ઘેરા અંધકારમાં પ્રકાશનું કિરણ

સી. બી. પટેલ Tuesday 24th March 2020 15:55 EDT
 
 

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, કોવિડ-૧૯ની મહામારી ચિંતાપ્રેરક બની રહી છે. આ રોગચાળો તો ધીમા પડવાનું જાણે નામ જ લેતો નથી કે એવી કોઈ નિશાની પણ દેખાતી નથી. આ રોગચાળાએ લોકજીવન ખોરવી નાખ્યું છે એટલું જ નહિ, બજારો અને બિઝનેસીસ પણ ખોરવાઈ ગયા છે. વર્તમાનમાં આપણી આસપાસ ફેલાઈ રહેલી આ તમામ નકારાત્મકતા વચ્ચે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શક્તિશાળી નેતૃત્વ અને દીર્ઘદૃષ્ટિ હેઠળ ભારતે ‘જનતા કર્ફ્યૂ’ના યોગ્ય અમલપાલન સાથે સમગ્ર વિશ્વને એક આશાનું કિરણ દર્શાવ્યું છે.
ઘેરા અંધકારમાં પણ પ્રકાશના કિરણ શોધવામાં આપણે મોદી પર વિશ્વાસ કરી શકીએ છીએ રોગચાળા સામેના યુદ્ધમાં મોખરે રહેલા ડોક્ટર્સ, નર્સીસ, મેડિકલ સ્ટાફ તેમજ અન્ય આવશ્યક સેવાના કર્મચારીઓની કામગીરીને બિરદાવવા અને આભાર વ્યક્ત કરવા તાળીઓ પાડતા અને થાળીઓ, શંખ વિગેરે વગાડતા નાગરિકોના સંખ્યાબંધ અહેવાલો અને વીડિયોઝ મને મળ્યા છે. આ પગલાંને માત્ર લોકોએ વધાવી લીધું છે એવું નથી, મોદીના કટ્ટર વિરોધીઓ પણ તેને અનુસર્યા છે. આ કપરા સમયમાં આપણે બધાએ શા માટે એકસંપ થઈને રહેવું જોઈએ તેનું દેખીતુ ઉદાહરણ આ રવિવારે પૂરું પાડ્યું છે.
હું હંમેશા આ કહેતો આવ્યો છું અને આજે પણ આ જ કહીશ. ભારત અને વિશ્વને દીર્ઘદૃષ્ટા નેતાની આવશ્યકતા છે. તાજેતરમાં જ મોદીએ વર્ચ્યુઅલ સાર્ક શિખર પરિષદ બોલાવવાની હાકલ સાથે સાચા નેતૃત્વના દર્શન કરાવ્યા છે. જી-૨૦ જૂથના નેતાઓએ તેમની આ પહેલની ભરપૂર સરાહના કરી છે. આ વિશ્વજૂથના કેટલાક નેતાઓએ તો સ્પષ્ટ જણાવ્યું છે કે તેમને મોદી પાસેથી એક-બે વસ્તુઓ શીખવાની જરૂર છે.
આ કાંઈ વિશ્વની પહેલી મહામારી નથી અને ચોક્કસપણે આખરી પણ નહિ હોય. પરંતુ, સૌથી મહત્ત્વની બાબત સમસ્યાને ઓળખવાની અને તેના આક્રમણને ખાળવા, નિયંત્રિત કરવા આપણી ભૂમિકા ભજવવાની છે. આગામી દિવસો ભારે મહત્ત્વના બની રહેશે અને કેટલી સાવચેતી રાખી શકાય તે પણ પ્રશ્ન છે. આમ છતાં, હું ભારપૂર્વક કહીશ કે સમસ્યાની અતિશય ચિંતામાં પડી જશો નહિ. ધારાધોરણોનું પાલન અવશ્ય કરો પરંતુ, તમારા મન અને મગજને અંધારામાં ફાંફા મારવા પડે તેટલી હદે ન જશો. સમજણ કેળવો, જાગૃત રહો. જો તમે કાળજી નહિ રાખો તો નોવેલ કોરોના વાઈરસ કદાચ આપણા સમાજને આમૂલાગ્ર બદલી નાખશે પરંતુ, અતિશય સાવચેતી માનસિક ઉન્માદ તરફ ધકેલી દેશે.
