્રેમ હતો. તેઓએ આપણા માટે ઘણું કર્યું છે તે કોઈ ન કરી શકે. એમણે આટલું બધું કર્યું તો હવે આપણો વારો છે.’ સુરતમાં સંતો અને હરિભક્તો તેમના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે.


comments powered by Disqus