ચેતેશ્વર પૂજારાનો ટીકાકારોને જવાબઃ મારા સ્ટ્રાઇક રેટને અને રમવાની શૈલીને ટીમ મેનેજમેન્ટનું સંપૂર્ણ સમર્થન છે

Thursday 26th March 2020 03:22 EDT
 
 

નવી દિલ્હી: ભારતના ટેસ્ટ ક્રિકેટના આધારભૂત સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું કહેવું છે કે મારા સ્ટ્રાઈક રેટ અંગે સોશિયલ મીડિયામાં એક વર્ગ ટીકા કરે છે તે હું જાણું છું, પણ હું તેના પર બહુ ધ્યાન આપતો નથી. ૩૨ વર્ષીય પૂજારાએ કહ્યું કે ઘણા ક્રિકેટચાહકો એવું માને છે કે ટીમ મેનેજમેન્ટ પણ મારી આવી રમતથી સંતુષ્ટ નથી પણ મારે આ બધા ચાહકોને સ્પષ્ટતા કરવી છે કે ટીમ મેનેજમેન્ટને હું જે રીતે રમું છું તે અંગે કોઈ વાંધો નથી. ઉલ્ટું તેઓનું મને સમર્થન છે. ટીમ મેનેજમેન્ટ સમજે છે કે ટીમના સારા દેખાવ માટે મારી આ પ્રકારની બેટીંગ શૈલી કેટલી અગત્યની છે.

રણજી ટ્રોફીમાં યોગદાન

રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં પણ પૂજારાએ ૨૩૭ બોલમાં ૬૭ રનની ઈનિંગ રમી હતી ત્યારે એક વર્ગે ટીકા કરી હતી. જોકે ક્રિકેટને નહીં સમજનારા એ વર્ગે એ ન ભૂલવું જોઈએ કે અર્પિત વસાવડા જોડેની તેની ભાગીદારીને લીધે જ સૌરાષ્ટ્ર મોટો સ્કોર કરી શક્યું અને લીડના આધારે સૌરાષ્ટ્ર ઐતિહાસિક ચેમ્પિયનશીપ જીત્યું છે. પૂજારાએ આ ઈનિંગ ગળાના ઈન્ફેક્શન છતાં ભારે અશક્તિ સાથે રમી હતી.

જીતનું જ લક્ષ્ય

પૂજારાએ કહ્યું હતું કે ૭૭ ટેસ્ટ, ૧૮ સદી અને ૪૮.૬૬ની એવરેજ ધરાવતા બેટ્સમેને તેના સ્તર અને ભારત માટેની મહત્તા પૂરવાર કરવાની જરૂર નથી. પૂજારાએ તેના સ્લો સ્ટ્રાઈક રેટ અંગે એમ પણ ઉમેર્યું કે આપણી ટીમ દરેક વખતે જીતે તે રીતે યોગદાન આપવાનું મારું લક્ષ્ય હોય છે. પૂજારા કહે છે કે તમે હરીફ ટીમના, મારા જેવો રોલ અદા કરતાં બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ જોશો તે લગભગ મારા જેટલો જ હશે.

આક્રમક શૈલી નથી

પૂજારાએ કબૂલાત કરી હતી કે, હું એટલું સ્વીકારું છું કે મારી બેટિંગ શૈલી સેહવાગ અને વોર્નર જેવી પ્રારંભથી જ આક્રમણ કરતી નથી પણ તે ટીમના હીતમાં હોય છે.
ન્યૂ ઝિલેન્ડના પ્રવાસમાં અમારો (ભારતીય ટીમનો) દેખાવ શરણાગતિ સ્વીકારતો રહ્યો. ઉલ્લેખનીય છે કે ન્યૂ ઝીલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણીમાં પૂજારા એક જ અડધી સદી ફટકારી શક્યો હતો પણ સિઝનમાં તેણે પાંચ અડધી સદી નોંધાવી તેને તેનો સંતોષ છે.

મિશન ઓસ્ટ્રેલિયા

પૂજારાને હવે આ વર્ષે એક માત્ર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવાનું છે તે જ ક્રિકેટ રમવાનું છે. અગાઉના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારત ટેસ્ટ શ્રેણી જીત્યું હતું પણ તે વખતે વોર્નર અને સ્મિથ ન હતા તેથી આ વખતે શ્રેણી વધુ પડકારજનક બનશે. આમ છતાં જો ભારત તે વખત જેવો દેખાવ કરશે તો આપણે શ્રેણી જીતી જ શકીશું તેવી શ્રદ્ધા પૂજારાએ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટેસ્ટ શ્રેણી જીતવી હશે તો આપણા બોલરો ફ્રેશ હોવા જોઈએ.

ટેસ્ટ ક્રિકેટનો ઘટતો ચાર્મ

પૂજારાએ તેની ધીમી બેટિંગ ઘણાને પસંદ નથી તેનું વ્યવહારુ કારણ આપ્યું હતું કે વર્તમાન પેઢી ટ્વેન્ટી-૨૦ અને વન-ડે માણવાનું જ પસંદ કરે છે. તેઓએ પહેલા બોલથી જ આક્રમણ જોવું છે. તેઓ એ સમજી નથી શકતા કે ટેસ્ટમાં ઈનિંગ બિલ્ટ કરવાની હોય છે અને જૂદું જ ક્રિકેટ ઈચ્છે છે.

ટેસ્ટ સ્પેશ્યલોનો દુકાળ

પૂજારાએ એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે ટ્વેન્ટી-૨૦ અને વન-ડે ફોર્મેટનો જ પ્રભાવ વધતો જતો હોવાથી ટેસ્ટ ક્રિકેટ જ રિયલ ક્રિકેટ હોવા છતાં આપણને હવે પછીથી ક્વોલિટી ટેસ્ટ પ્લેયર ઓછા મળશે. ૧૦ વર્ષ પહેલાં ૩૦થી ૫૦ ટેસ્ટ સ્પેશ્યલ ખેલાડીઓ હતા આજે ૨૦-૨૫ માંડ હશે તેમ પૂજારાએ કહ્યું હતું.


comments powered by Disqus