ઈટાલી પ્રત્યેક મોત સાથે કોરોના વિરુદ્ધના યુદ્ધને જાણે હારતું હોય તેમ જણાય છે. બ્રિટને પણ પરિસ્થિતિની ગંભીરતા પારખવામાં ઘણો લાંબો સમય લીધો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અવારનવાર કહ્યું છે કે, વારંવાર તમારા હાથ ધોવાં, સામાજિક અંતર જાળવવું અને સ્વચ્છતા જાળવવાના પગલાં ત્યારે જ કામ કરે છે જ્યારે તીવ્રતમ પરીક્ષણો, ચેપગ્રસ્તોના સંપર્કોને ઓળખવા અને શોધવા, એકાંતવાસ અને સારવારની સાથે તેમને સાંકળવામાં આવે. માત્ર અને માત્ર, જો સરકાર પોતાની ભૂમિકા નિભાવશે તો લોકો પણ પોતાની ભૂમિકા નિભાવવામાં પાછા નહિ પડે. આ બધામાં સૌથી ખરાબ હાલત નિઃશંકપણે અમેરિકાની છે. વિશ્વની સૌથી મોટી મહાસત્તા તરીકે ઓળખાય છે છતાં, વાઈરસનો સામનો કરવામાં તેણે ઓછામાં ઓછી ગંભીરતા દર્શાવી છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મૂળ તો બિઝનેસમેન છે અને તેમનું મગજ પણ એ રીતે જ વિચારે છે. ખોટા આશાવાદને આગળ વધારવાનો તેમનો વિચાર ખરેખર વિચલિત કરી દેનારો અને રોગચાળાને નાથવા તેમજ પેશન્ટ્સની સારવાર માટે ભારે મહેનત કરી રહેલા સાચા વિજ્ઞાનીઓ અને ડોક્ટર્સનું અપમાન કરનારો છે.
આપણી વાત કરીએ તો, આપણે રોજિંદુ જીવન જીવતા માનવીમાત્ર છીએ, આપણે અંગત પગલાં લઈને પણ સમાજમાં આપણી જીવંત ભૂમિકા ભજવવી રહી. જો શક્ય હોય તો ઘેર બેસીને કામ કરો. એટલી ચોકસાઈ અવશ્ય રાખો કે વર્તમાન પરિસ્થિતિને ચાહ અને ડિનર પાર્ટીઓ યોજવા, મિલન સમારંભો રાખવાની વણમાગી તક તરીકે ન નિહાળીએ. સોશિયલ ડિસ્ટન્સિંગનો સમગ્ર હેતુ મિત્રો સાથે હળવામળવાનો તો નથી જ. તેનો અર્થ મર્યાદિત સંપર્કનો છે અને તેનો આરંભ તમારાથી જ થાય છે.
આખો દિવસ એકબીજાની નિકટ રહી કામ કરનારા જીવનસાથીઓએ પણ આ બાબતને એક તક તરીકે નિહાળવી જોઈએ. તમારા માટે આ સમય તમને એકબીજા પ્રત્યે પ્રેમ અને આદભાવ છે તે બતાવવાનો છે.

