પાર્થ (ભારત)ને કહો ચડાવે બાણ...

Wednesday 24th June 2020 06:35 EDT
 

વિશ્વભરમાં કોરોના મહામારી પછી ભારત-ચીન વચ્ચેનો તણાવ હોટ ટોપિક બની ગયો છે. લડાખની ગલવાન ઘાટીમાં ૧૫ જૂને લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનોની શહીદી પછી બંને દેશની વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય અને સરંજામ ગોઠવાઈ ગયાં છે જાણે ૧૯૬૨નું પુનરાવર્તન થવાનું હોય પરંતુ, ચીનની નેતાગીરી એ બાબતે થાપ ખાઈ ગઈ છે કે આ ૬૦ના દાયકાનું ભારત નથી અને વિશ્વમત પણ ભારતની તરફેણમાં અને ચીનની વિરુદ્ધમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા અને ભાવિ રણનીતિ મુદ્દે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં સરકારને તમામ પક્ષોએ સમર્થન આપ્યું છે. બેઠકનો મુખ્ય સૂર એ જ રહ્યો કે ભારત મજબૂત છે, મજબૂર નથી. વડા પ્રધાને સ્પષ્ટ કર્યું કે જે આક્રમણખોરોએ ભારત માતાને પડકાર આપ્યો તેમને યોગ્ય બોધપાઠ શીખવી જવાનોએ શહીદી વહોરી છે. તેમની બહાદુરીને દેશ યાદ રાખશે.
એ પણ હકીકત છે કે ચીને તેના ૪૦ જેટલા સૈનિકો ગુમાવ્યા છે પરંતુ, ભારતના હાથે માર ખાધો હોવાનું સ્વીકારવાની તેની હિંમત નથી. હાથોહાથની લડાઈમાં પણ ભારતીય નરબંકાઓને પહોંચી નહીં વળાય તેમ સમજાઈ જતા ચીને ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ની નીતિ અખત્યાર કરી ભારત તેની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો તેવો પ્રચાર આરંભ્યો છે જે, કોઈ માની શકે નહિ. ગલવાન ઘાટી ભારતીય પ્રદેશ હોવા વિશે કોઈ મીનમેખ નથી. ભારત પોતાની સરહદમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવી શકે છે પરંતુ, ચીનના પેટમાં એટલે તેલ રેડાયું છે કે સડક અને પૂલના નિર્માણો સાથે ભારતીય લશ્કરની હેરફેર સરળ બનશે અને પ્રદેશ હડપવાનું કાર્ય અધુરું રહી જશે.
ચીન પહેલેથી વિસ્તારવાદી કે અન્યોની જમીનો હડપ કરી લેવાની નીતિ ધરાવે છે. તેની કુલ જમીનનો ૪૩ ટકા હિસ્સો આ રીતે પડાવીને જ મેળવ્યો છે. ભારતની ૪૩,૦૦૦ સ્કવેર કિમી જમીન પર ચીને ગેરકાયદે કબજો કર્યો છે. એટલું જ નહિ, હવે લડાખ, અરુણાચલ અને સિક્કિમ પર તેનો ડોળો છે. ચીનની સરહદ વિશ્વના ૧૪ દેશ સાથે જોડાયેલી છે અને તેમાંથી ૬ દેશની ૪૧.૪૩ લાખ સ્કવેર કિમી જમીન ચીની ડ્રેગન હડપ કરી ગયો છે. ચીનની મોડસ ઓપરેન્ડી ફૂંકી ફૂંકીને કરડતા ઊંદર જેવી છે. નબળા-ગરીબ દેશોને ભરપૂર આર્થિક સહાય કરવી, તેમના પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી આપવું અને તેમની આત્મનિર્ભરતા ખલાસ કરી આશ્રિત બનાવી દેવા જેથી, તે પોતાની મનમાની કરી શકે. પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવાં દેશો આના સ્પષ્ટ ઉદાહરણ છે.
એ પણ હકીકત છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ જાળવવા ભારત-ચીન વચ્ચે ૨૭ વર્ષમાં પાંચ સમજૂતી થઈ હતી પરંતુ, ખંધા ચીનને શાંતિ જાળવવી જ નથી તો સમજૂતીનું ઉલ્લંઘન કરતા તેની કોઈ રોકી શકે તેમ નથી. જોકે હવે ભારતે ‘શઠં પ્રતિ શાઠ્યમ્’ની નીતિ અપનાવવી જ રહી. ગલવાન ઘાટીમાં શહીદ સૈનિકો પાસે પૂરતા શસ્ત્રો હતા પરંતુ, સમજૂતીના કારણે તેનો ઉપયોગ કરી શકાયો નહિ. હવે ભારતીય સેનાને વળતો પ્રહાર કરવાની સંપૂર્ણ છૂટ અપાઇ છે. લશ્કરી દળોએ આ માટે રાજકીય નેતૃત્વની મંજૂરી લેવાની જરૂર નહિ હોવાથી તેના હાથ પણ બંધાયેલા નહિ રહે અને આપણા દેશની રક્ષા માટે સશસ્ત્ર સેનાએ જે પણ કરવાનું હશે તે કરશે જ. આ સાથે સૈન્યને પ્રતિ પ્રોજેક્ટ ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની મંજૂરી પણ આપી દેવાઈ છે જેથી, સરંજામનો જથ્થો જાળવી શકાય.
ચીને લડાખની ગલવાન ઘાટીમાં જે સરહદી અડપલું કર્યું તેનાથી સ્વાભાવિક રીતે જ ભારતના સૈન્ય અને પ્રજામાં ભારે રોષ પ્રવર્તે છે અને ચીનને તેનું સ્થાન બતાવી દેવાની માગ વધી છે. ચીની માલસામાનના બહિષ્કાર અને ચીની કંપનીઓ તથા રોકાણોને દેશવટો આપવાની પણ વાતો થાય છે અને સરકાર તે દિશામાં પગલા લેશે તેવા સંકેતો છે. જોકે, આ તત્કાળ શક્ય નથી તે પણ એટલી જ સાચી વાત છે.
મહાભારતનું યુદ્ધ થયું તે અગાઉ, કૃષ્ણે શાંતિ સ્થાપવા ઘણા પ્રયાસો કર્યા તેમાં નિષ્ફળતા પછી માતા કુંતીએ કૃષ્ણને સંદેશ આપ્યો કે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’. ભારતની પ્રજા પણ આ જ ઝંખે છે. શાંતિ અને ધીરજ જાળવવાની ચીનની અપીલ પર વિશ્વાસ કરી શકાય નહિ. ભારત શાંતિપ્રિય રાષ્ટ્ર છે પરંતુ, શાંતિ, શાંતિનો જાપ જપવાથી કશું વળતું નથી. અલબત્ત, ‘યુદ્ધસ્ય કથા રમ્યઃ’ એટલે કે યુદ્ધની વાતો સાંભળવામાં જ સારી લાગે છે, તેની વાસ્તવિકતા બિહામણી હોય છે તે પણ સમજવાની જરૂર છે. આથી, સાપ મરે અને લાઠી પણ ભાંગે નહિ તેવો માર્ગ અપનાવવો આવશ્યક છે.


comments powered by Disqus