ચીન સાથે સરહદી તણાવ વચ્ચે ભારત માટે આઘાતજનક સમાચાર એ છે કે ઇરાને નવા બનેલા મિત્ર ચીનના ઈશારે જૂના સાથી ભારતને તેના ચાબહાર પોર્ટ-ઝાહેદાન રેલવે પ્રોજેક્ટમાંથી પડતું મૂક્યું છે. આટલું જ નહિ, ઈરાન અને ચીન વચ્ચે ૨૫ વર્ષ માટે ૪૦૦ બિલિયન ડોલરની રાજદ્વારી અને આર્થિક સમજૂતીને ગુપચુપ અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે. સમજૂતી અંતર્ગત ચીન ઈરાન પાસેથી સસ્તા દરે પેટ્રોલિયમ મેળવશે અને મોટા પાયે રોકાણો કરશે. નેપાળ પછી ઈરાનને સાધી ચીન એક સાથે ભારતવિરોધી મોરચો ઉભો કરી રહ્યું છે.
ભારતને ચાબહાર પોર્ટ - ઝાહેદાન રેલવે પ્રોજેક્ટમાંથી દૂર કર્યા પછી ઈરાને તેના ગેસ ફીલ્ડ ફરઝાદ-બી પરિયોજનામાંથી પણ ભારતીય ONGC કંપનીને દૂર કરી વધુ એક આંચકો આપ્યો છે. જોકે, ‘બેટા જરા મોટો થા તો પરણાવીશું’ જેવો સધિયારો આપી ભવિષ્યમાં તેને સામેલ કરવા જણાવ્યું છે. હાલ તો સ્થાનિક કંપની આ ગેસક્ષેત્રનો વિકાસ કરશે તેમ જણાવાયું છે પરંતુ, આ પ્રોજેક્ટ પણ ચીનના ખોળામાં પધરાવી દેવાય તેવી શક્યતા દૂર નથી.
વ્યૂહાત્મક રીતે પણ ચાબહાર પોર્ટ રેલવે પ્રોજેક્ટ ભારત માટે વિશેષ મહત્વનો હતો. આ પરિયોજના અંતર્ગત ભારત-ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે અનેક પ્રોજેક્ટ્સને લઈ સહમતી સધાઈ હતી. આ પ્રોજેક્ટ થકી ભારત માટે અફઘાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયાઈ દેશો સુધી પહોંચવાનો વૈકલ્પિક માર્ગ ઊભો કરવાનો અવસર હતો. ઈરાનના ચાબહાર બંદરથી અફઘાનિસ્તાનની સરહદ નજીક આવેલા ઝાહેદાન સુધીની ૬૨૮ કિલોમીટર લાંબી રેલવેલાઇન યોજના પાછળ ૧.૬ બિલિયન ડોલરનું રોકાણ થવાનું હતું. હવે ઇરાને તેના દ્વારા કરાયેલા વિલંબને છુપાવી દાવો કર્યો છે કે ભારત સાથે સમજૂતીને ચાર વર્ષ થવાં છતાં ભારત ફંડ આપતું ન હોવાથી તેણે આપમેળે જ આ યોજના પૂરી કરવા નિર્ણય કર્યો છે. ઈરાની સંસદ પણ આ નિર્ણયને મંજૂરી આપી દેશે તો ભારતને મોટો ફટકો વાગશે તેમાં શંકા નથી.
પાકિસ્તાન અને ચીનની નાકાબંધીના કારણે ભારતનો મધ્ય એશિયા અને મધ્ય-પૂર્વ એશિયા સાથેનો માર્ગ અવરોધાયેલો છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર તો ચીને કબજો જમાવી લીધો છે અને હવે ઇરાનનું ચાબહાર બંદર પણ તેના હસ્તક આવી જશે તો ભારત માટે અફઘાનિસ્તાન તેમજ મધ્ય એશિયાના બીજા દેશો સુધીની પહોંચ મુશ્કેલ બની જશે. હકીકતમાં, ભારતે ચીને હાથ ધરેલા પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ વિકાસ પ્રોજેક્ટના જવાબમાં જ ઇરાનના ચાબહાર પ્રોજેક્ટને ઉપાડયો હતો. આ ગ્વાદર અને ચાબહાર પોર્ટ્સ વચ્ચે માત્ર ૧૦૦ કિ.મી.નું જ અંતર છે. ભારતના આ પગલાંથી ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવને મોટો ફટકો પડે તેમ હતું. હવે ભારતને મોટું નુકસાન જવાની શક્યતા છે.
એક સમયે ઓમાનની માલિકીનું ગ્વાદર પોર્ટ ભારતને મળી શકે તેમ હતું કારણ કે આઝાદી સમયે તેનો વહીવટ ભારત પાસે જ હતો પરંતુ, ભૂતકાળની ઘણી ભૂલોની માફક ભારતે ૧૯૫૪માં ઓમાનના સુલતાનની આ પોર્ટ મુદ્દે મૈત્રીપૂર્ણ ઓફર ફગાવી અને પાકિસ્તાનના સઘન પ્રયાસો પછી સુલતાને ૧૯૫૮માં આ પોર્ટ ૩૦ લાખ ડોલરમાં પાકિસ્તાનને વેચી દીધું હતું. ગ્વાદર પોર્ટની વ્યૂહાત્મક મહત્તા સમજ્યા વિના તેને ઠુકરાવી દેવાની ભૂલ ભારતને ભારે પડી રહી છે.
પડદા પાછળની રમતોમાં માહિર ચીને ભારતના મિત્ર ઈરાન સાથે મિત્રતા કેળવીને મોટો ઘા મારી લીધો છે. ભારતે શરૂઆતમાં તો બધા પાડોશી દેશો સાથે સંબંધો વધારવાની પહેલ કરી પરંતુ, સમયાંતરે અમેરિકા સહિત વિકસિત દેશો સાથે સંબંધો ગાઢ બનાવવામાં રહ્યા અને ચીને ભારતના પાડોશી દેશોને ઉદાર નાણાસહાયો કરી સંબંધો વધુ ગાઢ બનાવ્યા છે. અનેક પ્રતિબંધોના કારણે ઇરાનની હાલત કફોડી છે ત્યારે ચીન આર્થિક સહાય કરીને ઘણા લાભ હાંસલ કરી લેશે તે નિશ્ચિત છે. જિનપિંગના બે હાથમાં લાડુ છે. તેણે અમેરિકા અને ભારત વિરુદ્ધ ઈરાનને ખડું કરી દીધું છે. તેના પહેલા ઉદાહરણ તરીકે ઈરાને તાજેતરમાં ચીન સાથે મોટી સોદાબાજી કરીને ભારતને ડિંગો બતાવી દીધો છે. ભારતની વિદેશનીતિને ચીને તમાચો માર્યો હોવાનું કહીએ તેમાં જરા પણ શંકા નથી.