તમારા પરિવાર સાથે રહી ઘરમાંથી કામ કરવાની યોગ્ય પદ્ધતિઃ

• તમારા કામ કરવાનું સ્થળ અલાયદું રાખો,
• એકબીજાની અપેક્ષાઓને બરાબર રીતે સમજો,
• શિષ્ટાચાર - તમે બે અલગ વ્યક્તિત્વ ધરાવો છો ત્યારે તમારી ઉપેક્ષા-અવમાનના અને ઉત્કટ ઈચ્છાઓને અંકુશમાં રાખો,
• એકબીજા માટે શુ કરી શકો તેમ છો તેને ઓળખો,
• વાતાવરણ રચનાત્મક બની રહે તે માટે એક ટીમ તરીકે કામ કરો,
• કસરત – અંદર ભરાયેલી લાગણીઓનું બંધ ઢાંકણ દૂર કરે છે.
સાદી અને સરળ પોષક વાનગીઓની રીત
રસોઈ કરો! મારું અનુમાન છે કે તમે તમારા કિચન્સમાં આવશ્યક ખાદ્યસામગ્રીનો પૂરતો સંગ્રહ કરી લીધો હશે. હવે તમારી રસોઈકળાની પરીક્ષા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમારી પેન્ટ્રીની પછીતે જે કૂકબૂક મૂકી રાખી છે તેના પરથી ધૂળ ખંખેરી નાખો અને તેની સહાયથી તમારા પરિવાર માટે આસ્વાદપૂર્ણ વાનગીઓ બનાવી દો.

કેટલાક નમ્ર સૂચનો

મિશ્ર કઠોળની દાળ, તમને મનપસંદ કઠોળના મિશ્રણને આઠ કલાક સુધી પલાળી રાખો અને તે પોચા થાય ત્યાં સુધી પેશર કૂકરમાં રાંધો. એક વાસણમાં જીરું, એક ચપટી હિંગ, કાપેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ મૂકો અને ગુલાબી રંગ ન આવે ત્યાં સુધી સાંતળો. તેમાં થોડા કાપેલા ટામેટાં અને ચપટી મીઠું ઉમેરો. ટામેટા સોફ્ટ થાય ત્યારે તેમાં લાલ મચચા પાવડર, ધાણા-જીરુ પાવડર અને થોડા ગરમ મસાલા ઉમેરો. બધા મસાલા રંધાઈ જાય ત્યાં સુધી હલાવો. હવે અગાઉ રંધાયેલા કઠોળને વાસણમાં ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરો જેથી બેલેન્સ જળવાય. વાસણ બંધ કરીને ૫-૧૦ મિનિટ સુધી રાંધો. આખરે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
વેજી બુદ્ધા બાઉલ
એક બાઉલમાં થોડા પકાવેલા ચણા, રાંધેલા જવ, રાંધેલા બ્રાઉન રાઈસ, સમારેલા લેટ્યુસ, ચેરી ટામેટા, કાકડીના ટુકડા, થોડા ગાજર અને સ્લાઈસ્ડ એવોકાડો મિશ્ર કરો. તેના લીંબુ નીચોવો, થોડું સિંધવ સોલ્ટ અને મરી છાંટો. તેને ઓલિવ તેલનો છંટકાવ કરો.
શાકાહારી આમલેટ
એક બાઉલમાં થોડો ચણાનો લોટ, લાલ મરચા પાવડર, હળદર, આમચૂર અને મીઠું લો અને તેમાં થોડું પાણી નાખી ખીરું એકરસ બનાવો, જેથી લોટના ગાંગડા રહી ન જાય. ખીરામાં સમારેલા કાંદા-ડુંગળી, ટામેટા અને કોથમીર નાખો. નોન-સ્ટીક તવો લઈને ચમચા વડે થોડું ખીરું પાથરો. એક સાઈડ બરાબર થઈ જાય પછી તેને ઉથલાવો. આ રીતે પૂડાં તૈયાર કરી તેને લીલી ચટણી અથવા કેચપ સાથે લઈ શકાય છે.
કૂકરમાં પુલાવ બનાવો
એક પ્રેશર કૂકર લો અને તેમાં થોડું માખણ, એક તેજ પત્તા, તજનો એક ઈંચ ટુકડો, બે લવિંગ , બે એલચીના દાણા નાખો. તેમાં બટાકા, ડુંગળી, ટામેટા, વટાણા, ગાજર, કોબીજ અને ફ્લાવર સહિત તમારી પસંદના શાક ઉમેરો. મિશ્રણને બે-ત્રણ મિનિટ સુધી સાંતળો, હવે તેમાં હળદર, મરચા પાવડર, ધાણાજીરું પાવડર અને થોડા ગરમ મસાલા ઉમેરો. તમામ મિશ્રણ એકસરખું થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં થોડા પલાળેલાં ચોખા ઉમેરો, બરાબર હલાવો અને થોડું પાણી ઉમેરો. તમારા સ્વાદ અનુસાર મીઠું નાખો અને કૂકર બંધ કરો અને ૩-૪ વ્હીસલ વાગે ત્યાં સુધી રાંધો. કૂકર ખોલતા પહેલા તેમાંથી વરાળ નીકળી જવા દેશો.
આપણી પરંપરાગત ખીચડી
વિધવિધ દાળ, તાજાં શાકભાજી સાથેની ખીચડી આદર્શ, આરોગ્યપ્રદ વાનગી છે.

