સુશાંત સિંહના આપઘાત મુદ્દે વિવાદ સલમાન ખાન - કરણ જોહર સહિત આઠ સામે કેસ

Wednesday 24th June 2020 07:08 EDT
 
 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪મી જૂને પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો અને સુશાંતે કોઈ અંતિમ નોટ લખી નહોતી. સુશાંતને આ પગલાં માટે કેટલીક બોલિવૂડની હસ્તીઓનું દુષ્પ્રેરણ હોવાની ફરિયાદ બિહારના વકીલ સુધીર કુમાર ઓઝાએ નોંધાવી છે. સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી સહિતના આઠ લોકો સામે આ ફરિયાદ નોંધાઈ છે. સુધીર કુમારે દાવો કર્યો છે કે, સુશાંત પાસેથી સાત ફિલ્મો છીનવી લેવાઈ હતી. જેથી તે આપઘાત કરવા મજબૂર બન્યો હતો. અભિનેત્રી કંગના રાણાવતે પણ બોલિવૂડના નામાંકિત લોકો પર પ્રહાર કર્યો છે કે સુશાંત ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ માટે પહેલી પસંદ હતો. સુશાંતના મૃત્યુ અંગે નિષ્પક્ષ તપાસ થશે તો હું ચોક્કસ ખૂલીને વાત કરીશ જ.
મુઝફ્ફરપુર કોર્ટમાં એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ ફરિયાદ કરી હતી કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને છેલ્લા થોડા સમયથી સાત ફિલ્મોમાંથી હટાવી દેવાયો હતો. એ પાછળ સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર અને કરણ જોહર સહિત આઠ લોકો જવાબદાર હતા.
સુધીર કુમારે દાવો કર્યો હતો કે સુશાંતને સાત ફિલ્મોમાંથી હટાવી દેવા ઉપરાંત તેની જે ફિલ્મો રિલીઝ થવાની હતી તેને પણ અટકાવવામાં આ લોકોનો હાથ હતો. આ પરિસ્થિતિના કારણે સુશાંત માટે એવી હાલત થઈ ગઈ કે તેણે આત્મહત્યા કરવી પડી.
આ કેસ નોંધાયા પછી એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ લખ્યું હતું કે, સુશીને કાસ્ટ ન કરવા બદલ કેસ કર્યો તે માટે આભાર, પણ હું જણાવી દઉં કે મેં જ તેને લોંચ કર્યો હતો. આ બધી અટકળોથી હું અપસેટ છું. મહેરબાની કરીને સુશાંતના ફ્રેન્ડ્સ અને તેના પરિવારને શાંતિથી રહેવા દો. આ સાથે એક્તાએ વર્ષ ૨૦૧૦માં સુશાંતને પ્રથમ અવોર્ડ મળ્યો હતો તેનો થ્રોબેક વીડિયો પણ તાજેતરમાં શેર કર્યો છે.

