કોરોના વાઈરસના પ્રસાર સામે સ્વયંશિસ્ત

Tuesday 24th March 2020 15:51 EDT
 

વિશ્વભરમાં કોરોના વાઈરસ કોવિડ-૧૯ લાખો ચેપગ્રસ્તોની સાથે હજારોનો મૃત્યુઆંક પણ તરત સતત ઉમેરાય (ખોટાં સાબિત થાય) તેવી અકલ્પનીય ઝડપે પ્રસરી રહ્યો છે. વિશ્વના અન્ય દેશોની માફક ભારતમાં પણ લોકડાઉન કે તાળાબંધી શબ્દ પ્રચલિત થવાની તૈયારીમાં હતો, પણ તેની જગ્યાએ જનતા કર્ફ્યૂ કે સ્વયંસંચારબંધી શબ્દ ગુંજતો રહેશે. કોરોના વાઈરસ ફેલાયો છે એવા ઘણા દેશોમાં શાસન દ્વારા તાળાબંધી કરવામાં આવી છે. કોવિડ-૧૯ પ્રકારના રોગચાળામાં લોકોને એકબીજાથી દૂર રાખવા એ ઉત્તમ ઉપાય છે, પણ લોકોનો એકબીજા સાથેનો સંપર્ક અટકાવવો મુશ્કેલ હોય છે. ભારતમાં પણ ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે. હવે તેનો તબક્કો બદલાવા તરફ જઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ૨૨ માર્ચે સવારના સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જે પ્રકારે ૧૪ કલાકના ‘જનતા કર્ફ્યૂ’નું જે આહ્વાન કર્યું હતું તેની પ્રસ્તુતતા વધી છે.
વડા પ્રધાન મોદીએ કોરોના વાઈરસના સંક્રમણને ઘટાડવાની રણનીતિ સ્વરૂપે સમગ્ર ભારતના લોકોને દેશહિતમાં ‘જનતા કર્ફ્યુ’માં જોડાઈ તેના સુચારુ અમલનો અનુરોધ કર્યો હતો. આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ દેશવાસી ઘર કે મહોલ્લાની બહાર ન નીકળે તે જ તેનો મૂળ હેતુ હતો. તેમણે કોરોના સંકટ માનવજાત માટે પડકાર ગણાવી તેને હળવાશથી લીધા વિના સંકલ્પ અને સંયમથી સામનો કરવાનો માર્ગ દર્શાવ્યો છે અને આગામી થોડા સપ્તાહ સુધી અનિવાય સંજોગોમાં જ ઘરથી બહાર નીકળવા દરેક દેશવાસીઓને આગ્રહ કર્યો છે. તેમના સંબોધનની સૌથી મહત્ત્વની બાબત તો બની રહી કે કોરોના સંક્રમણ રોકવા માટે કાર્યરત રાજ્ય સરકારો, ડોક્ટર્સ, નર્સીસ, પેરા-મેડિકલ કર્મચારીઓ, પેરા-મિલિટરી ફોર્સ અને એવિએશન સેક્ટર, નગરપાલિકા કર્મચારીઓ તેમજ આ કાર્યમાં જોડાયેલા તમામ લોકોની સેવાને બિરદાવવા, તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા અનોખી પહેલરૂપે સાંજના સમયે પાંચ મિનિટ સુધી તાળી, થાળી કે ઘંટડી, શંખ વગેરે વગાડવાનું સૂચન પણ વડાપ્રધાન મોદીએ કર્યું હતું.
વડા પ્રધાન મોદીનું સંબોધન લોકપ્રિયતા હાંસલ કરવાની કોઈ રમત ન હતી, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા તો સામાજિક સંપર્કોથી અંતર જાળવવાની વાત હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાક ટીકાખોરોએ કોરોના સામે લડવા આર્થિક સહાયના પગલાં જાહેર ન કર્યા તેવી ટીકાઓ પણ કરી હતી. મોદીના સંબોધનમાં લોકોને સંયમપૂર્વક વર્તવાની સલાહ અપાઈ હતી, જનતા કર્ફ્યૂ થકી દેશહિતનો સંકલ્પ હતો. લોકોના મગજમાં ઉતરી જાય તેવી સામાન્ય વાતો હતી કે જો જીવવું હશે તો લોકસંપર્ક ટાળવો પડશે, ભીડભાડથી દૂર રહેવું પડશે, આ કાર્ય લોકોએ કરવાનું છે. દેશના નાગરિક તરીકે આપણે સ્વયંશિસ્ત જાળવવાની છે. આ બીમારીની કોઇ દવા હજુ શોધાઈ નથી ત્યારે આપણે પોતે સ્વસ્થ રહીએ તે સૌથી પહેલી જરૂરિયાત છે. જો આપણે સંક્રમિત થવાથી બચીશું તો આપણા જ પરિવારો અને અન્યોને સંક્રમિત થવાથી બચાવી શકીશું.
બીજી તરફ, લોકો એક દિવસ - ૧૪ કલાક સુધી સ્વેચ્છાએ ઘરમાં રહે તેનાથી કોરોના વાઇરસના પ્રસારની ચેઇન તૂટી જશે તેવા દાવા પર સવાલો ઉઠાવાયા છે. હકીકતે વડા પ્રધાન મોદીએ ખુદ સંબોધનમાં આવો દાવો કર્યો નથી. મૂળ વાત લોકોના સંપર્કને તોડવાની છે, તેમને દૂર રાખવાની છે જેથી વાઈરસના પ્રસારને ઘટાડી શકાય. વડા પ્રધાન મોદીની સ્વયંશિસ્તની અપીલને જનતાએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો પરંતુ, જે જવાબદારીની વાત કરી હતી તેનાથી ઘણા લોકો વિમુખ થઈ ગયા તે હકીકત પણ નોંધવી જોઈએ. જો આવી બેદરકારી દાખવીશું તો વાઈરસના ચેપથી ઈશ્વર પણ બચાવી શકશે નહિ.
એક નોંધપાત્ર ઈતિહાસ એ છે કે ‘જનતા કર્ફ્યૂ’ શબ્દ મૂળ ગુજરાત સાથે સંકળાયેલો છે. અલગ ગુજરાત રાજ્યની માગણી સાથે ૧૯૫૬-૧૯૫૭ના ગાળામાં ઈન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં આરંભાયેલા ‘મહાગુજરાત આંદોલન’ દરમિયાન લોકોએ સ્વયંભુ ‘જનતા કર્ફ્યૂ’ પાળીને આંદોલનને જબરજસ્ત સમર્થન આપ્યું હતું અને અમદાવાદમાં કોંગ્રેસી નેતા મોરારજીભાઈ દેસાઇની સભાને નિષ્ફળ બનાવી હતી.
વર્તમાન સમય સાવધાની અને સાવચેતી રાખવાનો છે. જીવન સલામત રહે તેના માટે આ બાબત અતિ આવશ્યક છે, તેમાં જ આપણી ભલાઇ છે. હવે કોરોના વાઈરસ સંદર્ભે કાળજી ના લેવાય તો કોમ્યુનિટી એટલે કે સામુદાયિક સ્તરે સંપર્ક થાય તેનાથી વાઈરસ ફેલાઇ શકે છે તેવા ત્રીજા તબક્કા તરફ આપણે જઈ રહ્યા છીએ. અત્ર, તત્ર, સર્વત્ર પ્રત્યેક માનવીએ ખુદ જાગૃત બનીને અન્ય લોકોને પણ કોરોનાના ચેપથી બચાવવાના ઉપાયો માટે આગળ વધવું જોઇએ.


comments powered by Disqus