તમારું જીવન, તમારા હાથમાં

સોફામાં કે ખુરશીમાં બેસીને ટીવી જોયા કરવું, સોશિયલ મીડિયામાં મસ્ત એ આરોગ્ય માટે ખતરાજનક છે. હમણાં તો ખાસ.
ઘરમાં કે આજુબાજુ સહેજ હરવા ફરવાનું રાખો, ‘ગુજરાત સમાચાર’ના જો અંકો સાચવતાં હોય તો તેમાં આવતાં કાર્ટૂન્સ અને હળવી ક્ષણો ફરી એકવાર જોઈ લો. જરા હસો, આનંદ માણો. કેટલીક સરળ કસરતો રજૂ કરી છે. આપના આરોગ્યને લક્ષમાં લઈને થાય તો આવકાર્ય છે.
ઘરમાં જ કરી શકાય તેવી કસરત
ચેર પોઝ
તમારા પગ થોડા પહોળાં રાખી આગળની તરફ ઝૂકો. ઊંડો શ્વાસ લો અને તમારા હાથ તમારા માથા સુધી ઊપર લઈ જાવ. તમારા ખભા નીચેની તરફ અને કાનથી દૂર ધકેલો. આ પછી તમારા હિપ્સને વાળો અને ખુરશી પર બેસતા હો તેવો પોઝ લો. તમારાથી નીચે વળી શકાય એટલા જ વળો. તમારી કરોડ લંબાવી શકાય તેટલી લંબાવો અને ઊંડા શ્વાસ લો. પાંચ થી છ શ્વાસ લેવાય ત્યાં સુધી આ મુદ્રામાં રહેવા પ્રયાસ કરો. ધીમેથી ઉભા થવાની સ્થિતિમાં આવો. કસરતનું પુનરાવર્તન કરો.
આગળની તરફ વળવું ખુરશી જેવાં પોઝમાંથી તમારા હાથ છતની તરફ લઈ જાવ અને પાછા ઉભા રહેવાની સ્થિતિમાં આવો. શ્વાસ બહાર કાઢો તમારા હિપ્સથી વળો અને તમારું માથું શક્ય બને ત્યાં સુધી નીચે ફ્લોર તરફ લઈ જાવ. તમારા હાથની આંટી વાળો અને એલ્બોને પકડો. તમારા માથાને ઢીલું કરો. ફરીથી શ્વાસ અંદર લો અને તમારી શરીરની આગળ તરફ વળો અને જ્યારે તમે શ્વાસ ઢીલો મૂકો ત્યારે તમે તમારા હીપ્સને સીલીંગ તરફ પકડી રાખો. આઠ શ્વાસ રોકો અને તે પછી તમારા હાથ હીપ્સ પર મૂકો. પીઠ ઉપર સૂઈ રહો અને ધીમેથી ઊભા થાઓ. આ કસરતનું પુનરાવર્તન કરો.
પાટીયા કસરત (પ્લાંક)
તમારા બે હાથ જમીન પર રાખો. ખભાથી પહોળા અને તમે સીધા પાટીયા જેવી સ્થિતિમાં આવે ત્યાં સુધી તમારા પગને પાછળ લઈ જાઓ. તમારી આંગળીઓ શક્ય હોય ત્યાં સુધી ફેલાવો. તમારી કરોડને શક્ય તેટલી લાંબી ખેંચો અને સીધા શરીરની પોઝીશનમાં તમારા માથાને પગના તળીયાથી દૂર લઈ જાઓ. તમે તમારા શરીરથી ખભાને દૂર ઘુમાવતા હોય ત્યારે તમારી પીઠના સ્નાયુઓ ઉપર તણાવ અનુભવાવો જોઈએ. આઠ શ્વાસ સુધી આ પોઝ – મુદ્રા જાળવી રાખો. ધીમેથી જમીન પર આવો અને કસરતનું પુનરાવર્તન કરો.