કરણે ટ્વિટર એક્ટર્સને અનફોલો કર્યા

સુધીર કુમારની ફરિયાદમાં કરણ જોહરનું પણ નામ હોવાથી સોશિયલ મીડિયા પર કરણની ખૂબ ટીકા થઇ રહી છે. તેના કારણે ટ્વિટર પર અનેક એકાઉન્ટ્સને કરણે અનફોલો કર્યાં છે. હવે તે માત્ર આઠ એકાઉન્ટસ્ જ ફોલો કરે છે. જેમાંથી ચાર તો તેના બેનર ધર્મા પ્રોડક્શન અને તેના સીઇઓ અપૂર્વ મહેતાના છે. હાલના સમયે તે માત્ર અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન શાહરુખ ખાન સિવાય માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ ફોલો કરે છે.
આ ઉપરાંત નિર્માતા કમલ જૈને કહ્યું છે કે, સુશાંત પાસે ફિલ્મ્સની કોઈ અછત નહોતી. હું ખુદ તેની સાથે સાઉથની રિમેક બનાવવાનો હતો.
• પોલીસ પણ તપાસ કરી રહી છે કે, સુશાંત બોલિવૂડના રાજકરણનો શિકાર તો નથી બની ગયો ને? પોલીસે અત્યાર સુધીમાં આશરે ૧૫ લોકોની પૂછપરછ કરી છે. આ દરમિયાન સુશાંતના તદ્દન નજીકના માણસોમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેની સાથે રહેનારા સિદ્ધાર્થને પણ સવાલ કરાયાં છે.
• રિયા તથા સુશાંતની વચ્ચે રિલેશનશિપની સાથે તેમની ફાઈનાન્શિયલ પાર્ટનરશિપની પણ વાત સામે આવી છે. બ્રાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ૧૮મી જૂને રિયાની લાંબી પૂછપરછ કરાઈ હતી. અહેવાલ છે કે રિયાએ પોલીસને જણાવ્યું કે, સુશાંતે યશરાજ સાથે પોતાનો કરાર તોડી નાંખ્યો હતો અને રિયાને પણ કરાર તોડી નાંખવા જણાવ્યું હતું.
• સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સુશાંતના નિધન પછી તેના પરિવારને મળી હતી. સુશાંતના સાયકાયટ્રિસ્ટે જણાવ્યું છે કે અંકિતા સાથેના બ્રેક અપ પછી તે અપસેટ રહેતો હતો. કાયદાકીય રીતે અંકિતાની પણ પૂછપરછ પોલીસ કરી શકે છે.
• પોલીસે યશરાજ પ્રોડક્શન હાઉસને તપાસમાં સામેલ કર્યું છે વ્યાવસાયિક દૃષ્ટિએ તપાસ કરવા માટે સુશાંત સહિતના કેટલાક કોન્ટ્રાક્ટની કોપી મંગાવવામાં આવી છે.
• ડિરેક્ટર રૂમી જાફરીએ કહ્યું છે કે, સુશાંત ફિલ્મમાં કામ કરવા નહોતો ઈચ્છતો, વૈજ્ઞાનિકની જેમ તેને નવી-નવી શોધો કરવા માગતો હતો.
• સંદીપ સિંહે સુશાંત સાથેની ફિલ્મ ‘વંદે ભારતમ’નું પોસ્ટર તાજેતરમાં શેર કરીને લખ્યું છે કે આ ફિલ્મનું અમે સાથે નિર્માણ કરવાના હતા. તું તો જતો રહ્યો ભાઈ...
• સુશાંત પર સેલેબ્સના રિએક્શન જોઈને તેની પૂર્વ મેનેજર રોહિણી ભડકી ઊઠી અને કહ્યું કે તમે તેને દૂર નહોતો કર્યો પરંતુ તેણે તમને રિજેક્ટ કર્યાં હતાં.
• સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં અનેકો પર આરોપ લગાવવાના ચાલુ થઇ ગયા છે. ફિલ્મ નિર્માતા અને અભિનેતા સહિત આઠ સામે કેસ થયા પછી ‘દબંગ’ના ડિરેક્ટર અનુરાગ કશ્યપના ભાઈ અભિનવે પણ સલમાન ખાન અને તેના ભાઈઓ પર આરોપ લગાવ્યો કે ખાન પરિવારે તેના કરિયરને નુકસાન પહોંચાડ્યું છે. એ પછી અરબાઝ ખાન અને સોહેલ ખાને અભિનવ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાનું કહ્યું છે. અભિનવ સિંહે પણ અભિનવ કશ્યપ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
• સુશાંતના નિધન પછી ફિલ્મ ‘સ્ટાઈલ’ ફેમ એક્ટર સાહિલ ખાને સલમાનને ટાર્ગેટ કરીને કહ્યું છે કે, મને સલમાન દ્વારા અનેક ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે.
• પટણામાં સુશાંત સિંહના ચાહકોએ સલમાન અને કરણ જોહરના પૂતળા બાળ્યા, સુશાંતની આત્મહત્યાને મર્ડર ગણાવીને ન્યાયની માગ કરી હતી.
• એક તરફ સુશાંતના મૃત્યુ મામલે સલમાન ખાન પર આકરા પ્રહાર થઈ રહ્યા છે ત્યારે સલમાન ખાને ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, અત્યારે તો સુશાંતના ફેન્સ અને પરિવારને સપોર્ટ કરો, સુશાંતનાં મૃત્યુથી તેમને બહુ મોટી ખોટ પડી છે.
• કરણ જોહરે પોતાના ફોનનો નંબર પણ બદલી નાંખ્યો છે અને આલિયા ભટ્ટ સહિત અન્ય લોકોને અનફોલો કર્યા પછી કરણ જોહરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સીમીત લોકોને જ રાખ્યા છે એ પછી સોનાક્ષી સિંહા, સાકીબ સલીમ, આયુષ શર્મા અને ઝહીર ઇકબાલે ટ્વિટર અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાંખ્યા છે. તેઓ જણાવે છે કે નેગેટિવિટીથી દૂર રહેવા તેમણે આ પગલું ભર્યું છે. બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યાદગાર શ્રેણીમાં મુકાયું છે.
• આ સાથે સુશાંત સિંહની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ ડિલિટ કર્યાં છે. શ્વેતા ૧૭મી જૂને યુએસથી ભારત આવી હતી. શ્વેતા સહિત પરિવારે ૧૮ જૂને પટનામાં ગંગા નદીમાં સુશાંતની અસ્થિનું વિર્સજન કર્યું હતું. તે પહેલાં ભાઈને યાદ કરીને શ્વેતાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી હતી, પણ એ પછી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેણે અકાઉન્ટ્સ ડિલિટ કરી નાંખ્યા છે.


comments powered by Disqus