હાઈ લુંગી
પાટીયાની સ્થિતિમાં આવો. ઘૂંટણેથી પગ વાળી એક પગને ઉપર લઈ જાઓ અને તમારા બે હાથની વચ્ચે રાખો. આ પોઝીશનમાંથી તમારા બંને હાથથી છત સુધી લઈ જાઓ જેથી શરીરનો ઉપરનો ભાગ એકદમ સીધો રહેશે. (તમારો પાછળનો પગ સીધો રહેશે અને આગળનો પગ ૯૦ ડીગ્રીએ વળેલો રહેશે.) તમારા નીચલા શરીરના સ્નાયુઓ જોડાઈ રહેલા જોઈએ. આઠ શ્વાસ સુધી આ પોઝ – મુદ્રા જાળવી રાખો. ફરીથી પાટીયાની પોઝીશનમાં આવો અને બીજા પગ સાથે આ કસરતનું પુનરાવર્તન કરો.
એશિયન દુકાનદારોને એકબીજા સાથે કામ કરવાનો વર્ષોનો અનુભવ છે. આ સ્થિતિને છૂપા આશીર્વાદ તરીકે ગણતો આવ્યો છું. કદાચ તણાવપૂર્ણ જીવનમાં શાંતિ અનુભવવાનો, નિરાંતનો શ્વાસ લેવાનો અને સારું જીવન માણવાનું કહેવાનો કુદરતનો આ માર્ગ હોઈ શકે છે. એવું ગુણવત્તાપૂર્ણ જીવન જે આપણને ઘેરથી કામ કરવા, પોતાના માટે નાણા બચાવવા અને સૌથી મહત્ત્વપૂર્ણ તો પ્રમાણમાં ઓછી પ્રદુષિત જીવનશૈલીની છૂટ આપે છે.
ઘરગથ્થુ ઉપચારો અથવા જેને હું દાદીમાનું વૈદુ કહું છું તેને અપનાવો. તમારા શરીરોમાં આધુનિક (છૂટથી ઓવર કાઉન્ટર મળતી) દવાઓ નાખવાથી અળગા રહો અને તમારા ડોક્ટર્સના પ્રીસ્ક્રિપ્શન્સની સાથોસાથ તમારા દાદીમાએ વર્ષો અગાઉ જે નાના ઉપચારો સૂચવ્યા હતા તેનું અનુસરણ કરો.
આ કટોકટી વ્યાપક છે. કર્મચારીઓ પોતાની નોકરીઓ સંદર્ભે અસુરક્ષિત છે, શહેરો તાળાબંધી હેઠળ છે, બિઝનેસીસને અસ્તિત્વ જાળવવાનો માર્ગ દેખાતો નથી. આ પરિસ્થિતિમાં સહ્રદયતા દર્શાવો. આજની પળે તમે જાણો-ઓળખો છો તેવી દરેક વ્યક્તિ અંગત કટોકટીમાંથી પસાર થઈ રહી છે.
(એશિયન વોઈસમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus